Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ડભોઈ : દર્ભાવતી નગરીમાં દેશ નેતાઓની પ્રતિમા ઉપરથી ચશ્મા થયા ગાયબ

08:25 PM May 08, 2023 | Hiren Dave

ડભોઈ દર્ભાવતી નગરીમાં નગરની મધ્યમાં ટાવર ચોકમાં રાષ્ટપિતા મહાત્મા ગાંધી અને નગરના વડોદરી ભાગોળ એસ.ટી. ડેપો મુખ્ય માર્ગ ઉપર બંધારણનાં ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની પૂરાં કદની પ્રતિમા આવેલી છે. આ બંને પ્રતિમાં ઉપરના ચશ્માં છેલ્લાં કેટલાક દિવસોથી ગાયબ થઈ જવા પામ્યા છે. જેને લઈને ડભોઇ નગરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે

આંબેડકરની પ્રતિમા ઉપરના ચશ્માં સાથે છેડછાડ કરી
કેટલાક અટકચાળા તોફાની તત્વો દ્વારા મહાત્મા ગાંધીજીની અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ઉપરના ચશ્માં સાથે છેડછાડ કરી હતી અને બંને પ્રતિમાં ઉપરથી ચશ્માં ગાયબ થઈ ગયાં હતાં. જેથી નગરનાં જાગૃત નાગરિકોની લાગણી દુભાઈ હતી અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉભી થવા પામી છે.

નાગરિકો દ્વારા વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી
થોડા દિવસ પૂર્વે જ મહાત્મા ગાંધીજી અને ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉપરથી ચશ્મા કોઈએ ઉતારી લીધા કે પછી તોફાની કૃત્ય કરી મજાક ઉડાવી છે ? આ બાબત અંગે સ્થાનિક જાગૃત નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે અને આ નાગરિકો દ્વારા વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ વહીવટી તંત્રની નિષ્કાળજી અને ઘોર નિંદ્રાની અવસ્થાને કારણે આ ક્ષોભજનક પરિસ્થિતિ ઉભી થવા પામી છે. આપના દેશનાં ઘડવૈયાઓનું ઘોર અપમાન થઈ રહ્યું છે. ત્યારે વહીવટી તંત્ર સવેળા પગલાં ભરે તે હાલના સમયની માંગ છે.

આમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવાયા નથી.
આ વિસ્તારની અંદર સીસીટીવી કેમેરાઓ પણ લગાવેલાં છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવાયા નથી. જેના કારણે આવા તત્વો આ પ્રકારનાં કૃત્ય કરવાની હિંમત દાખવી રહયાં છે. દેશ નેતાઓની પ્રતિમાઓ સાથે છેડછાડ કરવાવાળા તત્વો સામે તાત્કાલિક ધોરણે પગલાં ભરવા જોઈએ અને આવા બનાવો ફરીથી ન બને તે માટે તંત્રએ પણ પૂરતી તકેદારી રાખવી જોઈએ તેવી જાગૃત નાગરિકોએ માંગ કરી છે.

આ બનાવ અંગે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકીશન તડવીએ જણાવ્યું છે કે, જાગૃત નાગરિકોનાં માધ્યમથી ફરિયાદ મળી છે કે, નગરમાં આવેલ મહાત્મા ગાંધીજીની અને ડો. બાબાસાહેબ આંબેડકરની પૂરા કદની પ્રતિમા ઉપરથી કોઈએ ચશ્મા ઉતારી અટકચાળુ તોફાની કૃત્ય કર્યુઁ છે. આ પ્રકારનો બનાવ ભૂતકાળમાં પણ બનેલો હતો. જેમાં તંત્ર દ્વારા પ્રતિમાને પુનઃ ચશ્મા પહેરાવવામાં આવ્યા હતા. આ ઘટના ફરી એક વખત બનતા નગરપાલિકા તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોનાં સીસીટીવી કેમેરાઓની ચકાસણી કરવામાં આવશે. આ બાબતે સંબંધિત પોલીસ અધિકારીને પણ આ અંગે કાર્યવાહી કરવા જણાવવામાં આવશે. તેમજ બંને પ્રતિમા ઉપર તત્કાળ પુનઃ ચશ્માં લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અહેવાલ -પીન્ટુ પટેલ ડભોઇ, વડોદરા 

આપણ  વાંચો- વસ્ત્રાપુર વિસ્તારની એક રેસ્ટોરન્ટમાં સામાન્ય બાબતે બોલાચાલી મોતમાં પરિવર્તિત થઇ