Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારતને આઝાદી અપાવવા અંગ્રેજોની સામે નીડર ઉભા રહ્યા હતા ભગત સિંહ

01:18 PM Apr 16, 2023 | Vipul Pandya

કહેવાય છે કે, અંગ્રેજો (Britisher) એ ભારતીયોને પરેશાન કરવામાં કોઇ કસર બાકી રાખી નહોતી. તેઓએ ભારતમાં આવી ભારતીયોને જ ગુલામ બનાવી તેમના પર 200 વર્ષ જેટલું રાજ કર્યું હતું. આ દરમિયાન ભારતની જનતા અંગ્રેજોની ક્રૂરતા (Cruelty)ના કારણે ત્રાહિમામ પોકારી રહી હતી. આ અત્યારચાર વિરુદ્ધ દેશમાં ઘણા ક્રાંતિકારો પૈદા થયા જેમણે ગુલામીથી ભારતને આઝાદ કરવા અંગ્રેજો સામે બાયો ચઢાવી હતી. આવા જ એક ક્રાંતિકારીની આજે જન્મ જયંતિ (Birth Anniversary) છે. જીહા, અમે અહીં ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક ભગત સિંહ (Bhagat Singh)ની વાત કરી રહ્યા છીએ.
115મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ



સમગ્ર દેશ આજે (28 સપ્ટેમ્બર) શહીદ-એ-આઝમ ભગત સિંહ (Bhagat Singh)ની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે. 23 વર્ષની ઉંમરે તેમણે દેશને અંગ્રેજોના શાસનમાંથી આઝાદ કરાવવા માટે ફાંસી પર હસતા-હસતા ચઢી ગયા હતા. ભગત સિંહ અને તેમના સાથી સુખદેવ (Sukhdev) અને રાજગુરુ (Rajguru) ની શહીદીએ સમગ્ર દેશમાં આઝાદીની ભાવના જગાવી હતી. આ એ સમય હતો જ્યારે ભગતસિંહ મહાત્મા ગાંધીની જેમ ખૂબ જ લોકપ્રિય હતા. આજે પણ ભગત સિંહ દેશના યુવાનો માટે હીરો છે અને હંમેશા રહેશે. આજે દેશ આ ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાનીને તેમની 115મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે.
તેમના કાકાથી ખૂબ પ્રભાવિત હતા ભગત સિંહ



28 સપ્ટેમ્બર 1907ના રોજ જન્મેલા ભગત સિંહ ભારતની સ્વતંત્રતા ચળવળમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક બન્યા હતા. જો તમે કોઈપણ ભારતીયને ભગત સિંહ વિશે પૂછો, તો તેઓ તમને કહેશે કે તેઓ તેમના માતા-પિતા અથવા દાદા-દાદી પાસેથી ભગતસિંહની વાર્તાઓ સાંભળીને મોટા થયા છે. ભગત સિંહનો જન્મ 27 સપ્ટેમ્બર 1907ના રોજ પાકિસ્તાનમાં આવેલા લાયલપુર જિલ્લાના બાંગા ખાતે થયો હતો. તે સમયે તેમના કાકા અજીત સિંહ અને સ્વાન સિંહ ભારતની આઝાદીમાં પોતાનું સમર્થન આપી રહ્યા હતા. તે બંને કરતાર સિંહ સરભા દ્વારા સંચાલિત ગદર પાર્ટીના સભ્યો હતા. આ બંનેની ભગત સિંહ પર ઊંડી અસર પડી. તેથી જ તેઓ નાનપણથી જ અંગ્રેજોને નફરત કરવા લાગ્યા હતા.
જલિયાવાલા બાગ હત્યાકાંડની ભગત સિંહના બાળ માનસ પર ખૂબ જ અસર પડી 



13 એપ્રિલ 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડની ભગત સિંહના બાળ માનસ પર ખૂબ જ અસર પડી હતી. લાહોરની નેશનલ કોલેજ છોડીને, ભગતસિંહે 1920 મા ભગત સિંહ મહાત્મા ગાંધી દ્વારા ચલાવવામાં આવતી અહિંસા ચળવળમાં ભાગ લેવાનું શરૂ કર્યું, જેમાં ગાંધી વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યા હતા. 14 વર્ષની ઉંમરે ભગતસિંહે સરકારી શાળાના પુસ્તકો અને કપડા સળગાવી દીધા હતા. આ પછી ગામડાઓમાં તેમના પોસ્ટર દેખાવા લાગ્યા. ભગત સિંહ અગાઉ મહાત્મા ગાંધી અને ઈન્ડિયન નેશનલ કોન્ફરન્સ દ્વારા ચલાવવામાં આવતી ચળવળના સભ્ય હતા. 1921માં ચૌરા-ચૌરા હત્યાકાંડ પછી જ્યારે ગાંધીજીએ ખેડૂતોને સમર્થન આપ્યું ન હતું, ત્યારે તેની ભગત સિંહ પર ઊંડી અસર પડી હતી. તે પછી તેઓ ચંદ્રશેખર આઝાદના નેતૃત્વમાં રચાયેલા ગદર દળનો ભાગ બન્યા હતા.
કોલેજ છોડી હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનનો ભાગ બન્યા



ભગતસિંહને વાંચવાનો ખૂબ શોખ હતો. તેઓ ઉર્દુ ભાષાના જાણકાર હતા અને હિન્દી, પંજાબી, અંગ્રેજી અને સંસ્કૃત પર પણ તેમની સારી પકડ હતી. તે તેમના પિતાને ઉર્દૂમાં જ પત્ર લખતા હતા. 1923 મા તેઓ લાહોરની નેશનલ કોલેજમાં જોડાયા અને તેના નાટક મંડળના સક્રિય સભ્ય બન્યા અને બાદમાં કોલેજ છોડીને ‘હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન’નો ભાગ બનીને ક્રાંતિકારી સંગઠનમાં જોડાયા. નોંધનીય છે કે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન રાષ્ટ્રવાદના ઘણા પ્રતિસ્પર્ધી મંતવ્યો હતા પરંતુ કોઈ પણ વિચારધારાના નેતાની દેશભક્તિ પર ક્યારેય શંકા કરવામાં આવી ન હતી. વિડંબણાની વાત એ છે કે ભગત સિંહની 115મી જન્મ જયંતિ સુધીમાં ભારતમાં ‘રાષ્ટ્રવાદ’ એક વિવાદિત મુદ્દો બની ગયો છે અને માત્ર “ભારત માતા કી જય” જેવા નારાઓ સાથે તે સમેટાઇ ગયો છે. 
સાયમન કમિશન 1928 મા ભારત આવ્યું



સપ્ટેમ્બર 1928 મા, ભગત સિંહે આઝાદીની લડત ચાલુ રાખતા, નૌજવાન ભારત સભાની રચના કરી. સાયમન કમિશન 1928 મા ભારત આવ્યું અને તેનો બહિષ્કાર કરવા માટે જોરદાર પ્રદર્શનો થયા. જ્યારે આ કમિશન 30 ઓક્ટોબર 1928ના રોજ લાહોર પહોંચ્યું ત્યારે લાલા લજપત રાયની આગેવાની હેઠળના લોકોએ જબરદસ્ત ગુસ્સો દર્શાવ્યો. આ દરમિયાન લાલા લાજપતરાય અને અન્ય પ્રદર્શનકારીઓએ સાયમન ગો બેક ના નારા લગાવ્યા. જે દરમિયાન બ્રિટિશ સુપરિન્ટેન્ડેન્ટ સ્કોટે આ વિરોધ પ્રદર્શન કરનારા લોકો પર લાઠીચાર્જ કરવાનો આદેશ આપ્યો. જેમા લાલા લાજપતરાયજી ગંભીર રીતે ઘાયલ થયા અને 17 નવેમ્બર 1928ના રોજ તેમનું અવસાન થયું.
9 ઓગસ્ટ, 1925ના રોજ કાકોરીની ઘટના બની



ચંદ્રશેખર આઝાદ સાથે મળીને ભગત સિંહે અંગ્રેજો વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. 9 ઓગસ્ટ, 1925ના રોજ શાહજહાંપુરથી લખનૌ જતા 8 નંબરના ડાઉન પેસેન્જર પાસેથી કાકોરી નામના નાના સ્ટેશન પર સરકારી તિજોરી લૂંટાઈ હતી. આ ઘટના ઈતિહાસમાં કાકોરી ઘટનાના નામથી પ્રખ્યાત છે. આ ઘટનાને રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ અને અગ્રણી ક્રાંતિકારીઓએ સાથે મળીને અંજામ આપ્યો હતો. કાકોરીની ઘટના પછી, અંગ્રેજોએ હિંદુસ્તાન રિપબ્લિક એસોસિએશનના ક્રાંતિકારીઓ પર કડક કાર્યવાહી તીવ્ર બનાવી અને તેમના એજન્ટોને અલગ-અલગ જગ્યાએ મોકલી દીધા. ભગત સિંહ અને સુખદેવ લાહોર પહોંચ્યા. ત્યાં તેમના કાકા સરદાર કિશન સિંહે કોઠાર ખોલીને કહ્યું કે હવે તમે અહીં જ રહો અને દૂધનો ધંધો કરો. તેઓ ભગત સિંહના લગ્ન કરાવવા માંગતા હતા અને એક વખત છોકરીના પરિવારને પણ લઈને આવ્યા હતા. ભગત સિંહ કાગળ-પેન્સિલ લઈને દૂધની ગણતરી કરતા હતા, પરંતુ ક્યારેય સાચી ગણતરી ન કરી શક્યા. સુખદેવ પોતે ઘણું દૂધ પીતા અને બીજાને મફતમાં આપતા.
ભાગત સિંહ ફિલ્મો અને રસગુલ્લા ખાવાના હતા શોખીન



ભગતસિંહને ફિલ્મો જોવી અને રસગુલ્લા ખાવાનો શોખ હતો. જ્યારે પણ તક મળતી ત્યારે તે રાજગુરુ અને યશપાલ સાથે ફિલ્મો જોવા જતો હતો. તેમને ચાર્લી ચેપ્લિનની ફિલ્મો ગમતી હતી. ભગતસિંહે ક્રાંતિકારી ભાગીદાર બટુકેશ્વર દત્ત સાથે મળીને 8 એપ્રિલ 1929ના રોજ દિલ્હીના અલીપોર રોડ ખાતે બ્રિટિશ ભારતની તત્કાલીન સેન્ટ્રલ એસેમ્બલીના ઓડિટોરિયમમાં બ્રિટિશ સરકારનું ધ્યાન ખેંચવા માટે બોમ્બ અને પેમ્ફલેટ ફેંક્યા હતા. ભગતસિંહ માત્ર એક ક્રાંતિકારી દેશભક્ત જ નહીં પરંતુ અભ્યાસી ચિંતક, કલમ-સમૃદ્ધ, ફિલોસોફર, વિચારક, લેખક, પત્રકાર અને મહાન માણસ હતા. 23 વર્ષની નાની ઉંમરે તેમણે ફ્રાન્સ, આયર્લેન્ડ અને રશિયામાં થયેલી ક્રાંતિનો વિગતવાર અભ્યાસ કર્યો.
ભગત સિંહ આટલી ભાષાઓ જાણતા હતા 



હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી, સંસ્કૃત, પંજાબી, બંગાળી અને આઇરિશ ભાષાઓના ચિંતક ભગતસિંહ ભારતમાં સમાજવાદના પ્રથમ વ્યાખ્યાતા હતા. ભગતસિંહ એક સારા વક્તા, વાચક અને લેખક પણ હતા. તેમણે બે અખબારો ‘અકાલી’ અને ‘કીર્તિ’નું સંપાદન પણ કર્યું હતું.
23 માર્ચે 1931 એ આપવામાં આવી હતી ફાંસી



ભગત સિંહ અને તેમના સાથી મિત્રો સદગુરુ અને રાજગુરુને 7 ઓક્ટોબર 1930ના રોજ મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. ફાંસી માટે 24 માર્ચ 1931નો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ તેના એક દિવસ પહેલા એટલે કે 23 માર્ચે તેમને ફાંસી આપવામાં આવી હતી.