Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Chile: ચાર દિવસથી સળગી રહ્યો છે આ દેશ! અત્યાર સુધી 112 લોકોના મોત

06:29 PM Feb 05, 2024 | VIMAL PRAJAPATI

Chile: ચિલી(Chile) ના જંગલનો એક ભાગ આગથી સળગી રહ્યો છે. દક્ષિણ અમેરિકી મહાદ્વીપના આ દેશમાં જંગલમાં લાગેલી આગને કારણે કેટલાય ઘર, કાર અને દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. આ સાથે આગની ઝપેટમાં સેંકડો લોકોનો મોત થઈ ગયા છે. અત્યારે સત્તાવાર રીતે મળતા આંકડા પ્રમાણે 112 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. સમાચાર એજન્સી દ્વારા મળતી વિગતો પ્રમાણે આ આગ મધ્ય ચિલીના પહાડી જંગલમાં લાગી છે.

ભૂકંપ બાદ ચિલીમાં આ સૌથી મોટી દુર્ઘટના

2010ના ભૂકંપ બાદ ચિલીમાં આ સૌથી મોટી દુર્ઘટના છે. તે સમયે ભૂકંપના કારણે લગભગ 500 લોકો માર્યા ગયા હતા. રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરીકે એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે. હાલ આગ 43 હજાર હેક્ટરમાં ફેલાઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, ભીષણ આગએ શહેરના પહાડી વિસ્તાર વિલા ઈન્ડિપેન્ડેનિયાને પણ લપેટમાં લીધું છે. સળગી ગયેલી કાર રસ્તા પર પાર્ક થયેલી જોવા મળે છે. નિષ્ણાંતોના જમાવ્યા પ્રમાણે આ આગ ઉષ્ણકટિબંધીય ગરમીના મોજાને કારણે લાગી હતી.

ચિલીના ઈતિહાસમાં સૌથી મોટી ભીષણ આગ

ચિલીના ગૃહમંત્રી કેરોલિના તોહાના જણાવ્યા અનુસાર, આ આગ ચિલીના ઈતિહાસની સૌથી ભયંકર આગ છે. રવિવાર સુધીમાં મધ્ય અને દક્ષિણ ચિલીમાં લગભગ 64,000 એકર વસાહતો બળી ગઈ હતી. ચીલીના દરિયાકાંઠાના શહેર વિના ડેલ માર અને તેની આસપાસના વિસ્તારો જંગલમાં લાગેલી આગથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. 1931માં બનેલો શહેરનો પ્રખ્યાત બોટનિકલ ગાર્ડન બળીને રાખ થઈ ગયો છે.

આ ઘટનામાં 1,600 ઘરો બળીને ખાખ

અધિકારીઓએ જણાવ્યું હતું કે 1,600 ઘરો બળીને ખાખ થયા છે. આ ઉપરાંત હજારો લોકોને તેમના ઘર ખાલી કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દરિયાકાંઠાના પ્રવાસી શહેર વિના ડેલ મારની આસપાસના વિસ્તારો વધુ પ્રભાવિત થયા છે. રાહત અને બચાવ ટીમને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગ પર કાબુ મેળવવામાં માટે 1400થી ફાયર ફાઈટર સાથે 1300 સૈનિકો અને 31 ફાયર હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. લગભગ 1 મિલિયનની વસ્તી ધરાવતા મધ્ય ચિલીના વાલ્પેરાઈસો પ્રદેશના ઘણા ભાગોને કાળા ધુમાડાએ ઢાંકી દીધા હતા.

આ પણ વાંચો: કાળા માથાના માનવીએ અંતરિક્ષની પણ દશા બગાડી, Video થઈ રહ્યો છે વાયરલ

રવિવારે સવારે 34 જગ્યાઓ પર આગ લાગી હતી

રવિવારે બપોરે સુધીમાં મોતની સંખ્યા 100ની પાર પહોચી ગઈ છે. જેમાં અત્યાર સુધીમાં માત્ર 32 લોકોની ઓળખ થઈ શકી છે. અધિકારીઓ દ્વારા મળેલી જાણકારી પ્રમાણે રવિવારે સવારે 34 જગ્યાઓ પર આગ લાગી હતી. જ્યારે 43 સ્થાનોને આગથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે ખરાબ મોસમને કારણે આગને કાબુમાં લેવામાં મુશ્કેલી આવી રહી છે. આગને પગલે સરકારે વાલપરાઈસો અને રાજધાની સૈંટિયાગોને જોડતા રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. સરકારે હજારો લોકોને તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ત્યાંની સરકારે પીડિતોને આર્થિક સહાય આપવાનું વચન આપ્યું છે. પાડોશી દેશ આર્જેન્ટિનાએ પણ જોખમમાં ચિલીને સાથ આપવાનું વચન આપ્યું છે.