Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Chaitri Navratri : ચૈત્ર નવરાત્રિ પર્વે શક્તિપીઠ અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ભદ્રકાળીમાં માઈભક્તોનું ઘોડાપૂર, વાંચો અહેવાલ

08:55 AM Apr 09, 2024 | Vipul Sen

આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રિનો (Chaitri Navratri) પ્રારંભ થયો છે. ત્યારે વહેલી સવારથી માતાજીનાં વિવિધ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. શક્તિપીઠ અંબાજી (Shaktipeeth Ambaji), પાવાગઢ (Pavagadh), શક્તિપીઠ બહુચરાજી (Shaktipeeth Bahucharaji) અને નગરદેવી ભદ્રકાળી (Nagardevi Bhadrakali) મંદિરમાં ચૈત્રી નવરાત્રિનાં પહેલાં જ દિવસે વહેલી સવારથી મોટી સંખ્યામાં માઈભક્તો ઊમટ્યા છે અને માતાજીનાં દર્શન કરીને આશીર્વાદ મેળવી રહ્યા છે. ચૈત્રી નવરાત્રીનાં પ્રથમ દિવસે માતાજીનાં દર્શન કરવા માટે કેટલાક ભક્તો તો મોડી રાતથી જ મંદિર બહાર જમીન પર સૂતા હતા.

અંબાજીની મંગળા આરતીમાં માઈભક્તોનું ઘોડાપૂર

હિન્દુ સંસ્કૃતિમાં ચૈત્રી નવરાત્રિનો ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે. ચૈત્ર નવરાત્રિ એ ચૈત્ર મહિનાનાં શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ દિવસે હિન્દુ નવા વર્ષનો પ્રારંભ પણ થાય છે. ચૈત્રી નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા-અર્ચનાનો વિશેષ મહત્ત્વ છે. ત્યારે રાજ્યનાં પ્રમુખ શક્તિપીઠ અંબાજી, બહુચરાજી અને પાવાગઢમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે માઈભક્તોની જનમેદની જોવા મળી છે. વિશ્વનાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરની (Shaktipeeth Ambaji) વાત કરીએ તો નવરાત્રિના પ્રથમ દિવસે વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં માઈભકતો જોડાયાં હતા. મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. આરતી દરમિયાન ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદથી સમગ્ર પરિસર ગૂંજી ઊઠ્યું હતું.

અંબાજીમાં મંગળા આરતીમાં માઈભક્તો ભાવવિભોર થયાં

આજે સવારે મંગળા આરતી બાદ ઘટસ્થાપના વિધિ યોજાઈ હતી. ચૈત્રી નવરાત્રિને લઈ અંબાજી મંદિરે ફૂલોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. મંદિર રંગબેરંગી લાઇટોથી ઝગમગી ઊઠ્યું છે. 51 શકિતપીઠ (51 Shaktipeeth) પૈકીનાં અંબાજી મંદિરે આવતા ભક્તો ગબ્બર પર માતાજીનાં અખંડ જ્યોતનાં દર્શન કરવા માટે પણ અચૂક જતા હોય છે. જણાવી દઈએ કે, અંબાજી મંદિર પર 358 સુવર્ણ કળશ લાગેલા છે.

બહુચરાજી વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન વિધિ યોજાઈ

શક્તિપીઠ બહુચરાજીની (Shaktipeeth Bahucharaji) વાત કરીએ તો ચૈત્રી નવરાત્રી (Chaitri Navratri) નિમિત્તે પ્રથમ દિવસે ઘટસ્થાપન વિધિ યોજાઈ હતી. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આ ઘટસ્થાપન (Ghatstapan) વિધિ યોજાઈ હતી. ચૈત્ર નવરાત્રનાં પ્રથમ દિવસે શક્તિપીઠ બહુચરાજી ખાતે ગુજરાતનાં ખૂણેખૂણેથી માઇભક્તો દર્શન માટે ઊમટ્યાં છે. મા બહુચરનાં પાવનકારી દર્શન કરી ભક્તોએ ધન્યતાની અનુભૂતિ કરી હતી. ચૈત્રી નવરાત્રિમાં ભક્તોની ભારે ભીડને જોતા સ્થાનિક તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ તૈયારીઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે.

શક્તિપીઠ બહુચરાજીમાં માઈભક્તોએ ધજા ચડાવી

પાવાગઢમાં મોડી રાતથી જ ભક્તો જમીન પર સૂતા

ચૈત્રી નવરાત્રીનાં પ્રથમ દિવસે પાવાગઢમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું છે. દૂર દૂરથી માઈભક્તો માતા મહાકાળીના દર્શનાર્થે ઉમટ્યા છે. માહિતી મુજબ, દર્શન કરવા અને મંગળા આરતીમાં જોડાવવા માટે મોડી રાતથી જ કેટલાક લોકો જમીન પર સૂઈ રહ્યા હતા. મળસ્કે 4 વાગ્યે મંદિરમાં નવરાત્રિની વિશેષ મંગળા આરતી કરાઈ હતી. નવરાત્રી નિમિત્તે માતાજીને વિશેષ શણગાર પણ કરાયો હતો. મંગળા આરતી (Mangala Aarti) દરમિયાન માતા મહાકાળીનાં જયકારા લાગ્યા હતા.

પાવાગઢ મંદિરે ફૂલ, લાઇટથી વિશેષ શણગાર

નગરદેવી ભદ્રકાળી મંદિરે નવ દિવસ ચંડીપાઠ

ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે વહેલી સવારે અમદાવાદમાં (Ahmedabad) નગરદેવી ભદ્રકાળી ખાતે મોટી સંખ્યામાં માઈભક્તો દર્શન કરવા ઊમટી પડ્યા હતા. માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ભક્તોની લાંબી લાઈન જોવા મળી છે. ચૈત્રી નવરાત્રિ નિમિત્તે નગરદેવી ભદ્રકાળી (Nagardevi Bhadrakali) માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. માહિતી મુજબ, નવરાત્રિનાં નવ દિવસ મંદિરમાં ચંડીપાઠ થશે. જ્યારે આઠમનાં દિવસે હવન યોજાશે. સુરતમાં (Surat) પણ પારલે પોઇન્ટ સ્થિત પ્રસિદ્ધ અંબિકા-નિકેતન મંદિરમાં (Ambika-Niketan Temple) ચૈત્રી નવરાત્રીનાં પર્વ નિમિત્તે વહેલી સવારે દર્શન માટે ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. ચૈત્રી નવરાત્રીનાં પર્વને લઈ નવ દિવસ સુધી હવન-યજ્ઞ સહિતનાં કાર્યક્રમની મંદિરોમાં ઝાંખી જોવા મળશે.

ભદ્રકાળી મંદિરે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ

 

આ પણ વાંચો – Chaitra Navratri : આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આ પણ વાંચો – Hindu New Year : 9 એપ્રીલથી હિન્દુ નવા વર્ષ વિક્રમ સંવત 2081નો પ્રારંભ

આ પણ વાંચો – Ayodhya : આ વખતે રામ નવમી ખાસ રહેશે, વૈજ્ઞાનિકો રામલલાની મૂર્તિ પર સૂર્ય તિલકની તૈયારીમાં વ્યસ્ત…