VADODARA : વડોદરા (VADODARA) પાસે પાદરામાં મિત્ર સાથે ભાગીદારીમાં ડી. જે. નો વ્યવસાય શરૂ કરનાર યુવક ઘરેથી નોકરીએ જવાનું કહીનો નિકળ્યો હતો. ત્યાર બાદ તે પત્નીને સાસરે મુકવા જવાનું કહી મિત્રનું બાઇક લઇને નિકળ્યો હતો. આ બાદ નર્મદા કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાના અંતિમ સમાચાર પરિવાર સુધી પહોંચ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે પાદરા પોલીસ મથકમાં અકસ્માતે નોંધ કરવામાં આવી છે. ત્યાર બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
નોકરીએ જવાનું કહીને નિકળ્યો
વડોદરા પાસે પાદરાના એકલબારાના વલીપુરામાં રહેતો ઇન્દ્રરાજસિંહ રાજેન્દ્રસિંહ પઢીયાર (ઉં. 25) એ ભાગીદારીમાં યોગેન્દ્રભાઇ ગુમાનસિંહ પઢીયાર સાથે રૂ. 2.50 લાખની લોન લઇને ડી. જે. લીધું હતું. ત્યાર બાદ ડી. જે. નું કામ બરાબર ચાલતું ન્હતું. તો બીજી તરફ અગાઉ લીધેલી લોનના હપ્તા સમયસર ભરી શકાય તેવી સ્થિતી ન્હતી. જેને લઇને તે સતત ટેન્શનમાં રહેતો હતો. તેવામાં તાજેતરમાં તે ઘરેથી કંપનીમાં નોકરીએ જવાનું કહીને નિકળ્યો હતો. ત્યાર બાદ તેના મિત્રને પત્નીને સાસરે મુકવા જવાનું જણાવીને તેની બાઇક લઇને નિકળ્યો હતો. બાદમાં ગત સવારે અગિયાર વાગ્યાના આસરામાં લખડીકુઇ, નર્મદા કેનાલમના શેવાળ વાળા પાણીમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ વાતની જાણ પરિજનોને થતા તમામ શોકાતુર બન્યા હતા.
પોલીસ તપાસનો ધમધમાટ
આ ઘટના અંગે મૃતકના મોટા ભાઇ મહેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પઢીયાર (રહે. વાલીપુરા, એકલબારા) એ પાદરા પોલીસ મથકમાં આ અંગે અકસ્માતે મોતની નોંધ કરાવી છે. જે બાદ પાદરા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પાદરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહ મહેન્દ્રસિંહ આ મામલાની વધુ તપાસ હાથ ધરી રહ્યા છે.
આ પણ વાંચો — VADODARA : MSU માં એડમિશન મામલે “તગડી” લડતના એંધાણ