પાકિસ્તાનની એક ટોચની અદાલતે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને સોમવારે પંજાબ પ્રાંતની એટોક જેલમાંથી રાવલપિંડીના ગેરીઝન શહેરની ઉચ્ચ સુરક્ષાવાળી અદિયાલા જેલમાં ખસેડવાનો સત્તાવાળાઓને આદેશ આપ્યો છે. ઓગસ્ટમાં તહરીક-એ-ઈસ્લામ પાર્ટીએ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પૂર્વ વડાપ્રધાનને ઉચ્ચ સુરક્ષાવાળી અદિયાલા જેલમાં રાખવા માટે અરજી દાખલ કરી હતી.
હાઈકોર્ટના ચીફ જસ્ટિસે ઈમરાન ખાનને એટોક જેલમાંથી રાવલપિંડીની અદિયાલા જેલમાં શિફ્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. 70 વર્ષીય ઈમરાન ખાનને તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં સજા તરીકે 5 ઓગસ્ટથી એટોક જેલમાં રાખવામાં આવ્યા છે. જોકે ઈસ્લામાબાદ હાઈકોર્ટ દ્વારા તેમની સજાને સસ્પેન્ડ કરવામાં આવી હતી, પરંતુ ગુપ્ત દસ્તાવેજો લીક કરવાના કેસમાં તેને એટોક જેલમાં રાખવામાં આવ્યા છે.
13 સપ્ટેમ્બરના રોજ, સત્તાવાર ગુપ્ત કાયદા હેઠળની વિશેષ અદાલતે ગુપ્ત દસ્તાવેજો લીક કરવાના કેસમાં ઈમરાન ખાનના રિમાન્ડને 26 સપ્ટેમ્બર સુધી લંબાવ્યા હતા. ઈસ્લામાબાદ કોર્ટે પૂર્વ પીએમને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી છે અને અધિકારીઓને તેમને અદિયાલા જેલમાં રાખવાનો આદેશ પણ આપ્યો છે. તમને જણાવી દઈએ કે ધરપકડ બાદથી ઈમરાન ખાનને એટોક જેલમાં રાખવામાં આવ્યા છે.