Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM મોદીના જન્મદિવસ નિમિત્તે ભારત સહિત 50થી વધુ દેશોમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ યોજાઈ

09:03 AM Apr 17, 2023 | Vipul Pandya

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. વડાપ્રધાનના જન્મદિવસને લઈને સમગ્ર દેશમાં લોકો અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે. સુરત શહેરમાં પણ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ આયોજનો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત સુરતના અખિલ ભારતીય તેરા પંથ યુવક પરિષદ દ્વારા મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન ડ્રાઇવ માત્ર સુરત શહેર કે ગુજરાત પૂરતું નહીં પરંતુ સમગ્ર ભારત દેશની સાથે સાથે વિશ્વના અન્ય દેશોમાં પણ યોજવામાં આવી છે.
આ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ અંતર્ગત ભારત સહિત અન્ય 50થી વધુ દેશોમાં બ્લડ ડોનેશન કેમ્પો યોજવામાં આવ્યા છે. આ તમામ કેમ્પમાં 25,000 થી વધુ ડોક્ટરો કાર્યરત છે. તેમજ દરેક જગ્યાએથી મળીને આજે સાંજ સુધીમાં કુલ બે લાખ યુનિટ બ્લડ ભેગું કરવાનો સંકલ્પ યુવક પરિષદ દ્વારા કરવામાં આવ્યો છે. આટલા મોટા પાયે આયોજન થઈ રહ્યું હોય ત્યારે ચોક્કસપણે નજર રાખવા માટે એક ટીમની આવશ્યકતા હોય છે અને તેના માટે જ સુરત ખાતે આ તમામ બાબતે નજર રાખવા માટે કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે. 
આ કંટ્રોલરૂમમાં અલગ અલગ રાજ્યની ટીમો બેસાડવામાં આવી છે. એટલે કે જે તે રાજ્યમાં કેટલા બ્લડ કેમ્પ થઈ રહ્યા છે, ત્યાં કેટલું બ્લડ યુનિટ ભેગું થઈ રહ્યું છે, આ તમામની દર એક કલાકની માહિતી તેઓ મેળવીને નોંધી રહ્યા છે. દેશના લગભગ તમામ રાજ્યોમાં આ બ્લડ કેમ્પનું આયોજન કરાયું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, યુપી જેવા અલગ અલગ રાજ્યોના અહીં ડેસ્ક બનાવવામાં આવ્યા છે. આ ડેસ્ક પર બે વ્યક્તિઓને બેસાડીને જે તે રાજ્યના ડેટા કલેક્ટ કરવામાં આવે છે. તેમજ અન્ય એક રૂમ બનાવવામાં આવ્યો છે જ્યાં દરેક જગ્યાએ ચાલી રહેલા ડોનેશન ડ્રાઇવમાં રક્તદાન કરતા લોકોના વિડીયો તેઓ લાઈવ નિહાળી શકે છે. 
તેમજ રક્તદાન કરનાર લોકો સાથે તેઓ લાઈવ વાતચીત કરીને તેમના અનુભવો પણ જાણી શકે છે. સુરત શહેરના મજુરાગેટ ખાતે આવેલ એક બિલ્ડિંગમાં આ કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે. કોરોનાકાળ બાદ ઊભી થયેલી રક્તની અછતને પહોંચી વળવા માટે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા આ આયોજન કર્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. જે પ્રમાણે આંકડા મળી રહ્યા છે તે મુજબ દેશમાં બે લાખ યુનીટ રક્તની જરૂર એટલે કે અછત સર્જાઇ છે અને આ અછતને પહોંચી વળવા માટે જ આજે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે આ પહેલ કરવામાં આવી છે. 
વડાપ્રધાન જેમ લોક સેવામાં હંમેશા તત્પર રહેતા હોય છે તેમ તેમના જન્મદિવસને ઉજવવા માટે પણ લોક સેવા કરવી જોઈએ તેવું પરિષદના યુવાઓનું માનવું છે અને તેથી જ લોક સેવાના ભાગરૂપે સમગ્ર દેશ સહિત વિદેશોમાં પણ આ પ્રકારે બ્લડ કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય વાત એ છે કે, સમગ્ર દેશમાં યોજાયેલા આ બ્લડ કેમ્પમાં જે તે રાજ્યના ભાજપના મોટા નેતાઓ પણ જોડાયા છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ આ બ્લડ કેમ્પમાં રક્તદાન કરી ચૂક્યા છે. એટલે કહી શકાય કે લોકલાડીલા નેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા કાર્યને સાર્થક બનાવવા માટે લીધેલું આ પગલું લોક ઉપયોગી બની રહેશે.