હાઈકોર્ટમાં સૂઓમોટોનો સ્વીકાર : વડોદરા શહેરના હરણી તળાવમાં કાલે ભયાવહ દુર્ઘટના સર્જાઇ હતી. હચમચાવી મૂકે તેવી આ ઘટનામાં 14 માસૂમ જિંદગીનો ભોગ લેવાયો હતો. આ ચોંકાવનારી ઘટના સામે આવ્યા બાદ ઘટનાના ભોગ બનેલા પરિવારોમાં ભારે આક્રંદ પણ જોવા મળી રહ્યો છે. આ ભયાવાહ ઘટનાએ સમગ્ર ગુજરાતને હિબકે ચડાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બનાવની કરુણતાને પગલે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યા કડક કાર્યવાહીના નિર્દેશ કર્યા હતાં. જેના ભાગરૂપે અત્યારે 18 આરોપીઓ સામે IPCની કલમ 304, 308 અને 337,338 અને 114 હેઠળ ગુનો દાખલ કરાયો છે.
વડોદરાની બોટ દુર્ઘટનાના હાઈકોર્ટમાં પડઘા
હવે આ વડોદરા દુર્ઘટના કેસને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં હરણી તળાવમાં બોટ પલટી જવાનો આ કેસ હવે ગુજરાત હાઇકોર્ટ સીધી પહોંચ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવાની રજૂઆતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એડવોકેટ એસોસિએશનની રજૂઆત બાદ કોર્ટ લાલઘૂમ થઈ છે અને કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બેદરકારીથી નિર્દોષના જીવ ગયા એ સાંખી લેવામાં આવશે નહીં.
મુખ્ય ન્યાયાધીશેએ મંગાવ્યા સમાચાર અહેવાલો
સમગ્ર બાબત એમ છે કે, હાઇકોર્ટના એડવોકેટ એસોસિયેશનના પ્રમુખે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. તેમણે વધુમાં પોતાની રજૂઆતમાં ઉમેર્યું હતું કે સુરક્ષાનો ભારે અભાવ હતો અને બોટમાં હાજર કોઈ પણ વ્યક્તિને લાઈફ જેકેટ આપવામાં આવ્યા ન હતા. પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીની રજૂઆતને ચીફ જસ્ટિસ જજની કોર્ટે સ્વીકારી છે. જેને લઈ હવે હરણી તળાવમાં બોટ પલટી જવાનો કેસ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો છે. જે બાદમાં હવે સુઓમોટોની રજૂઆત બાદ મુખ્ય ન્યાયાધીશે સમાચાર અહેવાલો મંગાવ્યા છે.
પરિવારે શાળા સંચાલક પર આક્ષેલ લગાવ્યો
ગુજરાત ફર્સ્ટની ટીમ અલિશબા કોઠારી ના ઘરે પહોંચી હતીં, ધોરણ ચારમાં ભણતી અલિશબા કોઠારીનું પણ ડૂબી જવાથી મોત થઈ ગયું હતું. અલિશબાના પરિવારે સ્કૂલ સંચાલક પર આક્ષેપ લગાવ્યો છે. પરિવારે આક્ષેપ કરતા કહ્યું કે, “બાળકોને પિકનિકમાં ક્યાં લઈ જાય છે તે પણ નહોતું જણાવ્યુ”. આ સાથે મેયર અને કમિશનર રાજીનામું આપે તેવી પરિવારના લોકો માંગ કરી રહ્યાં છે.
આ પણ વાંચો — HARNI KAND: ક્યાંક અંતિમ યાત્રા તો ક્યાંક નીકળી રહ્યો છે ઝનાઝો, સમગ્ર વડોદરામાં આક્રંદ