Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ખખડધજ્જ રોડ સુધારવા માટે ભાજપના કાર્યકરે ખેસ પહેરીને લોકફાળો ઉઘરાવ્યો

10:47 AM Sep 27, 2024 |

VADODARA : વડોદરા (VADODARA) ના હરણી વિસ્તારમાં રોડ રસ્તાની હાલત ભારે ખરાબ છે. પૂર બાદ તો લોકો રોડ પર નહીં ખાડામાં વાહન ચલાવીને અવર-જવર કરતા હોય તેવો રોજ અનુભવ કરી રહ્યા છે. ત્યારે ભાજપના કાર્યકર આકાશ પટેલે અનેક વખત રજુઆત કર્યા છતાં પણ રોડ-રસ્તાની હાલત નહીં સુધરતા હવે અનોખી રીતે વિરોધ શરૂ કર્યો છે. આકાશ પટેલ દ્વારા ભાજપનો ખેસ પહેરીને લોકો જોડેથી રોડ માટેનો ફાળો ઉઘરાવવામાંં આવી રહ્યો છે. જેમાં પ્રથમ દિવસે લોકોએ મળીને રૂ. 251 આપ્યા હતા. આખો મહિનો આ રીતે તેઓ લોકફાળો ઉઘરાવશે તેવું તેમનું કહેવું છે.

સમસ્યાનો કોઇ હલ નહી આવતા આખરે અનોખી રીતે વિરોધ કરવો પડ્યો

વડોદરામાં પૂર બાદ પાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને હરણી મોટનાથ મહાદેવ આગળ ના વિસ્તારોમાં રોડ-રસ્તા તથા અન્ય સમસ્યાઓથી લોકો ત્રસ્ત છે. આ મુદ્દે ભાજપના કાર્યકર આકાશ પટેલ ખુબ સક્રિય રહીને ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે તેમની અનેક રજુઆતો છતાં રોડ-રસ્તાની સમસ્યાનો કોઇ હલ નહી આવતા આખરે અનોખી રીતે વિરોધ કરવો પડ્યો છે. ભાજપના કાર્યકર આકાશ પટેલે ભાજપનો ખેસ પહેરીને રોડ બનાવવા માટેનો લોકફાળો એકત્ર કરવાની ઝુંબેશ શરૂ કરી છે.

આ ફાળો એક મહિના સુધી તેઓ ઉઘરાવશે

ગતરાતથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં આકાશ પટેલે ખેસ સાથે રોડ પર બેસીને તેની હાલત ઉજાગર કરી હતી. ત્યાર બાદ વિસ્તારમાં અલગ અલગ લોકો સુધી પહોંચીને તેમની પાસેથી ડબ્બામાં રોડ-રસ્તા માટે ફાળો ઉઘરાવ્યો હતો. આકાશ પટેલનું કહેવું છે કે, આ ફાળો એક મહિના સુધી તેઓ ઉઘરાવશે. ત્યાર બાદ તેમાંથી એકત્ર થયેલા પૈસા પાલિકાની કચેરીએ જઇને આપશે. અને રોડ બનાવવાની કામગીરી તેજ કરશે.

અમારી જ પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો કોઇ કામ નથી કરતા

આકાશ પટેલનું વધુમાં કહેવું છે કે, અમારા વિસ્તારમાં રહેણાંક મકાનો, હોસ્પિટલ અને શાળાઓ આવેલી છે. અમારા માથે આટલા ખરાબ રસ્તા મારવામાં આવ્યા છે. જેની પીડી અમે રોજ અવર-જવર સમયે અનુભવી રહ્યા છીએ. અમારી જ પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો કોઇ કામ નથી કરતા, જેથી આખરે મારે લોકોનો અવાજ બનીને રસ્તા પર ઉતરવું પડ્યું છે. અમારી જ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધીઓએ કોઇ વિકલ્પ બાકી ના રાખતા, આખરે અમારે આ રીતે નાછુટકે વિરોધ કરવા આવવું પડ્યું છે. હજી પણ તંત્ર નહી સુધરે તો આવનાર દિવસોમાં અનોખી રીતે વિરોધ ચાલુ જ રાખવામાં આવશે. મને રાજનિતીમાં નહી પણ લોકોની સમસ્યાના ઉકેલમાં રસ છે.

આ પણ વાંચો — Ahmedabad : AMC સ્ટેન્ડિંગ કમિટીએ ફાયર વિભાગમાં ભરતી, ગોટિલા ગાર્ડન ફી અંગે કરી મહત્ત્વપૂર્ણ જાહેરાત