Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારત પર આરોપ મુકનાર કેનેડા એકલું પડયું , અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોએ ન આપ્યો સાથ

11:42 AM Sep 20, 2023 | Vishal Dave
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. ભારત પર લાગેલા આરોપોને લઈને કન્ઝર્વેટિવ પાર્ટી ઓફ કેનેડાના નેતા પિયર પોઈલીવરે આ મામલે ટ્રુડો પાસેથી સ્પષ્ટતા માંગી છે.
કન્ઝર્વેટિવ પાર્ટી ઓફ કેનેડાના નેતા પિયર પોઈલીવરે કહ્યું વડાપ્રધાને પૂરાવા સાથે બોલવું જોઇએ 
પિયરને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે ભારતીય રાજદ્વારીને કેનેડાથી ભારત પરત મોકલવા સિવાય અન્ય કયા પગલાં ભરવા જોઈએ? તેના જવાબમાં કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાએ કહ્યું, ‘મને લાગે છે કે વડાપ્રધાને તમામ તથ્યોની સાથે આવવું જોઇએ..  આપણે તમામ સંભવિત પુરાવા જાણવાની જરૂર છે, જેથી દેશની જનતા આ મામલે નિર્ણય લઈ શકે.
પિયર પોઈલીવેરે કહ્યું, “વડાપ્રધાને કોઈ તથ્યો આપ્યા નથી. તેમણે એક નિવેદન આપ્યું છે અને હું માત્ર એ વાત પર ભાર મૂકીશ કે તેમણે મને વ્યકિતગત રીતે એટલું કહ્યું નથી જેટલું તેઓ સાર્વજનિક રૂપે બોલ્યા. એટલે અમે વધારે જાણકારી ઇચ્છીએ છીએ..તેમણે ટ્રુડો પર કટાક્ષ કરતા કહ્યું કે જો આરોપોના સમર્થનમાં પુરાવા રજુ નહીં કરાય તો તે ખોટા સાબિત થશે, માટે આપણી પાસે એવા પૂરાવા હોવા જોઇએ જે પ્રધાનમંત્રીના નિવેદનનું સમર્થન કરે .
કેનેડાએ અમેરિકાનો સહયોગ માંગ્યો હતો
કેનેડાએ ભારત પરના આરોપો પર અમેરિકાનું સમર્થન માંગ્યું હતું પરંતુ અમેરિકાએ તેનાથી તેનાથી અંતર જાળવ્યું છે.. . જસ્ટિન ટ્રુડો દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપો પર અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયાએ ચિંતા વ્યક્ત કરી છે, તેઓએ આ મામલે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનું ટાળ્યું છે. આ દેશોનું માનવું છે કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ આ અંગે કોઈ નિવેદન આપવાનું ટાળશે.
યુકે સરકારના પ્રવક્તાએ જણાવ્યું અમારે તપાસ દરમિયાન ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ
યુકે સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આ ગંભીર આરોપો અંગે અમે અમારા કેનેડિયન ભાગીદારોના સંપર્કમાં છીએ. અમારે તપાસ દરમિયાન ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ.” આ સાથે ભારત સાથેની વેપાર મંત્રણા પહેલાની જેમ જ ચાલુ રહેશે.
મંગળવારે, યુએસ વ્હાઇટ હાઉસે કહ્યું, “અમે અમારા કેનેડિયન ભાગીદારો સાથે સતત સંપર્કમાં છીએ, તે મહત્વપૂર્ણ છે કે કેનેડિયન તપાસ આગળ વધે અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે.”  ઓસ્ટ્રેલિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા પેની વોંગે જણાવ્યું હતું કે, “સરકાર કેનેડા દ્વારા લગાવવામાં આવેલા આરોપોથી ખૂબ જ ચિંતિત છે. અમે વરિષ્ઠ સ્તરે ભારતને અમારી ચિંતાઓ જણાવી છે.”
ભારતે આરોપો અંગે શું કહ્યું
ભારતે કેનેડા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને વાહિયાત અને રાજનીતિથી પ્રેરિત ગણાવીને ફગાવી દીધા છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, આવા પાયાવિહોણા આરોપો ખાલિસ્તાની ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરે છે, જેમને કેનેડામાં સુરક્ષિત આશરો મળેલો છે અને ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને ખતરો છે.