- મહાવિકાસ અઘાડીમાં સીટ વહેંચણીનો વિવાદ
- બાંદ્રા (પૂર્વ) પર કોંગ્રેસ-શિવસેના ટક્કર!
- કોંગ્રેસના ઘણા નેતાઓ નારાજ
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકારણ ગરમાવાનું શરૂ થયું છે. મળતી માહિતી પ્રમાણે, વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીના બે મુખ્ય પાર્ટીઓ, કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT), વચ્ચે મતભેદ ઊભા થઈ રહ્યા છે. મહાવિકાસ અઘાડીની અંદર સીટ વહેંચણીનો ફોર્મ્યુલા હજી સુધી નક્કી કરવામાં આવ્યો નથી, જેના કારણે અનેક બેઠકો પર દ્વંદ્વ ઉભું થયું છે.
કોંગ્રેસ અને શિવસેના (UBT) વચ્ચે સીધી ટક્કર
મુંબઈની બાંદ્રા (પૂર્વ) સીટ પર કોંગ્રેસ અને શિવસેના (UBT) વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. આ સીટ માટે બંને પક્ષો પોતાના ઉમેદવારોને મુકી રહ્યાં છે, જેને કારણે ગઠબંધનમાં તણાવ સર્જાયો છે. મહાવિકાસ અઘાડીના નેતાઓ વચ્ચે ચર્ચા થઈ રહી છે, પરંતુ હજી સુધી કોઈ સમાધાન ન આવતું હોવાથી, આ પ્રશ્ન વધુ ગંભીર બની રહ્યો છે. આ વિવાદ મહાવિકાસ અઘાડી માટે વિધાનસભા ચૂંટણીના સમયગાળા દરમિયાન વધુ પડકારો ઉભા કરી શકે છે. જણાવી દઇએ કે, ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) એ મુંબઈની બાંદ્રા (પૂર્વ) સીટ માટે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. ઉદ્ધવની શિવસેનાએ જાહેરાત કરી છે કે વરુણ સરદેસાઈ બાંદ્રા (પૂર્વ) વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. જણાવી દઈએ કે વરુણ સરદેસાઈ આદિત્ય ઠાકરેના પિતરાઈ ભાઈ છે.
કોંગ્રેસના ઘણા નેતાઓ નારાજ
હવે શિવસેના ઠાકરેએ વરુણ સરદેસાઈના નામની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસના ઘણા નેતાઓ નારાજ થઈ ગયા છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટ પર કોંગ્રેસને સફળતા મળી હતી. 2019માં કોંગ્રેસના જીશાન સિદ્દીકીએ આ સીટ જીતી હતી. તેઓ અહીંથી વર્તમાન ધારાસભ્ય છે. ઠાકરે સેનાની દલીલ છે કે શિવસેના (UBT) એ તેના ક્વોટાની ચાંદીવલી બેઠક કોંગ્રેસ માટે છોડી દીધી છે, તેથી વરુણ સરદેસાઈ કોંગ્રેસના કોટાની બાંદ્રા (પૂર્વ) બેઠક પરથી ચૂંટણી લડશે. જણાવી દઈએ કે બાંદ્રા (પૂર્વ) મુસ્લિમ બહુલ વિસ્તાર છે. ઠાકરે સેનાની એકતરફી જાહેરાતથી કોંગ્રેસના ઘણા નેતાઓ નારાજ છે. કોંગ્રેસના ઘણા નેતાઓ બાંદ્રા પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે.
આ પણ વાંચો: ‘ગરીબ અને વંચિતોના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ’, PM મોદીએ NDA બેઠકમાં કહી આ વાત