Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CHHOTA UDEPUR : માવઠાના કારણે હાલ ખેડૂતોને ખેતીમાં મોટા નુકસાનની ભીંતિના ભણકારા વાગી રહ્યા છે

09:05 PM Dec 05, 2023 | Harsh Bhatt
અહેવાલ – તોફીક શેખ 
સમગ્ર રાજ્ય સહિત છોટાઉદેપુર જિલ્લામાં પણ ૨૬ નવેમ્બરના માવઠા એ પ્રકોપ મચાવતા અને ભર શિયાળે ચોમાસા જેવું વાતાવરણ ઊભું થતા ધોળા દિવસે જાહેર માર્ગો ઉપર થી પસાર થતા વાહનોને પાર્કિંગ તેમજ ડીપર લાઇટો ચાલુ કરવાની ફરજ પડે તેવી મુશળધાર વરસાદે સ્થિતિ રચી હતી. ત્યારે ખેતરોમાં ઉભા ખરીફ પાક અને વાવેતર કરેલ રવિ પાકે સામે પ્રતિકૂળ વાતાવરણનું નિર્માણ થવા પામેલ છે. આમ તો જિલ્લામાં ખરીફ પાકમાં કપાસ તુવેર અને ડાંગરના પાકો સામે નુક્સાન નોંધાયું છે.
તો રવિ પાકમાં આવતા પાકો જેમાં કપાસની સામે પણ નુકસાન નોંધાયું છે, અને હાલ ઉભા થયેલ વાદળછાયા જેવા પ્રતિકૂળ આબોહવાના કારણે વધુ નુકસાનની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે. કમોસમી માવઠાના કારણે ખેડૂતોને થયો લાખોનો નુકસાન થયો હોવાનુ મનાઈ રહ્યું છે, તો ખેડુતો ચોધાર આંસુ પાડી રહ્યા છે. આમ તો હવામાન વિભાગ દ્વારા ખેડૂતોને ચેતવણી આપેલી જ હતી. પણ ગાજવીજ અને પવન સાથે વધુ પડતો વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાક જેવા કે મકાઈ , તુવેર , કપાસ જેવા પાકો બિલકુલ જમીન દોષ થઈ ગયા હતા.
જે અંગે અમારી છોટા ઉદેપુર ની ટીમ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા માટે જિલ્લાના અનેક ગામો માં જઈ ખેડુતો સાથે વાતચીત કરી એહવાલ મેળવ્યા હતા, જેમાં અનેક  ગામો ની મુલાકાત લેતા ખેડુતો એ કરેલ કપાસ નાં ઊભા પાંક કે જે હવે પંદર દિવસમાં જ તૈયાર થવાના આરે હતો, જે કમોસમી વરસાદના કારણે કપાસ ના છોડ બળી ગયા હતા, અને હાલ ખેડુતો ને રડવાના વારા આવ્યા હોવાનુ જાણવા મળી આવ્યુ હતુ.
આ સાથે જિલ્લામાં આવેલ ઓરસંગ નદીના વિશાળ પટમાં પણ કેટલાક ખેડૂતો દ્વારા હાડ થીજાવતી ઠંડીમાં પણ પોતાના પરિવાર સાથે નદીના પટમાં નિવાસ કરી રાત દિવસ કાળી મજૂરી કરી ખેતી કામ કરવામાં આવે છે. ત્યારે હાલ તેઓ દ્વારા કરેલ પાક કે જે હવે ગણતરીના દિવસોમાં તૈયાર થવાના આરે હતો તે પણ નદીમાં કમોસમી વરસાદના કારણે પાણીની આવક થતા પાણીમાં વહી જતા તેઓ પાયમાલ થયા હતા. અને હાલ દેવું કરીને કરેલ ખેતી સંપૂર્ણ નાશ થતાં દેવેદાર બન્યા હોવાનુ સામે આવ્યું હતું.
આમ કમોસમી વરસાદને કારણે વારંવાર ખેડૂતોને કુદરતી આફતોનો સામનો કરવો પડે છે. જેથી કરીને આ વિસ્તારના ખેડૂતોની હાલત ખુબજ કફોડી થવા પામી છે.
હાલ મકાઈ, કપાસ, દિવેલા, તથા ડાંગર જેવા પાકો બિલકુલ તૈયાર થઈ ગયા હતા અને પવન સાથે વરસાદ આવતા ખેતી નષ્ટ થઈ છે .જેને લઇ ખેડૂતો દ્વારા યોગ્ય વળતર મળે એવી માંગણી કરવામાં આવી રહી છે.
ત્યારે જિલ્લા ખેતીવાડી વિભાગના જીલ્લા ખેતીવાડી અધિકારી ડી. એસ. પંચાલ દ્વારા જણાવેલ કે કરવામાં આવેલા પ્રાથમિક સર્વેમાં જિલ્લાના મુખ્યત્વે કપાસ તુવેરના પાકોનો ૪૦ હજાર હેક્ટર જેટલો વિસ્તાર કમોસમી વરસાદના કારણે પ્રભાવિત થયા હોવાનું બહાર આવ્યું છે જોકે હાલ સર્વેની કામગીરી કાર્યરત છે.
નાયબ બાગાયત નિયામક હસમુખ ભાઈ પરમાર દ્વારા જણાવેલ કે જિલ્લાના બાગાયતી પાકો જેમ કે કેળમાં પણ મસ મોટા નુકસાનની વિગતો સામે આવી રહી છે, જે અંતર્ગત સર્વે પ્રક્રિયા હાથ ધરાઈ છે.
તેવામાં જગતના તાત ને ફરી એકવાર નવો પાક કરવા મજબુત બને તે માંટે યોગ્ય સહાય આપવામાં આવે એવી સરકાર પાસે અપેક્ષા પણ સેવી રહ્યા છે. જો કે હવામાન શાસ્ત્રી કેયુર ભાઈ પટેલ દ્વારા જણાવેલ કે છોટા ઉદેપુર જીલ્લા માં માવઠા ની પડવાની હાલ સંભાવના નથી. વાદળ છાયુ વાતાવરણ રહેશે.