+

BIG BREAKING : જુનાગઢ તોડ કાંડમાં PI તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર…

જુનાગઢ મહાતોડકાંડમાં મુખ્ય આરોપી અને ફરજ મોકૂફ પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ ની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત ATS એ આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરી હતી. આજે જુનાગઢ કોર્ટમાં તરલ…

જુનાગઢ મહાતોડકાંડમાં મુખ્ય આરોપી અને ફરજ મોકૂફ પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ ની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત ATS એ આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરી હતી. આજે જુનાગઢ કોર્ટમાં તરલ ભટ્ટને રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત ATS દ્વારા તરલ ભટ્ટ વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા.

તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર 

આજરોજ તરલ ભટ્ટના તોડ કાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. તરલ ભટ્ટને ધરપકડ બાદ જુનાગઢ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જુનાગઢ કોર્ટ દ્વારા તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જજ બી.સી.ઠક્કર દ્વારા આ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અહી નોંધનીય વાત એ છે કે, ATS દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ જુનાગઢ કોર્ટ દ્વારા ફક્ત 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તરલ ભટ્ટના રિમાન્ડ 7 ફેબ્રુઆરી સુધી ચાલશે.

સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટને છુપાવતું પોલીસનું રક્ષાકવચ 

સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટને કૉર્ટમાં લઈ જતાં છેક સુધી પોલીસ દ્વારા રક્ષાકવચ આપવામાં આવ્યું હતું. વધુમાં તરલ ભટ્ટને રજૂ કરતી વેળા મીડિયાને હટી જવાનું કહેવામાં આવ્યું હતું. અહી મીડિયાને દૂર હટી જવાનું કહેતી પોલીસ કેમેરામાં કેદ થઈ હતી. સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટને બ્લેક ફિલ્મ લગાવાયેલી કારમાં લાવવામાં આવ્યા હતા.

અહી પ્રશ્ન એ ઊભો થાય છે કે, તરલ ભટ્ટને બ્લેક ફિલ્મ લગાવાયેલી ગાડીમાં શા માટે લવાયો ? આમ આરોપીને છડેચોક લાવતી પોલીસનું બીજું રૂપ આપણને અહી જોવા મળ્યું છે.

કૉર્ટમાં રજૂ કરતી વખતે પોલીસ છૂપાવે છે શા માટે?
આખરે જૂનાગઢ પોલીસની એવી તો શું મજબૂરી છે?
શું કોઈ ‘ઉપર’ના આદેશનું પાલન કરી રહી છે જૂનાગઢ પોલીસ?
જૂનાગઢ એસપી હર્ષદ મહેતાના નાક નીચે આવું શા માટે?
શું એસપી હર્ષદ મહેતાની સૂચનાથી તરલ ભટ્ટને મળ્યું રક્ષા કવચ?

રિમાન્ડના મુદ્દાઓ

(1) આ કામના આરોપીઓએ LCB જુનાગઢના પ્રોહિ, જુગારની ડ્રાઇવ અંગેના મેસેજનો ખોટો આધાર લઇ ક્રિકેટના સટ્ટા બેટીંગનો પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડતા કેટલાક ઇસમોના બેંક એકાઉન્ટો ફ્રીઝ કરાવી તેઓને ધાક ધમકી આપી તેઓ પાસેથી તેઓના બેંકમાં જમા રકમના ૪૦% થી ૫૦% રકમ પડાવી લેવાનું ગુનાહીત કાવતરુ રચેલ અને આ કાવતરુ પાર પાડવાના ભાગ રૂપે તેઓએ જુદા જુદા ઇસમોના જુદી જુદી બેંકોના આશરે કુલ – ૩૮૬ જેટલા બેંક એકાઉન્ટો ફ્રીઝ કરાવેલ હતા. જેથી આ ગુનાના ગુનાહિત કાવતરામાં તેઓની સાથે બીજા કોણ કોણ ઇસમો સંડોવાયેલ છે ? તેમજ આ ગુનાહિત કાવતરુ કયારે અને કઇ જગ્યાએ રચેલ હતુ? તે હકીકત જાણવા સારૂ.

(2) આ ગુનાના આરોપીઓનો ઇરાદો પ્રથમથી જ બેંક એકાઉન્ટ ધારકો પાસેથી તેઓના ખાતામાં જમા રકમના ૪૦% થી ૫૦% રકમ પડાવી લેવાનો હતો જેથી આ ગુનાના કામે ફ્રીઝ કરેલ ૩૬૦ જેટલા બેંક એકાઉન્ટોની માહિતી તેઓએ કોની પાસેથી મેળવેલ હતી. તેમજ તેઓએ આ ફ્રીઝ કરેલ બેંક એકાઉન્ટોના ડેટા અનઓથોરાઇઝડ એક્સેસ કરીને મેળવેલ હોય આ ડેટા તેઓએ કયાંથી મેળવેલ હતા તે જાણવું ખુબ જ જરૂરી છે અને આ હકીકત જાણવા મળે તો આ ગુનાના મુળ સુધી પહોંચી શકાય તેમ છે.

(3) સદરી આરોપીએ સાયબર ક્રાઇમ સેલ, જુનાગઢની કચેરીમાંથી એકાઉન્ટ ફ્રીઝ કરેલ બેંકો તરફથી આવેલ બેંક સ્ટેટમેન્ટ તથા KYC વિગેરેની માહિતી પોતાની પેન ડ્રાઇવમાં લઇ ગયેલ હતા. ત્યાર બાદ તેઓ ફરીથી સાયબર ક્રાઇમ સેલ, જુનાગઢની કચેરીમાંથી એકાઉન્ટ ફ્રીઝ કરેલ હતા તે પૈકી કેટલાક બેંક ધારકોના ફોન આવેલ હતા તેની માહિતી પોતાની પેન ડ્રાઇવમાં લઇ ગયેલ હતા તે બન્ને પેન ડ્રાઇવ ક્યાં સંતાડેલ છે? તે હકીકત જાણી કબ્જે કરવા સારુ. તેમજ આ ડેટા લઇ તેમને શું કર્યું? તે બાબતે તપાસ કરવા સારુ.

(4) સદરી આરોપી પાસેથી એક મોબાઇલ ફોન કબ્જે કરેલ છે. આ મોબાઇલ ફોન તેઓએ તાજેતરમાં નવો ખરીદેલ હોવાનું જણાવે છે અને આ મોબાઇલ ફોનમાં કોઇ સીમકાર્ડ લગાડેલ નથી. જેથી તેઓએ આ ગુનામાં ઉપયોગમાં લીધેલ ત્રણ મોબાઇલ ફોન બાબતે કોઇ સંતોષકારક જવાબ આપતા નથી જેથી આ ત્રણેય મોબાઇલ ફોન તેઓએ કઇ જગ્યાએ સંતાડેલ છે? તે હકીકત જાણી કબ્જે કરવા સારુ.

(5) સદરી આરોપી હંમેશા મોબાઇલ ફોનમાં વોટસએપ કોલ મારફતે વાતચીત કરતા હતા અને ખાનગી રાહે જાણવા મળેલ છે કે, તેઓ ઘણા બધા વર્ચ્યુઅલ નંબરોથી લોકો સાથે સંપર્કમાં રહેલ હતા જેથી આ વર્ચ્યુઅલ નંબરો તેઓ પાસેથી મેળવવા સારુ.

(6) સદરી આરોપીએ એસ.ઓ.જી. જુનાગઢ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ ગોહિલ નાઓને અલગ અલગ દિવસોએ ક્રિકેટના સટ્ટા બેટીંગનો પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડતા ઇસમોના ૩૮૬ જેટલા બેંક એકાઉન્ટ અંગેની બાતમી હકીકત વોટસએપના માધ્યમથી મોકલાવેલ હતી. જે બાતમી હકીકત ખરેખર તેઓને કોઈ બાતમીદાર તરફથી મળેલ હતી અગર તો તેઓએ જાતે બેંક એકાઉન્ટ ધારકો પાસેથી પૈસા પડાવવાના ઇરાદે ઉપજાવી કાઢેલ હતી? તે હકીકત જાણવા સારૂ.

(7). સદરી આરોપીના મોબાઇલ ફોનમાં રાખેલ ફ્રીઝ કરેલ બેંક એકાઉન્ટોની માહિતી અંગેનો ડેટા કયાં સંગ્રહ કરેલ છે તે જાણવા સારુ તેઓની હાજરીની જરૂર છે.

(8). સદરી આરોપીએ કોમ્પ્યુટરના સોર્સ યુઝ કરી આ ગુનાનું કાવતરું રચેલ છે. જેથી તે કોમ્પ્યુટરનું ફોરેન્સીક એનાલીસીસ કરી તેના ડેટા રીકવર કરવા સારુ

(9). સદરી આરોપીના મોબાઇલ ફોનમાં સ્ટોર કરેલ નંબરોવાળા વ્યક્તિઓના સંપર્ક બાબતે સાથે રાખી તે સંપર્કો કયા કયા ઇસમોના છે? તે બાબતે પુછપરછ કરવા સારુ.

(10). તાજેતરમાં જુદા જુદા ન્યુઝ પેપરમાં સમાચારો પ્રસિધ્ધ થયેલ છે કે આ કામના આરોપી તરલ ભટ્ટના દુબઇના ક્રિકેટ સટોડિયાઓ સાથે સંપર્કો છે તેમજ અગાઉ તેઓ અમદાવાદ શહેર પી.સી.બી.માં કરજ બજાવતા હતા ત્યારે સફા બેટીંગનો પૈસાની હાર જીતનો જુગારના કેસની તપાસ તેઓ કરતા હતા અને આ તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલમાં ટ્રાન્સફર થયેલ છે જેથી તેઓએ આપેલ બાતમીમાં જણાવેલ બેંક એકાઉન્ટ નંબરો તે ગુના સબંધેના હતા કે કેમ? તે હકીકત જાણવા સારૂ.

(11) સદરી આરોપી તા.૨૬/૦૧/૨૦૨૪ થી આજ દિન સુધી વોન્ટેડ રહેલ છે. તેઓને કોણે કોણે અને કઈ કઈ જગ્યાબે આશરો આપેલ હતો? અને આ દરમ્યાન તેઓને કોઇએ આર્થિક મદદ કરેલ હતી કે કેમ? તે હકીકત જાણવા સારૂ.

(12) આ કામના આરોપી પોલીસ ઇન્સપેક્ટર દરજ્જાના અધિકારી છે, અને ટેકનિકલી અને કાયદાના જાણકાર છે. જેથી તેઓ આ ગુનાની તપાસના કામે કોઇ ફળદાયક હકીકત જણાવતા નથી, અને ગોળ ગોળ જવાબો આપી પોલીસ કસ્ટડીનો સમય પુરો કરવાની કોશીશ કરેલ છે. જેથી ન્યાયના હિતમાં આ ગુનાની યોગ્ય તપાસ માટે સદરી આરોપીની પોલીસ કસ્ટડી રિમાન્ડમાં હાજરીની જરૂર છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ધરપકડથી બચવા માટે આરોપી પીઆઈ તરલ ભટ્ટે ( TARAL BHATT) 1400 કિમીનો પ્રવાસ ખેડ્યો હતો. તરલ ભટ્ટ જુનાગઢથી અમદાવાદ અને અમદાવાદથી શ્રીનાથજી અને ત્યાંથી ઇન્દૌર (Indore) ગયા હતા. ઈન્દૌરથી પરત આવતા અમદાવાદના હાઈવે પરથી તેઓ પકડાયા હતા. એટીએસને તરલ ભટ્ટનું લોકેશન અને કારની માહિતી મળી હતી. પોલીસ વિભાગ દ્વારા માહિતી અપાઈ છે કે, આરોપી પોલીસ અધિકારી હોવાના કારણે એટીએસની ચુસ્ત તપાસ થશે.

શું છે તરલ ભટ્ટનો તોડકાંડ ?

પીઆઈ તરલ આર. ભટ્ટ તથા જુનાગઢ સાઇબર ક્રાઈમ (Junagadh Cyber Crime) સેલના પીઆઈ એ. એમ. ગોહિલ (MA GOHIL) અને એએસઆઈ દીપક જાની (DIPAK JANI) એ ગુજરાત પોલીસને ખળભળાટ મચાવી દે તેવો કાંડ રચ્યો હતો. તરલ ભટ્ટે આપેલી 335 થી વધુ જુદા-જુદા બેંક એકાઉન્ટની માહિતીના આધારે સાઇબર ક્રાઈમ સેલના પીઆઈ એ. એમ. ગોહિલે CRPC 91 અને CRPC 102 હેઠળ નોટિસ કાઢી તમામ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધા હતા.

આ બેંક એકાઉન્ટ ફરી કાર્યરત કરવા માટે પ્રત્યેક બેંક એકાઉન્ટ ધારક પાસેથી 20-20 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ તમામ હકીકત એક અરજદારની રજૂઆત બાદ સામે આવી હતી. જુનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડિયા એ આ મામલે તપાસ સોંપતા ત્રણેય પોલીસ અધિકારીઓ અને અન્ય સામે જુનાગઢ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.

Whatsapp share
facebook twitter