Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BHARUCH : હાંસોટ પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવતા સમયે ગોળી છૂટતા બે ઘાયલ

05:40 PM Mar 18, 2024 | PARTH PANDYA

BHARUCH : ભરૂચ (BHARUCH) જિલ્લામાં લોકસભા – 2024 (LOKSABHA 2024) ચૂંટણીની આચારસંહિતા (MODEL CODE OF CONDUCT) ના પગલે બંદૂક જમા કરાવવા આવેલા બે ખેડૂતો ગોળી કાઢવા જતાં ફાયરિંગ થઇ જવાની ઘટના બની છે. જેમાં બે ને ઇજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.

હથિયારો જેતે પોલીસ મથકમાં જમા કરાવવાનું હોય

કેન્દ્રિય ચૂંટણી પંચે 16મી માર્ચના રોજ લોકસભા 2024 ની સાથે રાજ્યની અનેક બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો જાહેર કરી હતી. જે બાદ ચૂંટણીની જાહેરાત થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આદર્શ આચાર સંહિતા અમલમાં હોય ત્યારે ગુજરાત સહિત ભરુચ જીલ્લામાં પરવાના ધરાવનાર હથિયારો જેતે પોલીસ મથકમાં જમા કરાવવાનું હોય છે. જે પ્રક્રિયા હાલ ચાલી રહી છે.

પ્રથમ હાંસોટની કાકાબા હોસ્પિટલ લઇ જવાયા

તેવામાં હાંસોટ ખાતે રહેતા અને ખેતી સાથે સંકળાયેલ કલ્પેશ શેઠ અને દેવેન્દ્ર પટેલ હાંસોટ પોલીસ મથકે પોતાના હથિયારો જમા કરાવવા ગયા હતા. તે દરમિયાન બંદુકમાંથી ગોળી કાઢવા જતાં જ અચાનક ફાયરિંગ થઈ ગયું હતું. ઘટનામાં બંને ખેડૂતોને ગોળી વાગી જતાં તેઓને ઇજાઓ પહોંચી હતી. ઇજાઓને પગલે બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પ્રથમ હાંસોટની કાકાબા હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ હાંસોટ પોલીસ દ્વારા વધઉ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

વધુ સાવચેતી પૂર્વક હથિયાર જમા કરાવવાની કામગીરી કરવી પડશે

હાંસોટ પોલીસ મથકમાં ઘટેલો કિસ્સો અનેક માટે બોધપાઠ સમાન છે. ગમે તેટલું સારી રીતે હથિયાર ચલાવતા આવડતું હોય, પરંતુ જો સહેજ પણ ચુક રહી જાય તો ગોળી ચાલી શકે છે. અને કોઇને કોઇ ઇજાગ્રસ્ત થઇ શકે છે. આ ઘટના જોતા હવે વધુ સાવચેતી પૂર્વક હથિયાર જમા કરાવવાની કામગીરી કરવી પડશે તેવી લોકચર્ચાઓએ જોર પકડ્યું છે.

આચાર સંહિતા સમાપ્ત થયા બાદ તે મૂળ માલિકને પરત કરવામાં આવે છે

અત્રે નોંધનીય છે કે, આચાર સંહિતા અમલમાં હોવાથી અનેક નિયમોનુ ચુસ્ત પણે પાલન કરવાનું હોય છે. જેમાં ચૂંટાયેલા સરકારી હોદ્દેદારો પોતાના વાહનોનો ઉપયોગ કરી શકતા નથી. તેને જમા કરાવી દેવામાં આવે છે. અને તેનો ઉપયોગ ચૂંટણી તંત્ર કરતું હોય છે. સાથે જ જે લોકો પાસે હથિયારો હોય છે તેને નજીકના પોલીસ મથકમાં જમા કરાવવાના હોય છે. આ હથિયારો આદર્શ આચાર સંહિતા અમલમાં હોય ત્યાં સુધી પોલીસ મથકમાં જાળવણી હેઠળ રહે છે. આચાર સંહિતા સમાપ્ત થયા બાદ તે મૂળ માલિકને પરત કરવામાં આવે છે.

અહેવાલ – દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો —VADODARA : એક સ્ટેશન-એક પ્રોડક્ટ્સ અંતર્ગત શ્રમ મંદિરને સ્ટોલની ફાળવણી, મહેનતને મળ્યું માધ્યમ