ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી માટે એકવાર ફરી તેમના પત્ની સરદર્દ સાબિત થયા છે. જીહા, આજે તેમના પત્નીનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમા તેઓ ભરતસિંહ સોલંકીને લઇને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી રહ્યા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં છે ત્યારે સત્તારૂઢ પાર્ટી ભાજપ અને આમ આદમી પાર્ટીએ પોતાના કેમ્પેઇનની શરૂઆત કરી દીધી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી હજુ પણ પોતાના કેમ્પેઇનની શરૂઆત કરી શકી નથી. જોકે, ચૂંટણી પૂર્વે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી એકવાર ફરી સક્રિય થયા છે. પરંતુ ફરી એકવાર તેઓ તેમના પત્નીને લઇને ચર્ચામાં આવ્યા છે. રાજકારણથી થોડો સમય દૂર રહ્યા બાદ તેઓ હવે કોંગ્રેસના કાર્યક્રમોમાં જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા ભરતસિંહ સોલંકીની પત્નીનો એક વિડીયો સામે આવ્યો છે.
રેશ્મા પટેલે વિડીયો જાહેર કરી ભરતસિંહ સોલંકી પર કર્યા આકરા પ્રહાર
ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા પટેલે રાહુલ ગાંધીને સંબોધીને વિડીયોમાં કહ્યુ છે કે, હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસની પૂર્વ પ્રમુખની પત્ની અને જન્મથી કોંગ્રેસ વિચારધારા જોડાયેલી ચુસ્ત કાર્યકર્તા રેશ્મા ભરતસિંહ સોલંકી છું. ગુજરાત કોંગ્રેસના હિત માટે હું કહેવા માંગું છું કે, જે પોતાના પરિવારને સંભાળી શકતો ન હોય તે કોંગ્રેસ પાર્ટીને કેવી રીતે સંભાળશે. તેમણે વધુમાં કહ્યું કે, ભરતસિંહ સોલંકી સાથે મારે કોઈ સમાધાન થયું નથી. તેમણે કહ્યું કે, મારા સસરા માધવસિંહ સોલંકીના અવસાન બાદ ભરતસિંહ બેલગામ થયા છે. મારી સાથે સતત ખરાબ વર્તન કર્યું, બે પાટિદાર છોકરીઓ સાથે લગ્ન કર્યા બાદ હવે બન્ને છુટાછેડા આપી 24 વર્ષની ઉંમરની મહિલા સાથે લગ્ન કરવાની પ્રેસ કોંન્ફરન્સ કરી જાહેરાત કરી છે. મારી સાથે લગ્ન થયા હોવા છતા ભરતસિંહ સોલંકી કે જેઓ પોતે 69 વર્ષના છે જે તેમનાથી 45 વર્ષ નાની એક 24 વર્ષની મહિલાના ઘરમાં હાફ પેન્ટ પહેરીને રાત્રિના સમયે રંગરેલિયા મનાવતા પકડાઇ ગયા જેનો લાઈવ વિડીયો સમાચારમાં પણ આવ્યો. ત્યારબાદ તેઓએ જાહેર કર્યું કે તેઓ થોડા સમય માટે કોંગ્રેસથી દૂર રહેશે તેમ છતા પણ કોંગ્રેસ હાઈકમાન્ડે કોઇ એક્શન લીધી નથી. રેશ્મા પટેલે ભરતસિંહ સોલંકીને લઇને કહ્યું કે, ગુજરાતમાં મહિલા કોંગ્રેસમાં ભરતસિંહ સોલંકીનું કેવું કેરેક્ટર છે તે સૌ કોઇ જાણે છે. આજે ભરતસિંહ સોલંકી કોંગ્રેસના રાજકીય ક્ષેત્રમાં એવું બતાવી રહ્યા છે કે, તેમનુ મારી સાથે સમાધાન થઇ ગયું છે, જે બિલકુલ ખોટું છે.
મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં જનતાને પોતાની સાથે કનેક્ટ કરવામાં અસફળ દેખાઇ રહી છે. આજે જ્યારે ગુજરાતમાં કોઇ દિગ્ગજ નેતાની જરૂર છે કે જે આ સમયે જનસંબોધનનો કોઇ કાર્યક્રમ કરે અને રાજ્યમાં તેઓ શું કરવા માગે છે તેવા પોતાના વિચાર રજૂ કરે. પરંતુ હાલમાં પાર્ટી પૂરી રીતે ગેરહાજર દેખાઇ રહી છે. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી કે જેણે દિલ્હી બાદ પંજાબમાં પણ શાનદાર જીત મેળવી છે તે ગુજરાતમાં બેક ટૂ બેક જનતાને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરતી જોવા મળી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ગુજરાતમાં આવવાનો શિલશિલો શરૂ થઇ ગયો છે. વળી ભાજપ પણ પોતાની તાકત બતાવવામાં પાછળ નથી. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે સ્માર્ટ શાળાનું લોકાર્પણ કર્યું છે. જે દરમિયાન તેમણે વિપક્ષ પર અને ખાસ કરીને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપને રાજ્યમાં કોઇ ટક્કર આપી રહ્યું હોય તો તે આમ આદમી પાર્ટી જ જનતાના મુખે છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીને જનતાનો સાથ મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે તો નવાઇ નથી.