કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે દાવો કર્યો હતો કે સરકારની બેદરકારીને કારણે કોરોના મહામારી દરમિયાન 40 લાખ ભારતીયોના મોત થયા છે. આ સાથે જ તેમણે ફરી એકવાર તમામ મૃતકોના પરિવારોને 4-4 લાખ રૂપિયા વળતર આપવાની માંગ કરી છે. રાહુલે ટ્વીટર પર ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિશ્વભરમાં કોરોનાથી થતા મૃત્યુના આંકડા જાહેર કરવાના મામલે WHOના પ્રયાસોને ભારત અટકાવી રહ્યું છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે એક ટ્વિટમાં કહ્યું કે મોદીજી ન તો સાચું બોલે છે અને ન તો બોલવા દે છે. તેઓ હજુ પણ ખોટું બોલે છે કે ઓક્સિજનના અભાવે કોઈનું મૃત્યુ થયું નથી! રાહુલે કહ્યું કે મેં પહેલા પણ કહ્યું હતું – કોરોનાકાળ દરમિયાન સરકારની બેદરકારીને કારણે પાંચ લાખ નહીં પરંતુ 40 લાખ ભારતીયોના મોત થયા છે. તેમણે કહ્યું કે મોદીજી તમારી ફરજ બજાવો, દરેક પીડિત પરિવારને 4-4 લાખ રૂપિયાનું વળતર આપો.
દેશમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુની સંખ્યા પર ચર્ચા
ઉલ્લેખનીય છે કે ભારતે શનિવારે દેશમાં કોવિડ-19 મૃત્યુ દરના અંદાજ માટે WHOની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા હતા. સરકારે કહ્યું હતું કે આટલા વિશાળ ભૌગોલિક કદ અને વસ્તી ધરાવતા દેશમાં મૃત્યુના આંકડાનો અંદાજ કાઢવા માટે આવા ગાણિતિક મોડલનો ઉપયોગ કરી શકાતો નથી.
16 એપ્રિલના રોજ ન્યૂયોર્ક ટાઇમ્સના ‘ભારત વૈશ્વિક કોરોના દર્દીઓના મૃત્યુના આંકડાને સાર્વજનિક કરવાના WHOના પ્રયાસને અટકાવી રહ્યું છે’ શિર્ષક હેઠળના અહેવાલના જવાબમાં આરોગ્ય મંત્રાલય દ્વારા આ પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપનાવવામાં આવી રહેલી પદ્ધતિને લઈને દેશે ઘણી વખત પોતાની ચિંતા વ્યક્ત કરી છે.