Chhotaudepur Rain: છોટા ઉદેપુરમાં ભર શિયાળે મેઘરાજા મહેમાન બન્યા છે. ત્યારે જગતના તાત રવિ પાકને લઈને મોટી મુશ્કેલીમાં મૂકાયા છે. છોટા ઉદેપુર સહિત પંથકમાં 9 જાન્યુ. ની રાત્રિ તેમજ 10 જાન્યુ. ની વહેલી સવારે કમોસમી વરસાદ ધીમીધારે તો ક્યાંય ધોધમાર ત્રાટક્યો હતો.
હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, નવા વર્ષની શરૂઆત સાથે જ પ્રથમ સપ્તાહમાં કેટલાક વિસ્તારોમાં ઘાટાવાદળો રહેવાની જેમાં વાદળો સીમિત વિસ્તારોમાં હશે તેમજ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
છોટા ઉદેપુરમાં કપાસના પાકને ભારે નુકસાન થયું
ત્યારે છોટાઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં જોરદાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ રાત્રે વરસાદ પડતા જ ખેડૂતો માટે વરસાદ આફતનો વરસાદ સાબિત થયો હતો. ખેતરમાં કપાસનો પાક તૈયાર હતો અને તેવામાં માવઠું થતા કપાસના પાકને નુકશાન થયું છે. સંખેડા તાલુકાનો મેવાસ વિસ્તાર કપાસની ખેતી માટે જાણીતો વિસ્તાર છે.
આ વિસ્તારના ખેડૂતો મોટાભાગે કપાસની જ ખેતી કરે છે. અગાઉ પણ જ્યારે માવઠું થયું ત્યારે પણ ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. આ વખતના પણ આ કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાન થયું છે.
ઉત્તરાયણ સુધી કપાસ ખરીદી બંધ કરવામાં આવી છે
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ગત રાત્રે પડેલા માવઠાને કારણે ઉત્તરાયણ સુધી કપાસની ખરીદી સીસીઆઇએ બંધ કરી છે. હાંડોદ અને બહાદરપુરમાં ઉત્તરાયણ પછી ટેકાના ભાવે કપાસ ખરીદી કરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં કમોસમી વરસાદ ખાબકી ગયો હતો. ભારે વરસાદ પડવાને કારણે કપાસની જીનોમાં પાણી ભરાઈ ગયા હતા. કપાસના પાકમાં પણ નીચેના ભાગમાં પાણી ભરાયું હતું. તે ઉપરાંત કપાસીયા પણ પલળી ગયા હતા. જેને કારણે સીસીઆઇ દ્વારા અત્રે હાંડોદ અને બહાદરપુર આ બંને સેન્ટરો ઉપર ટેકાના ભાવે કપાસની ખરીદી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
ઉત્તરાયણ સુધી કપાસની ખરીદી નહીં કરવામાં આવે, તેવો સીસીઆઈના અધિકારી સચિન કુલેએ જણાવ્યું હતું. ઉતરાયણ બાદ કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે માવઠાને કારણે માત્ર ખેડૂતો જ નહીં પરંતુ જીનરો અને હવે સીસીઆઈ પણ હેરાન પરેશાન થઈ ગયા છે. કારણ કે… છોટાઉદેપુર જિલ્લામાં કુલ 49 એમએમ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: Weather Update : રાજ્યમાં હજુ પણ 24 કલાક માવઠાંનું સંકટ