Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જૂનાગઢના રતાંગ ગામના બાગાયત ખેડૂતે આંબાની કલમમાં અનેરી સિદ્ધિ હાંસલ કરી 

12:53 PM Jun 06, 2023 | Vipul Pandya
અહેવાલ–સાગર ઠાકર, જૂનાગઢ
હાલ સર્વત્ર કેરીની મોસમ પુરબહારમાં…
જૂનાગઢના રતાંગ ગામે કેરીના બદલે કલમની મોસમ
રતાંગ ગામે બાગાયત ખેડૂતની અનોખી સિદ્ધિ
12 પાસ ખેડૂતની આંબાની કલમમાં અનેરી સિદ્ધિ
ઉત્તમ ગુણવત્તાની કેરી માટે આંબાની કલમો બનાવી
અત્યાર સુધીમાં એક લાખ કલમોનું કર્યું વેચાણ
કેરીની ઉત્તમ ગુણવત્તા માટે ભારત સરકારનો એવોર્ડ
કેરીની કલમોની નિકાસ માટે ગુજરાત સરકારનો એવોર્ડ
ઉત્તમ કેરી માટે ઉત્તમ આંબા તૈયાર કરવાનું લક્ષ્ય
હાલ સર્વત્ર કેરીની મોસમ ચાલી રહી છે ત્યારે જૂનાગઢના રતાંગ ગામે કેરી નહીં પરંતુ કેરીની કલમ ની મોસમ ખીલી છે. રતાંગ ગામે રહેતા માત્ર 12 ધોરણ પાસ બાગાયત ખેડૂતે આંબાની કલમમાં અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. ઉત્તમ ગુણવત્તાની કેરી માટે આંબાની કલમો બનાવીને અત્યાર સુધીમાં એક લાખ કલમોનું વેચાણ પણ કર્યું છે. આ ખેડૂતને કેરીની ઉત્તમ ગુણવત્તા માટે ભારત સરકારનો એવોર્ડ મળી ચુક્યો છે અને કેરીની કલમોની નિકાસ માટે ગુજરાત સરકારનો એવોર્ડ પણ મળી ચુક્યો છે, ઉત્તમ કેરી માટે ઉત્તમ આંબા તૈયાર કરવાના લક્ષ્ય સાથે આ બાગાયત ખેડૂતે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે
500 ઉત્તમ ગુણવત્તાના આંબાની કલમો તૈયાર કરવાના ધ્યેય સાથે તેમની વિકાસયાત્રા શરૂ થઈ
જૂનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના રતાંગ ગામનો કેરી સાથે અનોખો નાતો રહ્યો છે. રતાંગ ગામે રહેતા સંજયભાઈ વેકરીયાએ 12 મું ધોરણ પાસ કરીને નોકરી ધંધાની શોધ કરવાને બદલે તેમના પિતા છગનભાઈ મોહનભાઈ વેકરીયાનો પરંપરાગત બાગાયત ખેતીનો વ્યવસાય પસંદ કર્યો અને આગળ અભ્યાસ કરવાને બદલે બાગાયત ખેતીને પોતાના વ્યવસાય તરીકે અપનાવી લીધી, તે સમયે વર્ષ 1998 માં તેમના બગીચામાં માત્ર 300 આંબા હતા, જેનું વર્ષમાં એક વખત કેરીનો ફાલ આવે ત્યારે વેચાણ કરીને આવક મેળવતાં. તેમના બગીચાની કેસર કેરી સારી ગુણવત્તાની હતી પરંતુ આંબામાંથી માત્ર કેરીની આવક થાય તેના કરતાં પણ તેની કલમો તૈયાર કરીને વધુ સારા આંબા તૈયાર થાય તો વધુ સારી કેરીનું ઉત્પાદન મેળવી શકાય તેવા વિચાર સાથે વર્ષમાં 500 ઉત્તમ ગુણવત્તાના આંબાની કલમો તૈયાર કરવાના ધ્યેય સાથે તેમની વિકાસયાત્રા શરૂ થઈ.

72 વિઘામાં 5000 ઉત્પાદન આપતાં આંબા મોજુદ
કહેવાય છે કે સફળતાનું રહસ્ય પરીશ્રમ છે. સંજયભાઈએ બાગાયત ક્ષેત્રે શરૂ કરેલી યાત્રાએ આજે તેમને સફળતાના શિખર સર કરાવ્યા છે અને તેમના પરિશ્રમના પરિણામે આજે તેમની સુમિત બાગ એન્ડ નર્સરીમાં 72 વિઘામાં 5000 ઉત્પાદન આપતાં આંબા મોજુદ છે અને આંબાની કલમ બનાવવા માટે 28 હજાર જેટલા માતૃછોડ ઉપલબ્ધ છે. સંજયભાઈના બગીચામાં ન માત્ર કેસર કેરી પરંતુ અલગ અલગ 78 જાતની કેરીના આંબા છે અને તે સિવાય 10 અન્ય જાતો પર હજુ તેમના અખતરા ચાલુ છે, આમ 300 આંબાથી શરૂ થયેલી સંજયભાઈની યાત્રા આજે 5000 આંબાએ પહોંચી છે.
ઈઝરાયલની પ્રુનીંગ ટેકનોલોજી થી બાગાયતી ખેતી શરૂ કરી
સંજયભાઈએ ખાસ કેરીના ગુણવત્તા સભર ઉત્પાદન માટે ઉચ્ચ ગુણવત્તાની કલમો તૈયાર કરવા માટે વર્ષ 2003 માં પુના અને વર્ષ 2005 માં લખનૌ ખાતે ખાસ તાલીમ લીધી અને ઈઝરાયલની પ્રુનીંગ ટેકનોલોજી થી બાગાયતી ખેતી શરૂ કરી, જેમાં ઘનીષ્ઠ વાવેતર અને પ્રુનીંગ કરવામાં આવે છે. આ પધ્ધતિમાં આંબાની ડાળીઓ કાપીને તેની કલમો તૈયાર થાય છે, વધારાના મોર ખેરવી નાખવામાં આવે છે આ પધ્ધતિમાં દવા ખાતર અને મજુરી ખર્ચ ઓછો આવે છે, પવન કે વાવાઝોડાની અસર થતી નથી અને ફળ ખરી જવાનું કે બગડવાનું પ્રમાણ નહીંવત થઈ જાય છે અને ગુણવત્તા સારી મળે છે. જે ફળ નિકાસમાં જાય છે તેમાં ફળના કદને બદલે તેની ગુણવત્તા જોવામાં આવે છે, આમ ગુણવત્તા સાથેની કેરીના ઉત્પાદન માટે આ પદ્ધતિ આશિર્વાદરૂપ સાબિત થાય છે. ગુજરાતમાં સૌપ્રથમ આ ટેકનોલોજીની શરૂઆત રીલાયન્સ કંપનીએ કરી હતી અને ત્યારબાદ હવે ઘણાં બાગાયત ખેડૂતોએ આ પધ્ધતિ અપનાવી છે જેમાં રતાંગ ગામના સંજયભાઈ વેકરીયાને પણ સફળતા હાંસલ થઈ છે.

બાગાયતી પાકોમાં આંબાની ખેતીમાં પરંપરાગત પધ્ધતિ અને ઈઝરાયલ પધ્ધતિનું ગણિત
પરંપરાગત પધ્ધતિ
40 × 40 ફૂટના અંતરે વાવેતર
વૃક્ષની ઊંચાઈ 50 થી 60 ફૂટ
એક વિઘે 20 વૃક્ષ
ઉત્પાદન 400 કિલો પ્રતિ વૃક્ષ
એક વિઘે કુલ 8000 કિલોનું ઉત્પાદન
ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો
એક વિઘે કુલ આવક 4,00,000
ઈઝરાયલ પધ્ધતિ
5 × 10 ફૂટના અંતરે વાવેતર ( ઘનીષ્ઠ વાવેતર )
વૃક્ષની ઊંચાઈ 6 થી 7 ફૂટ
એક વિઘે 350 વૃક્ષ
ઉત્પાદન 10 કિલો પ્રતિ વૃક્ષ
એક વિઘે કુલ 3500 કિલોનું ઉત્પાદન
ભાવ 150 રૂપિયા પ્રતિ કિલો
એક વિઘે કુલ આવક 5,25,000
ઇઝરાયલ પધ્ધતિમાં અંદાજે સવા લાખ રૂપિયા વધુ મળે છે
આમ પરંપરાગત પધ્ધતિ ને બદલે ઈઝરાયલ પધ્ધતિ અપનાવવાથી વાવેતરનો વિસ્તાર વધે છે તેથી જમીનનો પુરો ઉપયોગ થાય છે. વૃક્ષની ઉંચાઈ ઓછી હોવાથી દવા, ખાતર અને મજુરી ખર્ચ ઘટે છે, ઉત્પાદન ઓછું પરંતુ ગુણવત્તાને લઈને તેના ભાવ વધુ મળે છે પરિણામે નવી ઈઝરાયલ પધ્ધતિમાં અંદાજે સવા લાખ રૂપિયા વધુ મળે છે.

વિદેશમાં પણ સંજયભાઈએ તૈયાર કરેલી આંબાની કલમોની માંગ
કેરીના પાકમાં વાવેતરના પ્રથમ વર્ષથી જ ફળ આવવાનું શરૂ થાય છે પરંતુ પ્રથમ બે વર્ષ તેને ફ્લાવરીંગ અવસ્થાએ જ ખેરવી નાખવામાં આવે છે અને ત્રીજા વર્ષથી તેમાં ફાલ લેવામાં આવે છે જે ઉચ્ચ ગુણવત્તાનો ફાલ આવે છે. સંજયભાઈ સ્પષ્ટપણે માને છે કે ઉત્તમ કેરી માટે ઉત્તમ આંબા હોવા જરૂરી છે, નિકાસલક્ષી કેરીના ઉત્પાદન માટે સારી જાતની કલમો તૈયાર કરવામાં આવે તો જ ઉત્તમ ગુણવત્તાની કેરીનું ઉત્પાદન મળી શકે અને તેની નિકાસ કરીને ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય છે અને તેથી જ તેઓ કેરીના બદલે આંબાની કલમોના ઉત્પાદનને કેન્દ્રમાં રાખી કામ કરે છે. પોતાના બગીચાની કેસર કેરીની ગુણવત્તા જોઈને જ તેમને આંબાની કલમો તૈયાર કરવાનો વિચાર આવ્યો. ઉચ્ચ ગુણવત્તાની કેરી તૈયાર કરી જેના માટે વર્ષ 2003 માં તેને કેસર કેરીની શ્રેષ્ઠ ગુણવત્તા માટે સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું અને ભારત સરકાર તરફથી તેને કેસર કેરીની ઉચ્ચ ગુણવત્તાનો એવોર્ડ આપવામાં આવ્યો. કેરીની સાથેસાથે આંબાની કલમોની જબરી માંગ છે અને ગુજરાતમાં કે દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સંજયભાઈએ તૈયાર કરેલી આંબાની કલમોની માંગ છે. તેમણે ઈથિયોપિયા, મડાગાસ્કર અને અમેરીકાના ફ્લોરીડામાં આંબાની કલમોની નિકાસ કરી છે અને ત્યાં પણ સફળ ઉત્પાદન મળી રહ્યું છે. તેથી જ સંજયભાઈને કેસર કેરીની કલમોની કરેલી નિકાસ માટે ગુજરાત સરકારે ઉદ્યોગરત્ન એવોર્ડ આપ્યો છે અને છેલ્લે વર્ષ 2017 માં તેમને કૃષિ રત્ન એવોર્ડ પણ મળ્યો છે. અત્યાર સુધીમાં તેઓ એક લાખ આંબાની કલમોનું વેચાણ કરી ચુક્યા છે.

ખેડૂતોની આવક નિશ્ચિતપણે બમણી કરી શકાય
કેસર કેરીનું ઉત્પાદન વધે, કેસર કેરીનો વ્યાપ વધે અને કેસર કેરીની નિકાસ વધે તેના માટે સંજયભાઈ ઉચ્ચ ગુણવત્તાની કેસર કેરીની કલમોનું ઉત્પાદન કરી રહ્યા છે, પોતાની કોઠાસૂઝ અને આધુનિક ખેતી પધ્ધતિના સમન્વયથી સંજયભાઈએ જે સિદ્ધિ હાંસલ કરી છે તે પધ્ધતિ અન્ય બાગાયતી ખેડૂતો અપનાવે તો ખેડૂતોની આવક નિશ્ચિતપણે બમણી કરી શકાય તેમ છે.

રતાંગ ગામનો કેરી સાથેનો અનોખો નાતો, રસપ્રદ ઈતિહાસ…
કેરીની અંદાજે બે હજાર જેટલી વિવિધ જાતો છે. દરેક જાતની કેરીનો સ્વાદ સુગંધ રંગ અને કદ અલગ અલગ હોય છે અને તેના ગુણધર્મથી તે કેરી ઓળખાતી હોય છે. કેરીની આવી જ એક વેરાયટી મશહુર છે અને તે છે અમૃતાંગ કેરી… વિસાવદર તાલુકાના રતાંગ ગામની અમૃતાંગ કેરીની જબરી માંગ છે અને સ્વાદના રસિકો કેરીની સિઝન દરમિયાન અમૃતાંગ કેરી ખાવાનું ચુકતાં નથી, આ કેરી કેસર કેરીની પહૈલાની કેરી છે, સ્વાદમાં સાકર જેવી મીઠી, ખુશ્બુદાર અને કેસરી રંગ મન મોહી લે તેવો હોય છે. આ અમૃતાંગ કેરીનો પણ એક રસપ્રદ ઈતિહાસ છે. રતાંગ ગામના નગરશેઠ અમૃતભાઈ દેસાઈના બગીચામાં આ કેરી હતી જેનું નામકરણ આણંદ કૃષિ યુનિ ના ડો. અમીન સાહેબે તેનું વર્ષ 1974 માં નામકરણ કર્યું હતું. આ કેરીને અમૃતાંગ નામ એટલા માટે આપવામાં આવ્યું કે આ કેરી અમૃત જેવી મીઠી, અમૃતભાઈના બગીચાની હતી અને રતાંગ ગામની હતી તેથી અમૃત અને રતાંગ શબ્દની સંધિ કરીને અમૃતાંગ નામ આ કેરીને આપવામાં આવ્યું હતું.