VADODARA : વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરમાં (ISKON TEMPLE) થી તાજેતરમાં ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં રાત્રીના સમયે કોઇ અજાણ્યો ઇસમ મંદિરના ગર્ભગૃહમાંથી ભગવાનના શણગારની ઉઠાંતરી કરતો જોવા મળ્યો હતો. વડોદરાની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) ની ટીમે પોતાની કામગીરીને પરચો બતાવતા ચોરને નાગપુરથી પકડી પાડ્યો છે. આ ચોર પાસેથી કિંતમી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મંદિરમાં ચોરીની ઘટના સામે આવી હતી
વડોદરાનું ઇસ્કોન મંદિર શ્રદ્ધાળુઓથી ભરેલુ હોય છે. ખાસ કરીને સવારે અને સાંજે અહિંયા ભક્તોની મોટી સંખ્યમાં ભીડ જોવા મળે છે. તાજેતરમાં ઇસ્કોન મંદિરમાં ચોરીની ઘટના સામે આવી હતી. રૂ. 1.50 લાખના કિંમતનો ભગવાન પર ચઢાવેલો શણગાર ચોરી થતા ગોત્રી પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ પોલીસની વિવિધ બ્રાન્ચની ટીમોએ ઘટના સ્થળની મુલાકાત લઇ તપાસ આગળ ધપાવી હતી.
નાગપુર તરફ ગયો હોવાનું સ્પષ્ટ થયું
મામલાની ગંભીરતાને ધ્યાને લઇને વિવિધ ટીમો દ્વારા આરોપી ચોર સુધી પહોંચવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા. દરમિયાન પીસીબીની ટીમે પણ હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ચોર ચોક્કસ ટ્રાવેલ્સમાં મુદ્દામાલ સાથે નાગપુર તરફ ગયો હોવાનું સ્પષ્ટ થયું હતું. જે બાદ પીસીબીની ટીમે નાગપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. અને હકીકતથી વાકેફ કર્યા હતા. નાગપુર પોલીસ દ્વારા આરોપી સંતોષ ઉર્ફે અંતર્યામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમા દાસ (ઉં. 51) (રહે. બાલીપાડા, ગંજામ, ઓરિસ્સા) ને ઓરીજીનલ મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યો છે. આરોપી પાસેથી રૂ. 20.73 લાખના અલગ અળગ સોના-ચાંદીના ઘરેણા મળી આવ્યા છે.
60 મુર્તિઓ કબ્જે કરવામાં આવી
આરોપી સામે નાગપુરના તહેસીલ પોલીસ સ્ટેશન, ગણેશપીઠ પોલીસ સ્ટેશન (2) અને ગોવા નોર્થ પણજી પોલીસ સ્ટેશનમાં કુલ ચાર ગુના નોંધાયા છે. આરોપીએ કર્ણાયકના મુડબીદરી ખાતે સિદ્ધનાથ દર્શન મંદિર તથા આંધ્રપ્રદેશના શ્રી કાકુલમ ખાતે મંદિર ચોરીના ગુનાઓમાં પણ પકડાયેલો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપી પાસેથી 60 મુર્તિઓ કબ્જે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સિવાય આરોપીએ અનેક મંદિરોમાં હાથફેરો કર્યો હોવાની આશંકા છે.
આરોપીની MO
આરોપી સંતોષ ઉર્ફે અંતર્યામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમા દાસની મોડસ ઓપરેન્ડી પ્રમાણે, તે અલગ અલગ રાજ્યોના મોટા મંદિરો જ્યાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવતા હોય ત્યાં રેકી કરતો હતો. રેકી પૂર્ણ થયા બાદ તે રાત્રીના સમયે મંદિરમાં પ્રવેશ કરીને મંદિરમાંથી સોના-ચાંદીના દાગીના તથધા મુર્તિઓને ચોરી કરતો હતો.
આ પણ વાંચો — VADODARA : ભાજપ-કોંગ્રેસના લોકસભા ઉમેદવાર સામસામે આવતા ખેલદિલી છલકાઇ