Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મઢડા સોનલધામના બનુઆઇ 93 વર્ષની વયે દેવલોક સીધાવ્યા, આજે સમાધિ અપાશે

11:05 PM Apr 14, 2023 | Vipul Pandya

સૌરાષ્ટ્ર એટલે સંત અને શુરાની ભૂમિ. જ્યાં જલારામ વીરપુર, આપાગીગાનું સતાધાર, બગદાણામાં બાપા સીતારામ, મોગલમાનું ભગુડાધામ, મઢડામાં સોનલધામ વગેરે જેવા અનેક આસ્થાના કેન્દ્રો આવેલા છે. જેની સાથે ગુજરાતના કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધા સંકળાયેલી છે. ત્યારે આજે સાંજે સોનલધામ મઢડામાં બિરાજમાન અને સમાજ સુધારક એવા સોનલ માતાજીના બહેન બનુમાં ગઇ કાલે 94 વર્ષની ઉંમરે દેવલોક પામતા ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. બનુમાં છેલ્લા થોડા સમયથી ઉંમરના કારણે બિમાર હતા. બનુઆઇને આજે સમાધિ આપવામાં આવશે. તેમના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ રાજ્યભરના ભક્તો મઢડા પહોંચી રહયા છે. આ સિવાય સોશિયલ મીડિયામાં પર મોટી સંખ્યામાં લોકો દ્વારા બનુઆઇને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. 
લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર: સોનલધામ
ચારણોની શક્તિપીઠ તરીકે ઓળખાતું ધામ એટલે જૂનાગઢના કેશોદમાં મઢડા ખાતે આવેલ આઈ સોનલધામ. મઢડા ખાતે જ સોનલ માતાજીનો જન્મ થયો હતો. મઢડામાં સોનલ માતાજીનું મંદિર 20 વીઘા જેટલી વિશાળ જગ્યામાં પથરાયેલુ છે. મઢડા સોનલધામ મંદિર ખાતે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આસ્થા સાથે પહોંચે છે. સોનલ મતાજી પર અપાર શ્રદ્ધા ધરાવતા ભક્તો દુનિયાભરમાં ફેલાયેલા છે. પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મ દિવસ સોનલ બીજ તરીકે ઉજવવામાં આવે છે. મઢડા ખાતે દર વર્ષે  સોનલ બીજના દિવસની ધામધૂમથી ઉજવણી થાય છે. સોનલ બીજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો મઢડા પહોંચે છે. જ્યાં રાત્રે ભજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે, જેમાં ખ્યાતનામ કલાકારો સાથે હજારોની સંખ્યામાં ભક્તો જોડાય છે.

સોનલ માતાજીનો જન્મ અને બ્રહ્મચર્યના વ્રતની જાહેરાત
સંત સ્વભાવના હમીરબાપુ મોડને ત્યાં પાંચમા દિકરી તરીકે શ્રી સોનલ માતાજીનો જન્મ થયો હતો.  હમીરબાપુને ત્યાં પાંચમું સંતાન આવવાનો હરખ પણ પરિવારમાં દિકરાના જન્મ જેટલો જ હતો. સરાકડીયા વાળાએ વચન આપ્યું હતું કે તમારી પાંચમી પુત્રીમાં ભગવતીનો અવતાર હશે અને તે દીકરી મોડ કુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે. આ પાંચમી દીકરી એટલે સોનલઆઇ. સોનલ માતાજી ખૂબ જ સ્વરૂપવાનની સાથે સ્પષ્ટ વક્તા અને ચારણી સાહિત્યના પ્રખર જ્ઞાતા પણ હતા. જીવનમાં સ્કૂલે ના ગયા હોવા છતા સંસ્કૃત ભાષા પર આઈ શ્રી સોનલ માતાજીની મજબૂત પકડ હતી. તેમણે અનેક વખત સંસ્કૃત ભાષામાં પ્રવચનો પણ આપ્યા હતા. માતા અને પરિવારના અતિ આગ્રહના લિધે આઈ શ્રી સોનબાઈએ લગ્ન કર્યા હતા પરંતુ લગ્નના દિવસે જ શ્રી સોનલ માતાજીએ બ્રહ્મચર્યના આજીવન વ્રતની જાહેરાત કરી હતી. સમગ્ર જીવન સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરવામાં જ વીતાવ્યું હતું.