જેમ જેમ ગુજરાત વિધાનસભાાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય રંગ જામી રહ્યો છે. ખાસ કરીને નેતાઓની નિવેદનબાજી તથા આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરુ થયો છે. ગુજરાતના શિક્ષણ મંત્રી અને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આજે એક નિવેદનમાં કહ્યું હતું કે 2023માં ભુપેન્દ્ર પટેલ જ ફરી મુખ્યમંત્રી બનશે, ત્યારે હવે આ મુદ્દે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે.
ગુજરાતની જનતાનું અપમાન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આ નિવેદનને ગુજરાતની જનતાનું અપમાન ગણાવ્યું છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આ નિવેદનને લઇને ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકાર ઉપર પ્રહાર કર્યા છે. રઘુ શર્માએ કહ્યું કે આ ભાજપનો ઘમંડ બોલે છે મુખ્યમંત્રી કોણ બનશે, સાંસદ કોણ બનશે અને ધારાસભ્ય કોણ બનશે તે નક્કી ગુજરાતની જનતા કરશે. આવી રીતે નિવેદન કરીને જીતુ વાઘાણીએ ગુજરાતના મતદારોનું અને ગુજરાતની પ્રજાનું અપમાન કર્યું છે.
ભાજપનો ઘમંડ બોલે છે
રઘુ શર્માએ કહ્યું કે લોકતંત્રમાં આનાથી હલકી કક્ષાનો કોઈ મજાક ના હોઈ શકે. લોકતંત્રમાં અત્યારે આ ભાજપનો ઘમંડ બોલી રહ્યો છે. મુખ્યમંત્રી નક્કી કરવાનું કામ ગુજરાતની જનતા કરે છે. ભાજપ મુખ્યમંત્રી અંગે વાત કરી ગુજરાતનું અપમાન કરે છે.
જીતુ વાઘાણીએ શું કહ્યું હતું?
આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કોન્વોકેશન હોલની અંદર એલડી કોલેજનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને મંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યાં હતાં. એલડી કોલેજની સ્થાપનાને 75 વર્ષ પુરા થતા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંબોધન દમિયાન શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ‘2023માં ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી હશે. એટલે જાન્યુઆરીમાં LDના જલસાના કાર્યક્રમમાં પાછા આવીશું.’