Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

73માંથી 61 ખેડૂત સંગઠન રદ્દ થયેલા કૃષિ કાયદાના સમર્થનમાં હતા, સુપ્રીમની સમિતિના રિપોર્ટમાં દાવો

03:25 PM Apr 23, 2023 | Vipul Pandya

કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ઐતહાસિક ખેડૂત આંદલન થયું હતું. લગભગ દોઢ વર્ષ જેટલું ચાલેલા આ ખેડૂત આંદોલન બાદ સરકારે ત્રણે કૃષિ કાયદા પરત ખેંચ્યા હતા. જે સમયે આ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન ચાલતું હતું, તે સમય સુપ્રીમ કોર્ટ દ્વારા એક સમિતિ બનાવવામાં આવી હતી. કૃષિ કાયદા, તેની અસર ખેડૂત આંદલન સાથે જોડાયેલી જમીની હકિકત જાણવા માટે સુપ્રીમ કોર્ટે આ સમિતિની રચના કરી હતી. જેમાં કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી, અનિલ ઘટવટ અને પ્રમોદ કુમાર જોશીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમિતિએ માર્ચ 2021માં જ પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપી દીધો હતો. 
સમિતિએ કાયદા રદ્દ ના કરવાની ભલામણ કરી હતી
ત્યારે હવે રદ્દ થયેલા કૃષિ કાયદાને લઇને હવે નવો ખુલાાસો થયો છે. સમિતિ દ્વારા સુપ્રીમ કોર્ટને જે રિપોર્ટ સોંપવામાં આવી હતી, તેને હવે સાર્વજનિક કરવામાં આવી છે. આ રિપોર્ટમાં ત્રણ સભ્યોની સમિતિએ કૃષિ કાયદાને ખેડૂતો માટે ફાયદાકારક ગણાવીને તેને રદ્દ ના કરવાની વાત કરી હતી. સાથે જ આ સમિતિએ પોતાની રિપોર્ટમાં લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની સિસ્ટમને કાયદેસર બનાવવા માટે રાજ્યોને સ્વતંત્રતા આપવા સહિત કાયદાઓમાં ઘણા ફેરફારો પણ સૂચવ્યા હતા. 
સમિતિનો રિપોર્ટ સાર્વજનિક
આ ત્રણ સભ્યોની સમિતિમાં એક સભ્ય એવા અનિલ ઘનવટે રાજધાની દિલ્હીમાં કૃષિ કાયદા અંગેના રિપોર્ટને સાર્વજનિક કર્યો છે. સ્વતંત્ર ભારત પાર્ટીના પ્રમુખ ઘનવટે કહ્યું, કે ‘19 માર્ચ, 2021ના રોજ અમે સુપ્રીમ કોર્ટને આ રિપોર્ટ સોંપ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટને અમે ત્રણ વખત પત્ર લખીને રિપોર્ટ જાહેર કરવા વિનંતી કરી હતી. પરંતુ અમને કોઈ જવાબ મળ્યો નથી. તયારે હું આજે આ રિપોર્ટ જાહેર કરી રહ્યો છું. ત્રણેય કૃષિ કાયદાઓ રદ્દ કરવામાં આવ્યા છે, તેથી હવે તેની કોઈ પ્રાસંગિકતા રહેતી નથી.’
61 ખેડૂત સંસ્થાઓનું સમર્થન
ઘનવટે કહ્યું કે સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે આ કાયદાઓ રદ્દ કરવા અથવા લાંબા સમય સુધી સ્થગિત રાખવા એ શાંત રહીને કૃષિ કાયદાઓનું સમર્થન કરનારા બહુમતી ખેડૂતો સાથે અન્યાય હશે. તેમણે કહ્યું કે કુલ 73 ખેડૂત સંગઠનોએ અમારી સમિતિ સમક્ષ તેમના મંતવ્યો રજૂ કર્યા હતા. જેમાંથી 3.3 કરોડ ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતી 61 ખેડૂત સંસ્થાઓએ કૃષિ કાયદાને સમર્થન આપ્યું હતું. સંયુક્ત કિસાન મોરચા (SKM)ની આગેવાની હેઠળ આંદોલન કરી રહેલા 40 સંગઠનોને વારંવાર વિનંતીઓ કરવા છતાં તેમણે તેમના મંતવ્યો રજૂ કર્યા નહોતા.
સરકારે કૃષિ કાયદા રદ્દ કર્યા
ઉલ્લેખનીય છે કે આ રિપોર્ટ ત્યારે સાર્વજનિક થયો છે જયારે ખેડૂત આંદોલન પુરુ થયું, તેને પાંચ મહિના જેટલો સમય થઇ ગયો છે. 19 નવેમ્બર 2021ના રોજ કેન્દ્રની મોદી સરકારે ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાનો નિર્ણય લીધો હતો. દેશને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખેડૂતોના એક વર્ગને આ કાયદાઓ સમજાવવામાં સક્ષમ ન હોવા બદલ તેઓ દેશની માફી માંગે છે.