Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગોંડલમાં લોકોની તરસ છીપાવતા દેવાભાઈ, કહ્યું- લોકોને પાણી પીવડાવીને ઋણ ચુકવું છું

04:07 PM Apr 19, 2024 | Hardik Shah

મારા જીવનની સંધર્ષ રૂપી તરસ ભોળાનાથે છીપાવી અને હવે હું લોકોને પાણી પીવડાવીને કુદરતનું ઋણ ચૂકવી રહ્યો છું. આ શબ્દો ગોંડલ (Gondal) માં ધમધકતા તાપની વચ્ચે લોકોની તરસ છીપાવતા દેવાભાઈ ગીગાભાઈ હોલીયા (Devabhai Gigabhai Holia) ના છે. છેલ્લા 10 વર્ષથી ઉનાળાના ચાર મહિના પોતાની સાયકલ ગ્રંથમાં 50 જેટલી પાણીની થેલી રાખે છે અને ગૉડલ શહેર (Gondal City) ના રાહદારીઓ અને પ્રવાસીઓને ઠંડુ પાણી (Cold Water) પીવડાવે છે. દેવાભાઈ પોતે સુખી સંપન્ન છે, જમીન અને મિલ્કત મળીને તેમની પાસે કરોડો રૂપિયાની જમીન છે. તેમના કહેવા પ્રમાણે ભગવાને તેમના જીવનની બધી જ જરૂરિયાત પુરી કરી છે અને હવે તેવો જનસેવા કરીને પોતાનું જીવન વિતાવવા ઇચ્છી રહ્યા છે.

પાણીની સેવા માટેનો જીવન મંત્ર પણ છે

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ ગરમીનો પારો વધી રહ્યો છે. તડકામાં લોકો લીંબુ પાણી, પાણી , ઠંડાપીણા નો સહારો લઈ રહ્યા છે. ત્યારે દેવાભાઈએ પોતાની પાણીની સેવા માટેનો જીવન મંત્ર પણ છે, ઠંડુ – કડક અને મીઠુ તમે પાણી પીવો મફત…બસ આ જ સૂત્ર સાથે સવારે 7 વાગ્યાથી તેઓ પોતાના ઘરેથી નીકળી પડે છે પોતાની સાયકલ રથમાં 50 જેટલી પાણીની બોટલો લઈને અને સાંજના પાંચ વાગ્યા સુધી 1000 લીટર પાણી 500 જેટલા રાહદારીઓ, મજૂરોને પાણી આપે છે. એટલુ જ નહી ગોંડલ શહેરમાંથી પસાર થતી બસોના મુસાફરોને પણ દેવાભાઈ પાણી પીવડાવે છે, તેમની બોટલો પણ ભરી આપે છે.

દિવસમાં બેવાર પાણી ભરવા જાય છે

દેવાભાઈ આ તમામ સેવા વિનામૂલ્યે કરે છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થી પાણી ભરી સૌપ્રથમ સવારે 1.5 કી.મી. અંતર સાયકલ પર કાપી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા મજૂરો યાર્ડમાં જણસી વેચવા આવતા ખેડૂતોને ઠંડુ પાણી પીવડાવે છે. ત્યારબાદ બપોરે 1 વાગ્યે ગુંદાળા ચોકડી પાસે રાહદારીઓ તેમજ મુસાફરોને ઠંડુ પાણી પીવડાવી લોકોની તરસ છીપાવે છે.

દેવાભાઈએ હરતું ફરતું પાણીનું પરબ બનાવ્યું

દેવાભાઈની આ સેવાની પુરા ગોંડલ શહેરમાં સરાહના થઈ રહી છે, લોકો પણ હવે દેવાભાઈને પાણીવાળા દેવાભાઈ તરીકે ઓળખવા લાગ્યા છે. આમ તો આપણે અનેક વખત સાંભળ્યુ છે કે લોકો પાણીના પરબ બંધાવે છે પરંતુ દેવાભાઈએ હરતુ ફરતુ પાણીનું પરબ બનાવીને એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ છે.

ચૈત્રી નવરાત્રિમાં દેવાભાઇની અનોખી છાશ વિતરણ સેવા

છેલ્લા 35 વર્ષથી ચૈત્રિ નવરાત્રિમાં પણ દેવાભાઇ રામજી મંદિર ખાતે છાશનું વિનામૂલ્યે છાશનું વિતરણ કરે છે,નવ દિવસ સુધી ગામમાંથી લોકો પાસે દુધ એકત્ર કરીને પોતાની જાતે છાશ બનાવે છે અને લોકોને છાશ પીરસે છે જેની પણ શહેરમાં સરાહના થઈ રહી છે.

અહેવાલ – વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો – Gondal Financial Fraud: IAF ફાયનાન્સીંગ એપમાં ઉંચા વળતરની લાલચે પાંચ લોકોએ રૂ.10.91 લાખ ગુમાવ્યાં

આ પણ વાંચો – Gujarat First EXCLUSIVE : ગૃહમંત્રી અમિત શાહ સાથે વિશેષ સંવાદ, જાણો ચૂંટણી, કોંગ્રેસ અને દેશના માહોલ વિશે શું કહ્યું?