+

Food for Thought Fest 2024: અમદાવાદમાં ફૂડ ફોર થોટ ફેસ્ટ 2024 નો ભવ્ય પ્રારંભ, જાણો કેવું છે આયોજન?

Food for Thought Fest 2024: અમદાવાદ, 8 માર્ચ : આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા ધરાવતાં ભવ્ય ફૂડ ફેસ્ટિવલ, ફૂડ ફોર થોટ ફેસ્ટનો શુક્રવારથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રારંભ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…

Food for Thought Fest 2024: અમદાવાદ, 8 માર્ચ : આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા ધરાવતાં ભવ્ય ફૂડ ફેસ્ટિવલ, ફૂડ ફોર થોટ ફેસ્ટનો શુક્રવારથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રારંભ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસએએજી (સાઉથ એશિયન એસોસિયેશન ફોર ગેસ્ટ્રોનોમી)ના સહયોગથી આયોજિત આ ફેસ્ટિવલ સ્વાદ, સંસ્કૃતિ અને ચર્ચાનો અનોખો સંગમ છે. Food for Thought Fest 2024 નું ઉદઘાટન સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો.કિરીટ સોલંકી, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, અમદાવાદના મેયર પ્રતિભા જૈન અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ વિશે એસએએજીના સ્થાપક મનીષ બહેતીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ‘અમદાવાદમાં ભારતની સૌથી જાણીતી લક્ઝરી ગેસ્ટ્રોનોમી ઇવેન્ટ ફૂડ ફોર થોટ ફેસ્ટનું આયોજન કરવું એ અમારું સૌભાગ્ય છે. આ ફેસ્ટ માત્ર સ્વાદના રસિયાઓ માટે જ નહીં, પરંતુ પાકકળાની ચર્ચા, વિવિધ વાનગીઓ અને ફૂડને લગતી તમામ બાબતોની ઉજવણી માટે એક આગવું ફોરમ પણ છે. અમારી પાસે સમગ્ર ભારત અને ઉપખંડના માસ્ટર શેફ છે જે તેમની અનોખી પાકકલાની નિપુણતા દર્શાવશે. અમે અમદાવાદના લોકોને દક્ષિણ એશિયાના સમૃદ્ધ પાકકલાના વારસાના સાક્ષી બનવા આમંત્રણ આપીએ છીએ.’

ઉદઘાટનના દિવસે પદ્મશ્રી ડો.પુષ્પેશ પંત, નેપાળની રોહિણી રાણા, શ્રીલંકાના શેફ રજિત આબેસેકારા અને બાંગ્લાદેશની નાહિદ ઉસ્માન જેવી જાણીતી હસ્તીઓનું રસપ્રદ પેનલ ડિસ્કશન યોજાયું હતું. ‘કન્ઝર્વેશન ઓફ રોયલ કલિનરી હેરિટેજ’ વિષય પર આયોજિત એક પેનલ ડિસ્કશનમાં કિચન ઓફ ધ કિંગ્સના સ્થાપક અંશુ ખન્નાએ બાલાસિનોર, છોટા ઉદેપુર, નેપાળ અને છતરીના રાજવી પરિવારો સાથે ચર્ચા કરી હતી.

8 થી 10 માર્ચ દરમિયાન યોજાનારા આ ફૂડ ફોર થોટ ફેસ્ટ (Food for Thought Fest 2024) માં ત્રણ મુખ્ય સેગમેન્ટ – ફૂડ ફેસ્ટ, થોટ ફેસ્ટ અને ફન ફેસ્ટનો સમાવેશ થાય છે. ફેસ્ટિવલમાં ભાગ લેનારા પાર્ટિસિપન્ટ્સ દક્ષિણ એશિયાની રાંધણકળાની માહિતી મેળવી શકશે, જેમાં ચર્ચા, કૂકરી ડેમો, ફૂડ કોર્ટ, બજાર અને લાઈવ એન્ટરટેઈનમેન્ટનો સમાવેશ થાય છે. ‘અ ટેસ્ટ ઓફ લક્ઝરી’ અને ‘ધ રિજનલ ફ્લેવર’ એમ બે અલગ જ પ્રકારની થીમ સાથે ફૂડ કોર્ટ તૈયાર કરાયા છે જેમાં લકઝરી હોટલ દ્વારા તેમની ટોચની વાનગીઓ પિરસવામાં આવશે તથા સ્ટ્રીટ ફૂડ વેન્ડર પ્રાદેશિક વાનગીઓ રજૂ કરશે.

આ ફેસ્ટિવલમાં વાનગીઓના ત્રણ અલગ પેવેલિયન પણ રાખવામાં આવ્યા છે. જેમાં રોયલ પેવેલિયનમાં રાજવી પરિવારોની વાનગીઓ રજૂ કરાશે. સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં પુરીના જગન્નાથ મંદિર તથા વૃંદાવનના રાધા રમણ મંદિર એ બે જગપ્રસિદ્ધ મંદિરોમાં ભોગ રૂપે ધરાવતી વાનગીઓ રજૂ કરાશે, જ્યારે વેલનેસ પેવેલિયનમાં આધુનિક ભારતીય વાનગીઓનો સમાવેશ કરાયો છે. જેમાં સેલિબ્રિટી શેફ ગૌતમ મહર્ષિ, આયુર્વેદમાં દર્શાવાયેલ શરીરના ત્રણ પ્રકાર મુજબની વાનગીઓ રજૂ કરશે.


કોફી પ્રેમીઓએ સૂત્રા કોફીના કોફી પેવેલિયન મુલાકાત અચુક લેવી જોઈએ. જ્યાં ફેસ્ટિવલમાં આવનાર લોકો ખેતરથી લઈને કોફીના કપ સુધીની કોફીની સફરનો અનુભવ માણી શકશે. ફેસ્ટિવલમાં ભાગ લેનારાઓને ભારતમાં જન્મેલા અને બ્રિટનમાં રેસ્ટોરાં ધરાવતા અને લંડનની દાર્જિલિંગ એક્સપ્રેસ રેસ્ટોરાંના માલિક અસ્મા ખાન, શેફ મનીષા ભસીન, આઇટીસી હોટેલ્સના કોર્પોરેટ શેફ અને સેલિબ્રિટી શેફ સુવિર સરન દ્વારા બે કૂકરી માસ્ટરક્લાસ અપાયા હતાં.

108 રેસિપીઝ ફ્રોમ નેપાળ

આ દિવસે રોહિણી રાણાની લેટેસ્ટ કુકબુક “108 રેસિપીઝ ફ્રોમ નેપાળ”નું લોન્ચિંગ અને પુરસ્કાર વિજેતા છાઉ કલાકાર ગોવિંદ મહાતો દ્વારા શિવ તાંડવનું આકર્ષક નૃત્ય પ્રદર્શન પણ રજૂ કરવામાં આવ્યું હતું. દિવસના અંતે જાણીતા સૂફી કલાકાર ફરહાન સાબરીના અદભૂત પરફોર્મન્સે લોકોના મન મોહી લીધાં હતાં. ફૂડ ફોર થોટ ફેસ્ટના આગામી બે દિવસમાં રસપ્રદ પેનલ ડિસ્કશન, કૂકરી માસ્ટરક્લાસ, લાઇવ એન્ટરટેઇનમેન્ટ અને અન્ય આકર્ષણો સામેલ છે.

અહેવાલઃ સંજય જોષી, અમદાવાદ

આ પણ વાંચો: Dabhoi And Bharuch Mahashivratri: જાણો… ડભોઈ અને ભરૂચમાં આવેલા મહાદેવ શંકરના મંદિરની વિશેષતાઓ
આ પણ વાંચો: Vadodara : શિવજી કી સવારીમાં શિવ પરિવારના દર્શન કરવા ઉમટ્યા ભક્તો
આ પણ વાંચો: CM Bhupendra Patel At Kheda: શિવરાત્રિના પાવન પર્વે ખેડા જિલ્લાને રૂ. 352.98 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેંટ મળી
Whatsapp share
facebook twitter