બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનની સરકાર હવે સંકટમાં આવી ગઇ છે. જેનું કારણ તેમના મંત્રીઓનું બેક ટૂ બેક રાજીનામું આપવું છે. મહત્વનું છે કે, બ્રિટનના નાણા મંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે બોરિસ જોનસનની સરકારમાંથી રાજીનામું આપી દીધું છે.
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને મંગળવારે સ્વીકાર્યું હતું કે, તેમના પર વધી રહેલા દબાણ વચ્ચે સંસદના એક ખરાબ સભ્યને સરકારના મુખ્ય પદ પર નિયુક્ત કરવું ખોટું હતું. આ પછી નાણામંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદે રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા પછી, આરોગ્ય મંત્રી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે, શ્રેણીબદ્ધ કૌભાંડો પછી તેઓ દેશના હિતમાં શાસન કરવાની જોનસનની ક્ષમતામાં વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે અને તે હવે ન્યાયપૂર્ણ રીતે શાસન કરી શકશે નહીં.
બીજી તરફ જોનસને જણાવ્યું હતું કે, સસ્પેન્ડેડ એમપી ક્રિસ પિન્ચર સામેની ગેરવર્તણૂકની ફરિયાદ વિશે જાણ્યા પછી પણ તેમને ‘ડેપ્યુટી ચીફ વ્હીપ’ના સત્તાવાર પદ પર નિમણૂક કરવા બદલ તેમને ખૂબ જ દુઃખ છે. મંત્રીઓના રાજીનામા જોનસનના નેતૃત્વ માટે મોટો આંચકો સાબિત થઇ શકે છે. અગાઉ, ભૂતપૂર્વ અમલદારે તાજેતરમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદ ક્રિસ પિન્ચર સામેના આરોપોને સંભાળવાની ડાઉનિંગ સ્ટ્રીટની રીત પર ટિપ્પણી કરી હતી. ઋષિ સુનકે ટ્વીટ કર્યું, ‘જનતા સરકારથી તે અપેક્ષા રાખે છે કે તે યોગ્ય રીતે, સક્ષમ રીતે અને ગંભીરતાથી ચાલે.’
રાજીનામામાં સુનકેએ કહ્યું કે, તેઓ સરકારમાંથી બહાર આવવાથી દુઃખી છે, પરંતુ તેમણે સરકારમાંથી બહાર આવવું પડ્યું કારણ કે તેઓ સરકારમાં રહી શકતા નથી. લોકો અપેક્ષા રાખે છે કે સરકાર યોગ્ય કામ કરે, ગંભીરતાથી કામ કરે. મને લાગે છે કે, મંત્રી તરીકે આ મારી છેલ્લી નોકરી છે. પરંતુ હું માનું છું કે લોકોની અપેક્ષાઓ માટે લડવું વ્યાજબી છે અને તેથી જ હું રાજીનામું આપી રહ્યો છું.
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ગયા મહિને વિવાદમાં ફસાયા બાદ અવિશ્વાસ પ્રસ્તાવ જીત્યો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીના 211 સભ્યોએ તેમને પદ પર રહેવા માટે મત આપ્યો, જ્યારે 148 સભ્યોએ તેમની વિરુદ્ધ મતદાન કર્યું. મહત્વનું છે કે, જૂન 2020મા ડાઉનિંગ સ્ટ્રીટમાં આયોજિત જન્મદિવસની પાર્ટીમાં, 40થી વધુ ધારાસભ્યોએ કોવિડ-19 લોકડાઉન સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપો પર જોનસનના રાજીનામાની માંગ કરી હતી. આ મામલો લાંબા સમયથી સમાચારોમાં રહ્યો હતો.