45 વર્ષીય હરદીપ સિંહ નિજ્જરને 18 જૂને રાત્રે 8.30 વાગ્યે સરેમાં ગુરુ નાનક સિંહ ગુરુદ્વારાના પાર્કિગમાં બે શખ્સોએ ગોળી મારી હતી. નિજ્જર આ ગુરુદ્વારાનો વડો હતો. માસ્ક પહેરેલા શૂટરો કારમાં નાસી ગયા હતા. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
જલંધરમાં જન્મેલો હરદીપ સિંહ 1997માં નકલી પાસપોર્ટ પર કેનેડામાં પ્રવેશ્યો હતો
જલંધરમાં જન્મેલો હરદીપ સિંહ નિજ્જર 1997માં ‘રવિ શર્મા’ના નામના નકલી પાસપોર્ટ પર કેનેડામાં પ્રવેશ્યો હતો. તે બ્રિટિશ કોલમ્બિયામાં પ્લમ્બર તરીકે કામ કરતો હતો. તેણે કેનેડામાં લગ્ન કર્યા અને બે બાળકોનો પિતા બન્યો.
2013-14માં પાકિસ્તાન ગયો. ત્યાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના જગતાર સિંહ તારાને મળ્યો
નિજ્જર ટૂંક સમયમાં બબ્બર ખાલસામાં જોડાયો અને 2013-14માં પાકિસ્તાન ગયો. ત્યાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના જગતાર સિંહ તારાને મળ્યો. 2015માં તારાની ધરપકડ થયા બાદ નિજ્જર KTF એટલે કે ખાલિસ્તાન ટાઇગર ફોર્સનો વડો બન્યો.
પંજાબ પોલીસે ગયા વર્ષે ઓગસ્ટમાં કેનેડા પાસેથી નિજ્જરના પ્રત્યાર્પણની માંગ કરી હતી
પંજાબ પોલીસે 2014 અને 2016માં મંદિર નજીક થયેલા વિસ્ફોટોમાં ભૂમિકા અને ધાર્મિક નેતાઓની હત્યાના કાવતરા માટે નિજ્જર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ 2020માં હરદીપ સિંહ નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. પંજાબ પોલીસે ગયા વર્ષે ઓગસ્ટમાં કેનેડા પાસેથી નિજ્જરના પ્રત્યાર્પણની માંગ કરી હતી. જાન્યુઆરી 2021માં જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યા કરવામાં આવી હતી. આ માટે જુલાઈ 2022માં નિજ્જર પર 10 લાખ રૂપિયાનું રોકડ ઈનામ રાખવામાં આવ્યું હતું. ગયા વર્ષે બ્રેમ્પટનમાં ‘ખાલિસ્તાન રેફરન્ડમ’ કરાવવામાં નિજ્જરની મોટી ભૂમિકા હતી.