- હરદીપ નિજ્જરની હત્યા: ભારત-કેનેડા તણાવમાં અમેરિકાનો પ્રવેશ
- ભારત-કેનેડા તણાવ: અમેરિકાની ફરી ટિપ્પણી
- યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે બંને દેશ વચ્ચેના તણાવ પર વ્યક્ત કરી ચિંતા
India-Canada Tension : હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ વધ્યો છે. હવે આ મામલે અમેરિકા (America) એ પણ દખલગીરી શરૂ કરી દીધી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે તાજેતરના પ્રેસ બ્રીફિંગમાં ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, કેનેડાના આરોપો ખૂબ જ ગંભીર છે અને તેને ગંભીરતાથી લેવાની જરૂર છે.
અમેરિકાની ભારતને સલાહ
મેથ્યુ મિલરે વધુમાં જણાવ્યું કે, અમેરિકા ઈચ્છે છે કે ભારત સરકાર કેનેડાની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપે. આ આરોપો પર પારદર્શક તપાસ જરૂરી છે, જેથી બંને દેશો વચ્ચે વધતો તણાવ શમાવી શકાય. તેમણે જણાવ્યું કે કેનેડાના આરોપોનો સન્માન સાથે ઉકેલ લાવવા માટે ભારતે સહકાર આપવો જોઈએ. મિલરે વધુમાં જણાવ્યું કે, કેનેડા અને અમેરિકા બંનેએ ભારત પાસે સહયોગની અપેક્ષા રાખી છે, પરંતુ ભારતે વૈકલ્પિક માર્ગ અપનાવવાનો વિચાર કર્યો છે. આ પહેલીવાર નથી જ્યારે ભારત અને કેનેડા વચ્ચેના તણાવ પર અમેરિકાએ ટિપ્પણી કરી હોય. ગત વર્ષે, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં આક્ષેપ કર્યો હતો કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સંડોવાયેલું છે. આ દરમિયાન, અમેરિકા એ સમયે પણ ચિંતામાં મુકાયું હતું અને ભારત તરફથી આપવામાં આવેલી પ્રતિક્રિયા પર પોતાનો મંતવ્ય વ્યક્ત કર્યું હતું. જે સમયે ટ્રુડોએ આ આક્ષેપો લગાવ્યા હતા, તે વખતે ભારતે કેનેડાના 41 રાજદ્વારીઓને પરત મોકલવાનું કહ્યું હતું. આ પગલાથી તણાવ વધ્યો હતો, અને બંને દેશો વચ્ચેની શાંબ્દિક યુદ્ધ તીવ્ર બન્યું હતું. તેમ છતાં, અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે કેનેડાની તપાસમાં સહયોગ કરવો જોઈએ.
#WATCH | “…We have made clear that the Canadian allegations are extremely serious and they need to be taken seriously and we wanted to see the Government of India cooperate with Canada and its investigation. But, India has chosen an alternate path…” says US Department of… pic.twitter.com/Eqb7JSAUon
— ANI (@ANI) October 15, 2024
ભારત-કેનેડા રાજનૈતિક તણાવમાં વૃદ્ધિ
નિજ્જર હત્યાના મામલાને લઈને ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંકટ વધુ ઊંડું બન્યું છે. કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ તાજેતરમાં કેનેડાની સરકારે ભારતમાંથી 6 રાજદ્વારીઓની રાજદ્વારી પ્રતિરક્ષા દૂર કરવાની માંગ કરી હતી, જેથી તપાસ એજન્સીઓ તેમની પૂછપરછ કરી શકે. પરંતુ આ માગણીનો ભારતે સ્વીકાર કર્યો ન હોવાથી કેનેડાએ આ રાજદ્વારીઓને દેશ છોડવા મજબૂર કરવા પડ્યા. મેલાની જોલીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “અમે ચૂપ નહીં રહીએ જ્યારે કોઈપણ દેશના એજન્ટ કેનેડામાં નાગરિકોને ધમકાવી રહ્યા છે, હેરાન કરી રહ્યા છે અથવા તેમની જાનને જોખમમાં મૂકી રહ્યા છે.” તેમના આ નિવેદન દ્વારા કેનેડાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે દેશમાં આવી પ્રવૃત્તિઓને સહન નહીં કરે. કેનેડાની આ કાર્યવાહી પર ભારતે પણ કડક જવાબ આપ્યો છે. ભારતે કેનેડાના 6 રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે અને તેમને 19 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનો આદેશ આપ્યો છે. આ પરિસ્થિતિએ બંને દેશો વચ્ચેના રાજકીય તણાવને વધુ ઘેરો બનાવ્યો છે, અને હવે આ મામલો આંતરરાષ્ટ્રીય ધ્યાનમાં આવ્યો છે.
આ પણ વાંચો: ભારતના કડક વલણ બાદ Justin Trudeau ના સૂર બદલાયા..કહ્યું..અમે ભારત સાથે લડાઇ નથી ઇચ્છતા