બુધવારે દેશભરમાં દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અનિષ્ટ પર સારાની જીતના પ્રતિક રૂપે વિવિધ સ્થળોએ રાવણ દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ દરમિયાન હરિયાણામાં મોટી દુર્ઘટના ટળી હતી. જીહા, યમુનાનગરમાં રાવણનું પૂતળું દહન કરવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ અચાનક પૂતળું જમીન પર પડી ગયું, જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા. જોકે, સમય જતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.
70 ફૂટનું પૂતળું લોકો પર પડ્યું
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના સળગતા પૂતળામાંથી બહાર આવતા લાકડાના કારણે બની હતી. અહીં વરસાદના કારણે રાવણનું પૂતળું ભીનું થઇ ગયું હતું અને તેના કારણે તે લાકડાઓ વાંકાચૂકા થઇ ગયા હતા, જેના કારણે 70 ફૂટનું પૂતળું લોકો પર પડ્યું હતું, જેના કારણે 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પૂતળાને લોકો પર પડતા જોઈને નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના માથા ફાટી ગયા હતા જ્યારે બે લોકોના કપડા બળી ગયા હતા. જ્યારે ફટાકડા ફોડવાને કારણે બે લોકો દાઝી ગયા હતા. વળી, હરિયાણાના ફતેહાબાદથી એક ઘટના સામે આવી છે જેમાં પૂતળાને વચ્ચેથી તોડવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ફતેહાબાદના હુડા સેક્ટરની ખાલી જગ્યા પર શ્રી રામ સેવા સમિતિ વતી પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. અહીં પૂતળાને ક્રેનથી ઊંચે ઉપાડતી વખતે વચ્ચેથી તૂટી ગયું અને લટકી ગયું હતું. જેના કારણે પૂતળા દહનનો કાર્યક્રમ વિલંબિત થયો હતો.
હિમાચલ પ્રદેશમાં દશેરાના કાર્યક્રમમાં PM મોદીની હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં દશેરાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સાથે તેમણે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું છે. મોદી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) અને હાઈડ્રો એન્જિનિયરિંગ કોલેજનું ઉદ્ઘાટન કર્યા બાદ લુહનુ મેદાનમાં રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ સંસ્થાઓનો શિલાન્યાસ મોદીએ 2017માં કર્યો હતો.
ઉપરાષ્ટ્રપતિએ દિલ્હીમાં હાજરી આપી
બીજી તરફ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રામ લીલા મેદાન ખાતે દશેરાની ઉજવણીમાં હાજરી આપી હતી. વળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ લાલ કિલ્લા પર દશેરા કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. જોકે, કેટલાક કારણોસર તે દશેરાના કાર્યક્રમમાં હાજર રહી ન શક્યા હતા.
યુપીમાં વરસાદે દશેરામાં વિક્ષેપ પાડ્યો
જો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદે દશેરાના કાર્યક્રમમાં ખલેલ સર્જી હતી. ઘણી જગ્યાએ દશેરાનો કાર્યક્રમ થઈ શક્યો નથી. કાનપુરમાં વરસાદથી બચવા માટે રાવણના પૂતળાને પોલિથીનથી ઢાંકી દેવામાં આવ્યો હતો. યુપીમાં દશેરાનો કાર્યક્રમ ન હોવાના કારણે મેળામાં દુકાનો ગોઠવનાર દુકાનદારોને ભારે હાલાકી ભોગવવી પડી છે.