Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IPL માં કોરોનાની એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સની પૂરી ટીમ થઇ ક્વોરેન્ટીન

09:39 PM Apr 29, 2023 | Vipul Pandya

IPL 2022માં કોરોનાની એન્ટ્રી થઇ ગઇ છે. દેશમાં કોરોનાના કેટલાક વધતા જતા કેસોની અસર ચાલી રહેલી IPL-2022 પર પણ દેખાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સની ટીમ સૌથી પહેલા તેનો શિકાર બની છે અને પૂરી ટીમને ક્વોરેન્ટિન કરવાની ફરજ પડી છે. 
દિલ્હી કેપિટલ્સનો વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હી કેપિટલ્સની ટીમે આજે પૂણેનો પ્રવાસ રદ કરી દીધો છે. ટીમે તેની આગામી મેચ પૂણેમાં રમવાની હતી. આજે અને આવતીકાલે ટીમના તમામ સભ્યો મુંબઈમાં તેમના હોટલના રૂમમાં રોકાશે, જ્યાં તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. ટીમના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ ગયા અઠવાડિયે કોવિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા અને તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 
એવું માનવામાં આવે છે કે, રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં અન્ય એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. પરિણામની પુષ્ટિ કરવા માટે RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવશે. ક્રિકેટબઝના રિપોર્ટ અનુસાર, દિલ્હીનો એક ખેલાડી પોઝિટિવ આવ્યા બાદ આખી ટીમનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવવાનું બાકી છે. ગયા વખત કરતા આ વખતે કોરોનાના બાયો બબલ્સ ઘણા કડક બન્યા છે. જોકે, હવે કોરોના કેસના આગમનને કારણે BCCIનું ટેન્શન વધી ગયું છે.
આ વખતે BCCIએ કોરોનાને લઈને IPLના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે કોઈ ખેલાડીને કોરોના સંક્રમિત થવાને કારણે મેચ પર કોઈ અસર થશે નહીં. જો ટીમના 12 ખેલાડીઓ સ્વસ્થ હશે તો મેચ થશે. આ માટે સાત ખેલાડીઓ ભારતીય હોવા જોઈએ. જો આમ નહીં થાય તો મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. 
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી કેપિટલ્સ ટીમના એક વિદેશી ખેલાડી કોરોના સંક્રમિત થયો છે. તે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ખેલાડી છે. તેમાં કોરોનાના કેટલાક લક્ષણો દર્શાવ્યા બાદ તેનો રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
IPLની 15મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં 8માં ક્રમે છે. તેણે પાંચમાંથી બે મેચ જીતી છે અને તેના ચાર પોઈન્ટ છે. દિલ્હી કેપિટલ્સે તેની છેલ્લી મેચ 16 એપ્રિલે રમી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી આ મેચમાં દિલ્હીને 16 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. વળી, ટીમના ફિઝિયો ફરહાર્ટ કોવિડ હોવાની માહિતી 15 એપ્રિલે આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં બે વર્ષ પછી IPL થઈ રહી છે. IPLની પાછલી સીઝન ભારતમાં શરૂ થઈ હતી, પરંતુ કોરોનાના વધતા કેસોને પગલે તેને યુએઈમાં શિફ્ટ કરવામાં આવી હતી. છેલ્લી સીઝનની અડધાથી વધુ મેચ યુએઈમાં રમાઈ હતી. ટીમના ઘણા ખેલાડીઓ અને સ્ટાફ કોરોના સંક્રમિત થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.