શહેર પોલીસ કંટ્રોલ રૂમને નાનામી કોલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આજે સાંજે સાત વાગ્યાથી આઠ વાગ્યાની વચ્ચે 15 થી 20 લોકો હથિયાર દારૂ ગોળા સાથે આવવાના છે અને મધ્યપ્રદેશથી હથિયાર લઈને આવ્યા છે, એવી માહિતી સાથે શહેર કંટ્રોલ રૂમને બાતમી મળી હતી. એટલું નહીં, સાંજે ગીતામંદિર અને કાલુપુર રેલવે સ્ટેશન પાસે ફાયરિંગ કરવાનાં હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
આ ઘટનાને પગલે અમરાઈવાડી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે. આજે બપોરે રાહુલ નામના વ્યક્તિએ ફોન કર્યો હતો. પિતરાઈ ભાઈઓ વચ્ચે જમીન મામલાને લઇને ફોન કર્યો હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રથયાત્રાનાં રૂટ પર ડ્રોનથી નિરીક્ષણ કરાશે
ઉલ્લેખનીય છે કે, 20 જૂનનાં રોજ યોજાનારી રથયાત્રાને લઈને પણ પોલીસ એક્શનમાં છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વખતે પોલીસ દ્વારા રથયાત્રામાં હાઈટેક સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રથયાત્રાનાં રૂટ પર ડ્રોનથી નિરીક્ષણ કરવામાં આવશે. જેમાં ખાસ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવશે. પ્રથમ વખત રથયાત્રામાં ટેલિગ્રામ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.