આજથી બે દિવસીય ગુજરાત વિધાનસભા ( Gujarat Assembly)ના અંતિમ સત્રનો પ્રારંભ થયો છે. વિધાનસભાના સત્રના પ્રારંભે જ કોંગ્રેસ (Congress) ના સભ્યોએ હોબાળો કર્યો હતો. હોબાળાના પગલે કોંગ્રેસના 20 ધારાસભ્યો (MLA)ને 1 દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ (Suspend) કરવામાં આવ્યા હતા.
રખડતા ઢોર નિયંત્રણ વિધયક પાછું ખેંચાયું
બહુમતીના આધારે વિધાનસભા ગૃહમાં રખડતા ઢોર નિયંત્રણ વિધેયક રદ્દ કરવામાં આવ્યું છેય શહેરી વિકાસ મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાએ પ્રસ્તાવ મુક્યો હતો. વિધેયક પુન:વિચાર માટે રાજ્યપાલે પરત મોકલ્યું હતું. સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઢોર નિયંત્રણ કાયદો રાજ્યપાલે પરત મોકલ્યો છે ત્યારે વિધાનસભામાં આજે સર્વાનુમતે તે પરત ખેંચાયો છે. સૌ પશુપાલકોની લાગણી મુખ્યમંત્રીએ અવારનવાર તેમના નિવાસ સ્થાને પણ બેઠક કરી છે. અવારનવાર સરકાર વતી હું પણ બોલ્યો છું. અમે ઓપન છીએ. આ જ અમારું ઉદાહરણ છે.
વિધાનસભા સત્રનો પ્રારંભ
ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આજથી વિધાનસભા ગૃહનું 2 દિવસના સત્રનો પ્રારંભ થયો હતો. બે દિવસના આ સત્રમાં આજે શોક ઠરાવ અને વિધેયકો પર ચર્ચા કરવામાં આવી રહી છે.
કોંગ્રેસના 20 ધારાસભ્યો સસ્પેન્ડ
સવારે જ્યારે વિધાનસભા સત્રનો પ્રારંભ થયો ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને વેલમાં ધસી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ વિવિધ પ્રશ્નોએ વિધાનસભા ગૃહના પગથીયાં પર બેસીને ધરણાં કર્યા હતા. ભારે હોબાળા બાદ સ્પીકરે કોંગ્રેસના 20 સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા.
આ ધારાસભ્યો સસ્પેન્ડ
ગૃહમાંથી જીગ્નેશ મેવાણી, ઇમરાન ખેડાવાલા, કનુભાઇ બારૈયા, કાંતિભાઇ ખરાડી, નૌશાદ સોલંકી, ગેનીબેન ઠાકોર , પ્રતાપ દૂધાત, અમરીશ ડેર, બાબુભાઇ, પુના ગામીત, ચંદનજી ઠાકોર સહિતા સભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવીને ગૃહનો ત્યાગ કર્યો હતો. કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે સરકાર પ્રજાના પ્રશ્નોની ચર્ચાથી ભાગે છે.બીજી તરફ વિધાનસભા સ્પીકરે કહ્યું કે ચર્ચાના બદલે ગૃહનું અપમાન યોગ્ય નથી
માર્ગ મકાન મંત્રીએ આપ્યો જવાબ
બીજી તરફ ટૂંકા પ્રશ્નોત્તરી કાળમાં રાજ્યના વલસાડ જીલ્લામાં રસ્તા બાબતે માર્ગ અને મકાન મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગૃહમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે કોંગર્સેના ધારાસભ્યએ વિપક્ષની ગરીમા જાળવી ન હતી. નવસારીમાં 127 ટકા અને વલસાડમાં 128 ટકા વરસાદ પડ્યો છે જેથી ત્યાના રસ્તા ધોવાયા છે. ટેક્નીકલ કારણોસર રસ્તા તૂટ્યા છે.સરકાર ટેન્ડર બહાર પાડે છે અને નીતિ નિયમ મુજબ રસ્તા બને છે અને કોઇપણ ચમરબંધીને ભાજપ છોડતું નથી. જે તે જવાબદાર અધિકારી સામે પગલાં પણ લેવાય છે અને સસ્પેન્ડ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે એક કંપની અને બે કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરાયા છે અને વલસાડમાં 1 તથા નવસારીમાં 17 રસ્તા જ રીપેર કરવાના બાકી છે.
જાણો શું કહ્યું જીતુ વાઘાણીએ
સરકારના કર્મચારીઓના આંદોલનોની ચર્ચા કરવા માટે વિપક્ષે હોબાળો કર્યો હતો ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે આ ગૌરવ અને સંસ્કાર નથી. શાંતિથી ચર્ચા કરીને ગૃહની કામગિરી ચાલવી જોઇએ પણ વિપક્ષે તેના સ્વભાવ મુજબ હોબાળો કર્યો છે અને તેના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસની માનસિક્તા નકારાત્મક છે અને સત્રમાં ભાગ લેવાના બદલે હંગામો કર્યો હતો. હંગામો કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. તેમણે દાવો કર્યો કે રાજ્યમાં ફરી એક વાર ભાજપનું શાસન આવશે. કોંગ્રેસ તૂટતી જાય છે અને તેને તેની ચિંતા કરવાની જરુર છે. તેમણે કટાક્ષ કર્યો કે ચૂંટણી આવે ત્યારે કેટલાક લોકોને પ્રશ્નો યાદ આવે છે. કોંગ્રેસ 5 વર્ષમાં ક્યારેય પ્રશ્નો લઇને આવી નથી. તેમણે વધુમાં કહ્યું કે ઢોર નિયંત્રણ બિલ પાસ થયું ત્યારબાદ માલધારી સાથે ચર્ચા કરી હતી અને રાજ્યપાલે બિલ પરત મોકલ્યા બાદ અમે પરત ખેંચ્યું છે.
શોકદર્શક અહેવાલ રજૂ
મુખ્યમંત્રીએ શોકદર્શક ઉલ્લેખોની શરૂવાત કરી હતી. પૂર્વ મંત્રી સ્વ ભગુભાઈ પટેલ, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વ.તારાચંદ છેડા, પૂર્વ સભ્ય સ્વ સુરેન્દ્ર રાજપૂત, સ્વ. ઘનશ્યામભાઈ ઠક્કર, સ્વ.ઈશ્વરભાઈ વહિયા, સ્વ.મગનસિંહ વાઘેલા, સ્વ.ભરતભાઇ ખોરાણીના અવસાનના શોકદર્શક ઉલ્લેખ રજૂ થયા હતા.