Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Chotila : ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ચામુંડા માતાજીને વિશેષ શણગારથી સજાવવામાં આવ્યા

02:37 PM Apr 09, 2024 | Hardik Shah

Chotila : હિન્દુ ધર્મમાં દરેક તહેવારનુ વિશેષ મહત્વ છે ત્યારે ચૈત્રી નવરાત્રિ (Chaitri Navratri) ના પ્રથમ દિવસે જ સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar district) ના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા (Chotila) ખાતે દર્શનાર્થીઓની સવાર થી જ ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ ચામુંડા માતાજી (Chamunda Mataji) ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો. જ્યારે ચામુંડા માતાજીને પણ વિશેષ શણગારથી સજાવવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્રનુ પ્રવેશદ્વાર ગણાતુ એવા સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના મંદિરે આમ તો પૂનમ સહિત બારે મહિના ભકતોની ભીડ રહે છે. પરંતુ ચૈત્રી નવરાત્રી દરમિયાન ચામુંડા માતાજીના દર્શનનું વિશેષ મહત્વ વર્ષોથી ચાલ્યું આવે છે. ત્યારે આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે જ ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે ભકતોની ભીડ ઉમટી પડી હતી. માત્ર સુરેન્દ્રનગર જ નહિ પરંતુ રાજકોટ, મોરબી, પાવાગઢ, મહેસાણા, અમદાવાદ, ભાવનગર સહિત બહારના જીલ્લા અને રાજ્યમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજી દરેક ભકતોની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને લાખો લોકોની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર છે. ત્યારે ચૈત્રી નવરાત્રીમાં દર્શનાર્થે ભકતોની ભીડ જોવા મળી હતી. ચૈત્રી નવરાત્રી દરમિયાન ચામુંડા માતાજીના વિશેષ અલગ અલગ પ્રકારના શણગારમાં માતાજી પ્રાગટ્ય સ્વરૂપે દેખાતા હોવાની પણ ભક્તોમાં માન્યતા છે. એટલે જ ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં લોકો ચામુંડા માતાજીના દર્શન કરવા વહેલી સવારથી પહોંચી ગયાં હત‍ાં.

આ ઉપરાંત ચૈત્રી નવરાત્રી દરમિયાન આઠમના દિવસે ડુંગર પર હવનનું પણ આયોજન કરવામાં આવે છે. તેમજ ચૈત્રી નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં આવતા ભક્તો માટે ડુંગર ટ્રસ્ટ તરફથી ચા પાણી તેમજ પ્રસાદની પણ નિ:શુલ્ક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હાલ ઉનાળાનો સમય હોવાથી ડુંગર ચડતા સમયે અમુક અંતરે પાણીની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. માં ચામુંડાના દર્શનાર્થે આવતા લોકોને કોઇ પણ પ્રકારની તકલીફ ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ તરફથી પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમિયાન અંદાજે પાંચ લાખથી વધુ લોકો માતાજીના ચરણોમાં શીશ ઝુકાવશે. આમ ચૈત્રી નવરાત્રીને પ્રથમ દિવસે જ સમગ્ર માહોલ બોલો ચામુંડા માત કી જયના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો.

અહેવાલ – વિરેન ડાંગરેચા

આ પણ વાંચો – મરાઠી સમાજ દ્વારા આજે ગુડી પડવાના પર્વની કરાઈ રહી છે ઉજવણી, જાણો તેની પાછળની દંતકથા વિશે

આ પણ વાંચો – Chaitri Navratri : ચૈત્ર નવરાત્રિ પર્વે શક્તિપીઠ અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ભદ્રકાળીમાં માઈભક્તોનું ઘોડાપૂર, વાંચો અહેવાલ