Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : 50 મહિલાઓ પ્રાકૃતિક કૃષિ પાઠશાળામાં વિદ્યાર્થી બન્યા

06:06 PM Jun 28, 2024 | PARTH PANDYA

VADODARA : ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ હવે સમયની જરૂરિયાત છે કારણ કે આ પ્રકારની ખેતીમાંથી ઉત્પન્ન થતી ઉપજ લોકોના એકંદર આરોગ્યમાં ફાયદો કરે છે અને જમીનને ફળદ્રુપ પણ રાખે છે.  મહત્તમ મહિલાઓને કુદરતી ખેતી તરફ વાળવાના હેતુથી પાંચ દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગાય આધારિત કુદરતી ખેતી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જરોદ નજીક ૩૦ વીઘામાં ફેલાયેલા પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં લગભગ ૫૦ મહિલાઓને પ્રાકૃતિક ખેતીની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી.જ્યાં તેઓએ આ પ્રકારની ખેતી સાથે સંબંધિત મહત્વના પાસાઓ શીખ્યા હતા. તમામ મહિલાઓ હવે કુદરતી ખેતી અપનાવવા ઇચ્છુક છે અને અન્ય મહિલાઓમાં આ ખેતી પદ્ધતિ વિશે જાગૃતિ લાવવાની તૈયારી બતાવી હતી.

થિયરી અને પ્રેક્ટિકલ તાલીમનો સમાવેશ

આ પાંચ દિવસીય તાલીમમાં કુદરતી ખેતી તરફ વળવા ઈચ્છતી વાઘોડિયા અને વડોદરા તાલુકાના વિવિધ સખી મંડળોની મહિલાઓએ ભાગ લીધો હતો. આ તાલીમમાં જરોદ ખાતે નર્મદા મુખ્ય નહેર પાસે અદીરણ ખાતે આવેલા ફાર્મની અંદર થિયરી અને એક દિવસની પ્રેક્ટિકલ તાલીમનો સમાવેશ થતો હતો. મહિલાઓએ ગાય આધારિત કુદરતી ખેતીની મૂળભૂત જરૂરિયાતો શીખી અને હવે તેઓ આ ખેતી તરફ વળશે.

મદદ કરવા આતુર છું

તાલીમાર્થી ખુશ્બૂ તન્મય ગોરે ફાર્મની મુલાકાત દરમિયાન જીવામૃત બનાવવા માટે હાથ અજમાવીને ખેતીની કળા શીખવા સાથે પ્રાકૃતિક ખેતીના પાંચ સિદ્ધાંતો, કુદરતી રીતે ચાલવાના ફાયદા, અને ત્રણ પ્રકારની ખેતી વિશે પણ જાણકારી મેળવી પ્લાન્ટેશન ફાર્મિંગ (બાગાયતી ખેતી) , શાકભાજીની ખેતી અને ખુલ્લી ખેતીનો મારો અનુભવ કલ્પના બહારનો હતો તેમ જણાવ્યું હતું. હવે હું કુદરતી ખેતીમાં જોડાવા, તેના ફાયદા વિશે અન્ય લોકોને શીખવવા અને સરકારને તેમની પહેલમાં મદદ કરવા આતુર છું એટલું જ નહી આ તાલીમ બાદ પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કરીશ.

ખેતીના ફાયદાઓ શીખ્યા

ઘણી મહિલાઓ પહેલેથી જ ખેતીમાં રોકાયેલી છે તે હવે તેના ફાયદાઓ વિશે જાણ્યા પછી કુદરતી ખેતી તરફ વળવા તૈયાર છે. વાઘોડિયાના ગોરજ ગામના કપિલાબેન વણકરે જણાવ્યું હતું કે, “અમે વર્ષોથી ખેતી કરીએ છીએ અને આ પાંચ દિવસીય નિવાસી તાલીમમાં કુદરતી ખેતીના ફાયદાઓ શીખ્યા. હવે આ તાલીમ પૂર્ણ કર્યા પછી મેં કુદરતી ખેતી કરવાનું નક્કી કર્યું છે.”

શિબિરમાં હાજરી આપી

આ પાંચ દિવસીય શિબિરમાં ટ્રેનર રવજીભાઈ ચૌહાણે તેઓને આ પ્રકારની ખેતી વિશેની તમામ વિગતો શીખવી હતી. “વિવિધ સખી મંડળોના સભ્યોએ શિબિરમાં હાજરી આપી હતી અને થિયરી અને પ્રેક્ટિકલ સત્રો દ્વારા ખાતર, પાક, તકનીકો અને એકંદર ફાયદા વિશે જાણકારી મેળવી કુદરતી ખેતી તરફ વળવાની તેમની તૈયારી દર્શાવી છે.

આ પણ વાંચો —  VADODARA : શહેરના મહિલા PSI ના નામે ઐતિહાસીક રેકોર્ડ