Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : “ખોટા વચન આપવાથી ધારાસભ્ય કે નેતા ન બની જવાય” સામાજીક આગેવાનના પ્રહાર

01:44 PM Mar 21, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના સાવલી (SAVLI) ના રાજકારણમાં એકાએક ગરમાવો આવ્યો છે. ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર (BJP MLA KETAN INAMDAR) જૂથના મનાતા વિજયસિંહ વાઘેલાએ તેમના જ સમાજના આગેવાન કુલદીપસિંહ રાઉલજી સામે વિડીયો બનાવીને આરોપો મુક્યા છે. તેમણે આપેલા વચનો પૂરા નહિ કર્યા તથા તેમણે સમાજને ગેરમાર્ગે દોર્યો હોવાનું વિડીયોમાં કહેવામાં આવી રહ્યું છે. ભાજપમાં જોડાયેલા કુલદીપસિંહ રાઉલજીનું પાર્ટીમાં કદ વધતા જ પ્રચંડ વિરોધ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક રાજકારણમાં વધુ એક વખત ગરમાવો આવ્યો

વડોદરા સાવલીના ધારાસભ્ય કેતનઇનામદારે તાજેતરમાં રાજીનામું આપ્યું હતું અને બપોર બાદ પરત પણ ખેેંચી લીધું હતું. આ રાજીનામા પાછળ અનેક કારણે પૈકી એક પાર્ટીમાં કુલદીપસિંહ રાઉલજીનું વધતુ કદ પણ જવાબદાર હોવાનું મનાઇ રહ્યું છે. કુલદીપસિંહ અગાઉ કેતન ઇનામદાર સામે વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસમાંથી લડીને હારી ચુક્યા છે. તાજેતરમાં પાર્ટી દ્વારા તેઓને ડભોઇની વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી. કેતન ઇનામદારના રાજીનામાની ઘટના બાદ આજે સ્થાનિક સામાજીક આગેવાન વિજયસિંહ વાઘેલાએ કુલદીપસિંહ સામે આરોપો મુકતો વિડીયો બનાવ્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. જેને કારણે સ્થાનિક રાજકારણમાં વધુ એક વખત ગરમાવો આવ્યો છે. હવે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

સમાજ કેવી રીતે એક થાય તેવું આયોજન કરો

વિડીયોમાં વિજયસિંહ વાઘેલા જણાવે છે કે, હું આટલા વર્ષેથી રાજકારણમાં છું, પરંતુ આજે મને દુખ થાય છે, અને વિડીયો બનાવવો પડ્યો છે. મેં આવો ક્યારે વિડીયો બનાવ્યો નથી. ક્યારે સમાજ વિશે બોલ્યો નથી. હું સમાજને સાથે લઇને ચાવવાવાળો છું. જે રીતે સાવલી તાલુકામાં સમાજને ગેરમાર્ગે દોરીને અને એક ભાઇ (કુલદીપસિંહ રાઉલજી) પોતાના રોટલા શેકવા માટે લોકોને ખોટા ભ્રમો આપી કાર્યક્રમો ગોઠવી રહ્યા છે. તેમને કહેવા માંગુ છું તમે શાંતિ રાખો. માતાજીના નામે સમાજ કેવી રીતે એક થાય તેવું આયોજન કરો.

લોકોને ખબર પડી ગઇ તમને સમાજ માટે કેટલો પ્રેમ છે

વધુમાં તેઓ જણાવે છે કે, મોટી મોટી વાતો કરવાથી, બણગા મારવાથી સમાજ એક ના થાય. સમાજે તમારૂ 2022 માં અને તમે દોઢ વર્ષ માટે જે સમાજ માટે કર્યું લોકોને ખબર પડી ગઇ કે તમને સમાજ માટે કેટલો પ્રેમ છે. તમે આજદિન સુધી સમાજના નામે તાલુકામાં અને બધે લાગ્યું કે મોટો આગેવાન છે. પરંતુ બધાને ખબર નથી કે આ છેતરવાવાળો આગેવાન છે.

હવે કહો છો કે, મને ક્યાં મત આપ્યા છે

વધુમાં કહ્યું કે, અમને પણ ઇચ્છા છે કે ધારાસભ્ય બની જઇએ. ખોટા વચન આપવાથી ધારાસભ્ય કે નેતા ન બની જવાય. તમે જે રીતે લોકોને મુર્ખ બનાવો છે. તમે 2022 ને વચન આપ્યા હતા, સમાજને વાડી આપીશ. વાડીનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ પણ કર્યું. હવે લોકોને કહો છો કે, મને ક્યાં મત આપ્યા છે. આટલું બધુ જુઠ્ઠુ બોલવાનું બંધ કરો. જે રીતે તમે લોકો અને સમાજને છેતર્યો છે એટલે મારે કહેવું પડે છે કે, હવે તમે બંધ કરો.

તમારી માટે ભોગ આપ્યો તેમને નોકરી અપાવો

વિડીયોમાં કહ્યું કે, તમે મોટી વાતો કરતા હતા. દિકરીઓ માટે સિવણ ક્લાસ ચાલુ શરૂ કરીશ, દિકરીઓ માટે પોલીસ ટ્રેઇનીંગ ચાલુ કરીશ, આર્મીની ટ્રેઇનીંગ ચાલુ કરીશ. હારજીત કુદરતના હાથમાં હોય છે. પરંતુ બોલ્યા પછી પાળવું આપણા હાથમાં હોય છે. બોલ્યા પછી પાળો તમે લોકોને ગેરમાર્ગે ના દોરો. તમે ખાનગીમાં કેટલાય લોકોને ડેરીમાં નોકરી આપવાનું કહ્યું હતું. તમે જીઆઇડીસીના છોકરાઓને રમણે ચઢાવ્યા. ડેરીમાં નોકરી એકને તો અપાવો. ઘરના જ લોકોને નોકરી-ધંધા મળે, તેના કરતા જેણે તમારી માટે દિવસ-રાત ઉજાગરા કર્યા છે. જેણે તમારી માટે ભોગ આપ્યો છે. તેમને નોકરી તો અપાવો.

વાતો કરો છો અને સમાજના લોકોને નડો છો

વિડીયોમાં વધુમાં જણાવ્યું કે, સમાજને તોડવાનું કામ ના કરો. કોંગ્રેસ, ભાજપ, અપક્ષ વગેરે જ્યારે સમાજનું આવે ત્યારે ન હોવું જોઇએ. તમે આ જે કરો છો, આખા સમજને ખબર પડી રહી છે. તમે વાતો કરો છો, અને સમાજના લોકોને નડો છો. તમે ખુલ્લા પડી ગયા છે. પહેલા તમે કોંગ્રેસમાં હતા, તમારા સત્તા માટે ભાજપમાં ગયા, ડેરીની ચૂંટણી લડ્યા, ફરી તમને એમ કે ધારાસભ્ય બની જાઉં એટલે તમે 2022 નું ઇલેક્શન લડ્યા. તે હારી ગયા. તને ધારાસભ્ય કુળદેવી માં અને સમાજના વડીલો બનાવશે.

હું કેતનભાઇનો વફાદાર કે કુલદીપસિંહનો વિરોધી નથી

વિડીયોમાં જણાવ્યું કે, જે દિવસે કોંગ્રેસમાંથી તુ ભાજપમાં જોડાયો ત્યારે તારી સાથેના છોકરાઓ તારી સાથે કેમ ન આવ્યા. કેતનભાઇ જોડે જઇને જોડાયા. હું કેતનભાઇનો વફાદાર કે કુલદીપસિંહનો વિરોધી નથી. પરંતુ જ્યારે સમાજની વાત આવે, ત્યારે તેને ગેરમાર્ગે ન દોરો. હું સાચો વ્યક્તિની સાથે રહીશ. જે રીતે તમે અત્યારે ચાલી રહ્યા છો, સમાજને વાડી આપી દો. ટ્રસ્ટ બનાવવાની વાતો ક્યાં ગઇ.

100 યુવાનોને પુછીને નિર્ણય લીધો

આખરમાં કહે છે કે, ભાઇ સમાજને છેતરવાનું બંધ કર ભાઇ, સમાજનના નામે ચર્ચા ન કર ભાઇ, સમાજના આગેવાનોએ વિરોધ નથી કર્યો. પણ હવે કરવો પડશે. જો તમે વચન પુરૂ નહિ કરો તો સ્વયંભુ યુવાનો અને વડીલો સાથે મળીને તમારી પાસે આવીશું. અને 100 યુવાનોને પુછીને નિર્ણય લીધો છે. વચન પુરૂ નહિ થાય તો ચૂંટણી પહેલા અમે વાડીના ગેટ પર જવાબ લેવા આવીશું. જો સમાજને છેતરવાની વાત કરશો તો અમે સાખી નહિ લઇએ.

આ પણ વાંચો —VADODARA : 20 વર્ષ જૂના કોમ્પલેક્ષની બાલ્કની મધરાત્રે ધરાશાયી