Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સદી નોંધાઈ, આરોગ્યમંત્રીએ લીધી પરિવારની રૂબરુ મુલાકાત

10:23 AM Apr 19, 2023 | Vipul Pandya

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનનો આંકડો 100 પર પહોંચી ગયો છે. અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષીય નિલેશભાઈ ઝાલાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ઇજા પહોંચતા  સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા .જ્યાં ૨૪ જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન તબીબો દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા તેમના પિતા અને પરિવારજનોને અંગદાનની સમજ આપવામાં આવી ત્યારે તેમના પિતા મહેન્દ્રભાઈ ઝાલાએ દીકરાના અંગદાનનો નિર્ણય કર્યો. અંગદાનની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની, ફેફસાં, લીવર, હ્રદયનું દાન મેળવવા સફળતા મળી છે

રાત્રે મંત્રી ઋષિકેશ પટેલ ઋણ સ્વીકાર કરવા રૂબરૂ પહોંચ્યા 
મંગળવારે રાત્રે ૧૦:૦૦ કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી અંગદાતાના પરિવારનો ઋણસ્વીકાર કરવા આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ પહોંચ્યા હતા તેમણે કહ્યું હતું કે “અંગદાન મહાદાન”ના સેવામંત્રને આત્મસાત કરીએ. રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે શાસનની સંવેદનાનો પુન: એક વાર પરિચય કરાવ્યો.વાત જાણે એમ બની કે, આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે સિવિલ હોસ્પિટલમાં ચાલતી કામગીરી સંદર્ભે સિવિલ ગઇ કાલે સુપ્રિટેન્ડેન્ટને ફોન કર્યો, ત્યારે વાતચીત દરમિયાન સુપ્રિટેન્ડેન્ટશ્રીએ મંત્રીને એવી જાણકારી આપી કે સિવિલ હોસ્પિટલમાં આજે ૧૦૦ મું અંગદાન થશે.આ જાણકારી મળતા તેઓએ અંગદાનના સેવાકીય કાર્યના  નિર્ણયકર્તા પરિવારનો ઋણસ્વીકાર કરવા સિવિલ જવાનું નક્કી કર્યું. 


શું કહ્યું મંત્રી ઋષિકેશભાઇ પટેલે ?
મંત્રીશ્રી રાત્રે દસ કલાકે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને ૨૬ વર્ષીય બ્રેઈનડેડ યુવકના અંગદાન પૂર્વેની પ્રાર્થનામાં સહભાગી થયા.આરોગ્ય મંત્રીએ અંગદાતાના પરિવારજનોના સેવાભાવને બિરદાવતા કહ્યું કે, અંગદાન થકી માણસ મૃત્યુ બાદ અન્ય વ્યક્તિને નવું જીવન આપે છે. તેમણે ઉમેર્યું અંગદાનનો નિર્ણયકર્તા  મહાન આત્માઓ ભારતીય સંસ્કૃતિના “સેવા પરમો ધર્મ”ના મંત્રને ચરિતાર્થ કરે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલો  અંગદાનનો  સેવાયજ્ઞ અવિરત પણે આગળ વધી રહ્યો છે. ડિસેમ્બર-૨૦૨૦ માં શરૂ થયેલ અંગદાન આજે 100 પર પહોંચી ચૂક્યું છે.અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાકમાં બે અંગદાન થયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં બે યુવાનો સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કરીને ૮ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું હતું, બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં મળેલી ચાર કિડની ,બે લીવર અને બે હ્રદયના દાન થી ૮ જરૂરિયાતમંદોના અંધકામય જીવનમાં અજવાસ પથરાયો
98મું અંગદાન 26 વર્ષીય દિપુભાઇનું હતું 
સિવિલ હોસ્પિટલમાં થયેલ ૯૮ માં અંગદાનમાં મૂળ ઉત્તરપ્રદેશના ૨૬ વર્ષીય દિપુભાઇ બચુલાલ ઉંચાઇ પરથી પડી જવાના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સધન સારવાર અર્થે  દાખલ  હતા. તેઓને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે શરૂઆત થી જ સ્થિતિ ગંભીર હતી. ૪ દિવસની  સઘન સારવાર બાદ ૧૧ મી જાન્યુઆરીના દિવસે તેઓને સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરતા કાઉન્સેલર્સ દ્વારા તેમના પરિવારજનોને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા હતા. તેમના પરિવારજનો દ્વારા બ્રેઇનડેડ દિપુભાઇના અંગોનું દાન કરતા બે કિડની, એક લીવર અને હ્રદયનું દાન મેળવવામાં સફળતા મળી. 
99મું અંગદાન 28 વર્ષીય ભરતભાઇ સેનવાનું હતું 
તેવી જ રીતે સિવિલ હોસ્પિટલમાં થયેલ ૯૯ માં અંગદાનની વિગતો જોઇએ તો સાબરકાંઠાના ૨૮ વર્ષના ભરતભાઇ સેનવા છાપરા પરથી પડી જતા તેઓને પણ માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. તેઓ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર મેળવી રહ્યા હતા. જેઓને પણ ૧૨ મી જાન્યુઆરીની વહેલી સવારે તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. બ્રેઇનડેડ ભરતભાઇના અંગદાનમાં બે કિડની,એક લીવર અને હ્રદયનું દાન મળ્યું છે. 

અંગદાનને કારણે અંગોના પ્રત્યારોપણ નિશુલ્ક અથવા નજીવાદરે શક્ય બન્યા 
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ સિવિલ મેડિસીટીને વિકસાવવાના જોયેલા સ્વપ્નના ફળ આજે મળતા થયા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થતા અંગદાન બાદ તેમાંથી મળતા અંગોના પ્રત્યારોપણ મેડિસીટી કેમ્પસની જ કિડની અને હાર્ટ હોસ્પિટલમાં થતા શક્ય બન્યા છે. જેના પરિણામે સરકારી હોસ્પિટલમાં થતા પ્રત્યારોપણ નિ:શુલ્ક અથવા તો ખુબ જ નજીવા દરે થઇ રહ્યા છે. 

યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ દ્વારા બે મહિનામાં 5 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ 
આર્થિક ભીંસના કારણે અંગોની ખોડખાપણમાંથી નવજીવન મેળવવું જે ગરીબ પરિવારો માટે ફક્ત એક સ્વપ્ન સમુ બની ગયું હતુ તે આજે પુર્ણ થતું જોવા મળી રહ્યું છે. મેડિસીટી કેમ્પસની યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ દ્વારા બે મહિનાના ટુંકાગાળામાં ૫ (પાંચ)હ્રદયનું સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે છેલ્લા ૨ વર્ષમાં અંગદાતા પરિવારોના સેવાભાવી નિર્ણયના પરિણામે ૯૯ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન મેળવ્યા છે. જેમાંથી મળેલા ૩૧૫ અંગોથી ૨૯૨ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.