![](https://www.gujaratfirst.com/imgs/news/20063.jpg?v=1676374053)
પોરબંદર જિલ્લામાં રેતી સહિતના ખનીજોના અવૈધ ખનનની વાતો જગજાહેર છે અને ખાણ-ખનીજ ખાતાં સહિતના તંત્રની મીઠી નજર તળે જ ખનીજ માફિયાઓ ખૂલ્લેઆમ બહુમૂલ્ય ખનીજોની લૂંટ ચલાવી રહ્યા છે.તેવી ચર્ચાઓ અને આક્ષેપો થઈ રહ્યા છે, ખનીજ માફીયાઓ પ્રકૃતિનું નિકંદન કાઢી રહ્યા તેમાં પણ માધવપુરથી મિયાણી સુધીનો દરિયાકિનારો ગેરકાયદેસર રીતે રેતીચોરી અને ગેરકાયદેસર ખાણો ચલાવનારાઓ માટે સ્વર્ગ સમાન બન્યો છે.તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે, આ વાતની પ્રતીતિ ફરી એકવાર ગઈકાલે થઈ છે અને ખાણ ખનીજ ખાતું ફરી ઊંઘતું જ ઝડપાયું છે કે પછી ફરી જાણી જોઈને ઊંઘતું જ રહ્યું છે.?
![](https://www.gujaratfirst.com/imgs/editor/678658684Hiren Dave (12).jpg)
પોરબંદરના બળેજ ગામે એક ગેરકાયદેસર ચાલતી ખાણ પર ખાણ ખનીજ ખાતાએ નહીં પરંતુ પોરબંદર પીજીવીસીએલની ટીમે દરોડો પાડી પીજીવીસીએલની 11 કે.વી.ની લાઈનમાં 100 કે.વી.નું ટ્રાન્સફોર્મર મૂકીને સરેઆમ થતી વીજચોરીનો પર્દાફાશ કર્યો હતો અને આ ગેરકાયદે ખાણ ચલાવતાં બાલુ મેરામણ કેશવાલાને 91 લાખનો દંડ ફટકાર્યો હતો.
![](https://www.gujaratfirst.com/imgs/editor/638822511Hiren Dave (10).jpg)
PGVCLની મોટી કાર્યવાહી
અહીં નવાઈની વાત તો એ છે કે, આટલાં સમયથી ગેરકાયદેસર રીતે ખાણ ધમધમતી હોવા છતાં ખાણ-ખનીજ વિભાગ તથા સંબંધિત સત્તાધીશોને તેનો ખ્યાલ જ ન આવ્યો અને પીજીવીસીએલ દ્વારા અહીં થઈ રહેલી વીજચોરી પકડી પાડવામાં આવ્યા બાદ જાણ કરાતા ખાણ-ખનીજ ખાતાએ ફક્ત કામગીરી દેખાડવાં ખાણ પર જઈને ૬ ચકરડી મશીન, બે ટ્રક અને બે ટે્રકટર જપ્ત કર્યા હતા. હવે અહીં સવાલ એ છે? કે, શું ખાણ-ખનીજ વિભાગને બળેજ ગામે ધમધમતી ગેરકાયદે ખાણ વિશે કોઈ જ માહિતી ન હતી અને પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ત્યારે તેને ખબર પડી? ખાણ-ખનીજ ખાતાના અધિકારીઓ જ આ સમગ્ર મામલે આંખ આડા કાન કરીને ફક્ત રોકડી કરી લેવામાં જ રચ્યા-પચ્યા રહેતાં હોવાની ચર્ચાએ પણ સમગ્ર જિલ્લામાં જોર પકડ્યું છે.
![](https://www.gujaratfirst.com/imgs/editor/996181372Hiren Dave (13).jpg)
ગેરકાયદેસર ખનીજ ખનનની પ્રવૃત્તિ બેફામપણે ધમધમતી હતી
ઉલ્લેખનીય છે કે, પોરબંદરના માધવપુરથી મિયાણી સુધીના દરિયાઇ વિસ્તારમાં મિયાણી ઉપરાંત કુછડી, બળેજ સહિતના ગામો આસપાસ ગેરકાયદેસર ખનીજ ખનનની પ્રવૃત્તિ બેફામપણે ધમધમતી હોવાનું જગજાહેર છે. અને તેવા અનેક વખત આક્ષેપો થાય છે આ પ્રવૃત્તિને રોકવાની મુખ્ય જવાબદારી જેના શીરે છે તે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આ બાબતથી અજાણ છે તેવું નથી પરંતુ `મલાઇ’ની લાલચે તેઓ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આંખ આડા કાન કરી રહ્યાં છે. આ બાબતે દરિયાઇ વિસ્તારના ગ્રામજનો દ્વારા પણ અનેક વખત સબંધીત તંત્રને રજૂઆતો ફરિયાદો કરવામાં આવી છે પરંતુ આ બાબતે કોઇ કાર્યવાહી થતી નથી. ત્યારે જો પ્રાકૃતિક સંપત્તીનું આ રીતે જ નિકંદન નીકળતું રહેશે તો માનવ સૃષ્ટિએ પણ તેના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે તે વાત નિશ્ચિત છે.
બેફામ રેતીચોરીના પગલે સમુદ્ર દિન-પ્રતિદિન નજીક આવી રહ્યો છે
જાણકારોના કહેવા મુજબ દરિયા કિનારે થતી બેફામ રેતીચોરીના પગલે સમુદ્ર દિન-પ્રતિદિન નજીક આવી રહ્યો છે અને જો આમ જ ચાલતું રહ્યું તો પોરબંદર જિલ્લાના કેટલાંક દરિયાઈ વિસ્તારો આગામી વર્ષોમાં સમુદ્રમાં સમાઈ જાય તેવો ભય પણ અસ્થાને નથી. જોકે, આવી બધી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લોકોનું ધ્યાન ન જાય તે હેતુથી ખાણ-ખનીજ ખાતું સમયાંતરે કેટલીક ખાણો પર દરોડા પાડી કામગીરીનો દેખાવ કરવામાં પાવરધું છે.
આપણ વાંચો- ભગવતીપરા વિસ્તારનાં ઘરમાં ઘૂસી છરીની અણીએ સોનાના અને રોકડની દિલધડક લૂંટ, પોલીસ કાફલો ઘટનાસ્થળે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ