રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડે રાજ્યના નેતાઓને સમીક્ષા બેઠક માટે દિલ્હી બોલાવ્યા છે. આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીની હાર અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠક મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતા હેઠળ યોજાશે. આ બેઠકમાં સામેલ થવા માટે રાજસ્થાનના કાર્યકારી સીએમ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા અશોક ગેહલોત, પ્રભારી સુખજિંદર રંધાવા અને પીસીસી ચીફ ગોવિંદ સિંહ ડોટાસરા દિલ્હી ખાતે પહોંચી ગયા છે.
આ બેઠક પહેલા કાર્યકારી મુખ્યમંત્રી અશોક ગેહલોતે મીડિયાને જણાવ્યું હતું કે, બેઠકમાં પ્રમુખ નેતાઓ પાર્ટીની હારના કારણોનું વિશ્લેષણ કરશે. સાથે જ લોકસભાની ચૂંટણીમાં જીતને લઈને રાણનીતિના શરૂઆતી તબક્કા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. રાજસ્થઆનના નવા સીએમ અંગેના સવાલ પર અશોક ગેહલોતે બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે, જો કોંગ્રેસે આટલા સમય સુધી રાજ્યના સીએમની જાહેરાત ન કરી હોત તો તે (બીજેપી) લોકોએ અત્યાર સુધીમાં બૂમાબૂમ કરી હોત. ગોગામેડી હત્યા કેસમાં મારે દસ્તાવેજો પર સહી કરવી પડી. આ નવા સીએમ એ કરવું જોઈએ. હું ઈચ્છું છું કે તેઓ આ મામલે જલ્દી નિર્ણય લે.
આ દરમિયાન રાજ્યસ્થાન કોંગ્રેસ નેતા ગોવિંદ સિંહ ડોટાસરાએ કહ્યું કે, રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનની સમીક્ષા બેઠકમાં ભાગ લેવા માટે તેઓ દિલ્હી પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, આ બેઠકમાં અમે અમારી ખામીઓનું વિશ્લેષણ કરીશું અને આગામી લોકસભા ચૂંટણી માટે વધુ તૈયારી સાથે અને નવી રણનીતિ અંગે ચર્ચા કરીશું.
આ પણ વાંચો- RAJASTHAN : મહંત બાલકનાથના આ ટ્વિટથી ગરમાયું રાજસ્થાનનું રાજકારણ