Kathi Kshatriya : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા ( Parshottam Rupala) ને રાહત મળે તેવા મહત્વના સમાચાર આવ્યા છે. રુપાલાના નિવેદન બાદ સર્જાયેલા વિવાદ બાદ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજે (Kathi Kshatriya Samaj) પરશોત્તમ રુપાલાને સમર્થન જાહેર કર્યું છે. કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું છે કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સાથે મન, વચન, કર્મથી જોડાયેલા છીએ અને તેમણે ઉભા રાખેલા તમામ ઉમેદવારોને અમે મદદ કરીશું. અગ્રણીઓએ કહ્યું કે નરેન્દ્ર મોદીની વાત હોય તો બીજા પ્રશ્નો ગૌણ બની જાય છે.
અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ પણ આગળ આવ્યો
પરશોત્તમ રુપાલાના નિવેદન બાદ સર્જાયેલા વિવાદમાં આજે સંત સમાજ પણ આગળ આવ્યો હતો અને બંને પક્ષો વચ્ચે સમાધાન થાય તેવી અપીલ કરી હતી તો બીજી તરફ વીએચપીએ પણ સમાધાનની વાત કરી હતી. હવે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ પણ આગળ આવ્યો છે.
ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણમાં જે ભૂમિકા ભજવી છે તેનાથી અમને સંતોષ
અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ આજે યોજેલી પત્રકાર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે કાઠી સમાજ સૂર્યવંશી સમાજ છે અને ભગવાન શ્રી રામ અમારા ઇષ્ટદેવ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપે ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણમાં જે ભૂમિકા ભજવી છે તેનાથી અમને સંતોષ થયો છે. ભાજપ સરકારમાં અમારા સૂર્ય મંદિરનો પણ વિકાસ થયો છે.
ભાજપે જે નિર્ણય લીધા છે તેમાં મન, વચન અન કર્મથી સમાજ સાથે છે
અગ્રણીઓએ કહ્યું કે 2024ની ચૂંટણીમાં અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની સાથે ઉભા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપે જે નિર્ણય લીધા છે તેમાં મન, વચન અન કર્મથી સમાજ સાથે છે. કાઠી સમાજની કોર કમિટી અને સમાજના આગેવાનોએ 2024ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 400 પાર કરવાની હાકલ કરી છે તેમાં સાથે રહેવાનો નિર્ણય લીધો છે.
નરેન્દ્ર મોદીની વાત હોય તો બીજા પ્રશ્નો ગૌણ બની જાય છે
કાઠી અગ્રણીઓએ કહ્યું કે અમે શૈક્ષણિક પછાત વર્ગમાં આવીએ છીએ અને સરકારે અમને તમામ મદદ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત હોય તો બીજા પ્રશ્નો ગૌણ બની જાય છે. અમારા પર ઋણ છે અને હવે તે ઋણ ચૂકવવાનો અવસર આવ્યો છે અને તેથી નક્કી કર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શક્ય તેટલી મદદ કરવી
અમે સનાતન ધર્મ અને હિન્દુત્વ સાથે છીએ
તેમણે કહ્યું કે રુપાલા વિવાદ સાથે અમારે કોઇ લેવા દેવા નથી. સામાજીક રીતે કોઇ પ્રશ્ન નથી. માફી માગે અને અપાવે તે અમારી પ્રકૃતિ નથી. કાઠી સમાજે સાથે મળીને લીધેલો આ નિર્ણય છે. વર્તમાન સ્થિતિમાં નિર્ણય લેવાનો થાય અને આ રાષ્ટ્રીય પ્રશ્નમાં મોદીનો સવાલ આવતો હોય તો બીજા પ્રશ્નો ગૌણ છે. અમે સનાતન ધર્મ અને હિન્દુત્વ સાથે છીએ અને હાલ મોદીની સાથે છીએ અને તેમના તમામ ઉમેદવારોને ટેકો આપવો અમારી ફરજ છે.
આ પણ વાંચો—– RUPALA VIVAD : વિવાદ ઉકેલવા સંતો-મહંતો પણ આવ્યા આગળ…!
આ પણ વાંચો— PM Modi : ભ્રષ્ટાચાર મુદ્દે વડાપ્રધાન મોદીનો સ્પષ્ટ સંદેશ, કહ્યું- ‘હક છીનવનારા સામે નહીં રોકાય કાર્યવાહી…’
આ પણ વાંચો—- Rupala controversy : રૂપાલા વિવાદ મામલે વિભીષણવાળી! ઘરના જ ભેદી હોવાનો રિપોર્ટ હાઈકમાન્ડ સુધી મોકલાયો!