Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન 21 એપ્રિલે ગુજરાતથી ભારત પ્રવાસની શરુઆત કરશે

11:40 PM Apr 25, 2023 | Vipul Pandya

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 21 એપ્રિલે ભારતની મુલાકાતે આવશે. વડાપ્રધાન તરીકે બોરિસ જોનસનનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. તેઓ તેમના પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરશે. અહીં બોરિસ જોનસન રોકાણ અને વ્યાપારી સંબંધો અંગે ઘણા ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરશે. ત્યારબાદ બોરિસ જોન્સન બીજા દિવસે એટલે કે 22 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. બ્રિટિશ વડાપ્રધાનના આ પ્રવાસને બ્રિટનની નવી ઈન્ડો-પેસિફિક પોલિસી સાથે પણ જોડવામાં આવી રહી છે. 
ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં સ્થાયી થયેલા ભારતીય-બ્રિટિશ નાગરિકોમાંથી અડધાથી વધુ ગુજરાતી મૂળના છે. જેથી ડાયસ્પોરા કનેક્ટ તરીકે પણ આ પ્રવાસને મહત્વપૂર્ણ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બોરિસ જોનસન વચ્ચે છેલ્લી મુલાકાત ગયા વર્ષે નવેમ્બરમાં ગ્લાસગો સમિટ દરમિયાન થઈ હતી. ગયા વર્ષે બોરિસ જોનસનની ભારત મુલાકાત બે વખત રદ્દ કરવામાં આવી હતી. જાન્યુઆરીમાં પહેલીવાર જ્યારે તેઓ ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવાના હતા. જો કે તે સમયે દેશમાં કોરોના સંકટને કારણે આ યાત્રા શક્ય બની ન હતી. ત્યારબાદ કોરોના સંકટને કારણે એપ્રિલમાં પણ તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો.
વેપારના મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા થશે
અગાઉ મે 2021માં બંને નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગ થઈ હતી અને 2030ના રોડમેપ પર ચર્ચા થઈ હતી. આ રોડમેપ આરોગ્ય, આબોહવા, વેપાર, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને સંરક્ષણમાં યુકે-ભારત સંબંધો માટે એક માળખું પૂરું પાડે છે. બેઠક દરમિયાન બંને દેશો સંબંધોની સ્થિતિને ‘વ્રયાપક રણનીતિક ભાગીદારી’ સુધી વધારવા માટે પણ સંમત થયા હતા. વેપાર સમજૂતીની ચર્ચા વચ્ચે, આ વર્ચ્યુઅલ મીટિંગના મુખ્ય પરિણામોમાં 2030 સુધીમાં બંને દેશો વચ્ચેના વેપારને બમણો કરવા પર સહમતિ બની હતી. 
બ્રિટન ભારતના ઈન્ડો-પેસિફિક ઓશનમાં જોડાશે
ગયા મહિને બ્રિટનના વિદેશ સચિવ લિઝ ટ્રુસે યુક્રેન પર રશિયન આક્રમણ વચ્ચે રાજદ્વારી દબાણના ભાગરુપે ભારતની મુલાકાત લીધી હતી. બ્રેક્ઝિટ પછી બ્રિટન ભારતના ઈન્ડો-પેસિફિક ઓશન પહેલમાં જોડાશે અને દરિયાઈ સુરક્ષાના મુદ્દાઓ પર મુખ્ય ભાગીદાર પણ બનશે. ઉપરાંત બ્રિટન દક્ષિણપૂર્વ એશિયામાં અન્ય સભ્યો સાથે કામનું સંકલન કરશે.
આગામી 15 દિવસમાં ભારત અને યુકે વચ્ચે અનેક ઉચ્ચ સ્તરીય કાર્યક્રમો યોજાશે. જે બધા યુક્રેન પર રશિયન આક્રમણ વચ્ચેની સામાન્ય ચિંતાઓ, સમાન મૂલ્યો અને વેપાર પર કેન્દ્રિત હશે. ઉપરાંત ગુજરાત આવતા અઠવાડિયે મુત્સદ્દીગીરીનું કેન્દ્ર બનશે, કારણ કે PM મોદી WHO વડા અને મોરેશિયસના PM સાથે 19મીએ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નું ઉદ્ઘાટન કરશે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન પણ બાદમાં પીએમ મોદીના ગૃહ રાજ્યની મુલાકાત લેશે.