+

સુદાનથી રેસ્ક્યૂ કરાયેલા 360 ભારતીય નાગરિક દિલ્હી પહોંચ્યા, ઓપરેશન કાવેરી માટે PM મોદીનો માન્યો આભાર

ગૃહયુદ્ધ વચ્ચે સુદાનમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સરકાર ભારતીય સેનાની મદદથી બચાવ અભિયાન ચલાવી રહી છે. આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે (24 એપ્રિલ)ના રોજ માહિતી આપી…

ગૃહયુદ્ધ વચ્ચે સુદાનમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સરકાર ભારતીય સેનાની મદદથી બચાવ અભિયાન ચલાવી રહી છે. આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે (24 એપ્રિલ)ના રોજ માહિતી આપી હતી કે યુદ્ધમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે સરકાર દ્વારા ઓપરેશન કાવેરી શરૂ કરવામાં આવ્યું છે. હવે આ અંતર્ગત ફ્લાઇટ 360 મુસાફરો સાથે દિલ્હી પહોંચી છે.

બુધવારે (26 એપ્રિલ), જેદ્દાહથી 360 ભારતીયોને લઈને વિમાન લગભગ 9 વાગ્યે દિલ્હીના IGI એરપોર્ટ પર પહોંચ્યું હતું. આ પહેલા કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને માહિતી આપી હતી કે વિમાન જેદ્દાહથી રવાના થઇ ચૂક્યું છે. ભારતીયો જલ્દી જ તેમના પરિવારના સભ્યોને મળી શકશે. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ટ્વીટ કર્યું કે ભારત તેમના નાગરિકોનું સ્વાગત કરે છે. ઓપરેશન કાવેરી હેઠળ 360 ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા. પ્રથમ ફ્લાઈટ નવી દિલ્હી પહોંચી હતી.

ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ આભાર વ્યક્ત કર્યો
બુધવારે રાત્રે ભારત આવેલી ફ્લાઈટમાં ઉત્તરાખંડના 10 લોકોને પણ પાછા લાવવામાં આવ્યા હતા. નવી દિલ્હી પહોંચતા આ 10 લોકોનું ઉત્તરાખંડના નિવાસી કમિશનર અજય મિશ્રા અને સહાયક પ્રોટોકોલ અધિકારી અમર બિષ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં સુનીલ સિંહ, વિનોદ નેગી, પ્રવીણ નેગી, અનિલ કુમાર, શીશપાલ સિંહ, અંકિત બિષ્ટ, જુનૈદ ત્યાગી, જુનેદ અલી, ઇનાયત ત્યાગી અને સલમા ત્યાગીનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે સરકાર સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે.

કયા રાજ્યમાંથી કેટલા મુસાફરો?

સુદાનથી સાઉદી અરેબિયા થઈને ભારત આવતા મુસાફરોની રાજ્યવાર વિગતો આપવામાં આવી છે. જેમાં આસામમાં 3, બિહાર 98, છત્તીસગઢ 1, દિલ્હી 3, હરિયાણા 24, હિમાચલ પ્રદેશ 22, ઝારખંડ 6, મધ્ય પ્રદેશ 4, ઓડિશા 15, પંજાબ 22, રાજસ્થાન 36, ઉત્તર પ્રદેશ 116, ઉત્તરાખંડ 10 અને પશ્ચિમ બંગાળમાંથી 22નો સમાવેશ થાય છે. સુદાનથી પરત ફરેલા એક ભારતીય નાગરિકે કહ્યું, ભારત સરકારે અમારો ઘણો સાથ આપ્યો. આ એક મોટી વાત છે કે અમે સુરક્ષિત રીતે અહીં પહોંચ્યા કારણ કે તે ખૂબ જ ખતરનાક હતું. હું પીએમ મોદી અને ભારત સરકારનો આભાર માનું છું.આ સિવાય ભરત નામના એક નાગરિકે કહ્યું હતું કે હું ભારત સરકારનો આભાર માનું છું. સાઉદી અરેબિયાએ પણ સારું કામ કર્યું છે. સારી વ્યવસ્થા માટે હું પીએમ નરેન્દ્ર મોદી અને ડૉ. એસ જયશંકરને સલામ કરું છું.”

સુદાનમાં આશરે 3,000 ભારતીયો છે

સુદાનમાં લગભગ 3,000 ભારતીયો છે. સુદાનની રાજધાની ખાર્તુમમાં અનેક સ્થળોએથી ભારે લડાઈના અહેવાલો સાથે સુદાનમાં સુરક્ષાની સ્થિતિ અસ્થિર છે. છેલ્લા 10 દિવસથી અહીં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેની ભીષણ લડાઈમાં 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (21 એપ્રિલ) એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સુદાનમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે યોજનાઓ તૈયાર કરવા સૂચના આપી હતી.

આ પણ  વાંચો – બદ્રીનાથ ધામના દરવાજા ખૂલ્યા, હેલિકોપ્ટરથી ફુલોની વર્ષા કરાઈ, શ્રદ્ધાળુઓ ઉમટ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Whatsapp share
facebook twitter