પંજાબની ભગવંત માન સરકાર દ્વાર એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પંજાબ સરકારે રાજ્યના 424 VIP લોકોની સુરક્ષા તાત્કાલિક અસરથી પરત ખેંચી લીધી છે. જે લોકોની સુરક્ષા પરત ખેંચી છે તેમાં રાજકારણીઓ, નિવૃત્ત પોલીસકર્મીઓ અને ધાર્મિક નેતાઓનો સમાવેશ થાય છે. પંજાબ સરકારના આ નિર્ણયની ચોમેરથી પ્રશંસા થઇ રહી છે. મીડિયા એહેવાલો પ્રમાણે સંબંધિત પોલીસ કર્મચારીઓને આજે જલંધર કેન્ટ ખાતે વિશેષ પોલીસ મહાનિર્દેશક, રાજ્ય સશસ્ત્ર પોલીસ, જેઆરસી (પુનબ સિક્યુરિટી વિથડ્રોન)ને જાણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
ધારાસભ્યોથી લઇને ધર્મગુરુની સુરક્ષા પરત ખેંચી
મળતી માહિતી પ્રમાણે જે લોકોની સુરક્ષા પરત ખેચવામાં આવી છે તેમાં પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પોલીસકર્મીઓ અને હાલમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. પંજાબના બિયાસમાં આવેલા ડેરા રાધા સ્વામીની સુરક્ષામાંથી 10 કર્મચારીઓને હટાવી દેવામાં આવ્યા છે. મજીઠિયાના ધારાસભ્ય ગેનીવ કૌર મજીઠિયાની સુરક્ષામાંથી બે કર્મચારીઓને દૂર કરાયા છે. પંજાબના પૂર્વ ડીજીપી પીસી ડોગરાની સુરક્ષામાંથી એક કર્મચારીને હટાવી દેવામાં આવ્યો છે. તેઓ ADGP ગૌરવ યાદવના સસરા છે, જેઓ હાલમાં CMO છે.
આ પહેલા પણ સુરક્ષા પરત ખેંચી છે
આ પહેલા પણ એપ્રિલમાં પંજાબ સરકારે 184 લોકોની સુરક્ષા પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. જેમાં પૂર્વ મંત્રીઓ અને પૂર્વ ધારાસભ્યો સહિત અન્ય નેતાઓના નામ સામેલ હતા. ઉલ્લેખનીય છે કે ગયા મહિને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, કેપ્ટન અમરિંદર સિંહના પુત્ર રણિંદર સિંહ અને કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ સિંહ બાજવારેની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી. તો આ મહિનાની શરૂઆતમા પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે વધુ આઠ લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. જેમાં અકાલી દળના ધારાસભ્ય હરસિમરત કૌર બાદલ અને પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડનો સમાવેશ થાય છે. આ આઠ લોકોમાંથી પાંચને Z કેટેગરીની સુરક્ષા મળી હતી, જ્યારે બાકીના ત્રણને Y+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી. 127 પોલીસકર્મીઓ અને નવ વાહનો તેમની સુરક્ષાનું કામ કરી રહ્યા હતા.
કોની કોની સુરક્ષા પરત ખેંચી?
આ તમામ નામો સિવાય અન્ય ઘણા લોકોની સુરક્ષા પણ પાછી ખેંચી લેવામાં આવી છે. જેમાં પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ઓપી સોની, લોકસભાના સાંસદ હરસિમરત કૌર બાદલ, કોંગ્રેસના પૂર્વ સાંસદ અને બીજેપી નેતા સુનીલ જાખડ, પૂર્વ કેબિનેટ મંત્રી વિજય ઈન્દર સિંગલાનો સમાવેશ થાય છે. આ યાદીમાં ચાર પૂર્વ ધારાસભ્યો – પરમિન્દર સિંહ પિંકી, રાજીન્દર કૌર ભટ્ટલ, નવતેજ સિંહ ચીમા અને કેવલ સિંહ ધિલ્લોનના નામ સામેલ છે. આ ત્રીજી વખત છે જ્યારે પંજાબ સરકારે રાજ્યના VIPની સુરક્ષા પાછી ખેંચી છે.