Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યમાં રક્તપિત્ત અંગે વર્ચ્યુઅલ ગ્રામસભા દ્વારા લોકોને અપાઇ રહી છે માહિતી

04:52 PM Apr 16, 2023 | Vipul Pandya

૩૦મી જાન્યુઆરી એટલે  રક્તપિત્ત દિવસ નિમિત્તે  રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 12 હાઇએન્ડેમીક જિલ્લાઓમાં વર્ચ્યુઅલ ગ્રામસભાના માધ્યમથી રકતપિત્ત વિશે જનજાગૃતિ અભિયાનની શરૂઆત થઈ છે. જેમાં “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન – પખવાડિક” અંતર્ગત 30મી જાન્યુઆરી થી 13મી ફેબ્રુઆરી દરમ્યાન રકતપિત્ત વિશે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે કામગીરી હાથ ધરાશે.ઘણા સમય સુધી રક્તપિત્તને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. કેટલાક લોકો માને છે કે, આ રોગ અડવાથી ફેલાય છે. જો કે આ વાત તદ્દન ખોટી છે. રક્તપિત્ત અડવાથી ફેલાતો નથી. સંક્રામક રોગ હોવા છતાં પણ અડવાથી, હાથ મિલાવવાથી, સાથે ઉઠવા-બેસવાથી ફેલાતો નથી.
 
રક્તપિત્તને નાથવા માટે અનેક પગલા હાથ ધરવામાં આવ્યા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષોથી રક્તપિત્તને નાથવા માટે અનેક પગલા હાથ ધરવામાં આવ્યા છે. કોરોનાકાળની વચ્ચે વર્ષ 2021-22 દરમ્યાન રકતપિત્તના વણશોધાયેલ દર્દીઓ શોધવા એકટીવ કેસ ડીટેકશન એન્ડ રેગ્યુલર સર્વે, સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન, હાર્ડ ટુ રીચ એરીયા કેમ્પેઇન જેવી ખાસ ઝુંબેશ હાથ ધરીને સધન કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.જેમાં જનરલ હેલ્થ સ્ટાફ અને આશાની ટીમો દ્વારા ઘરે-ઘરે તપાસ કરી રકતપિત્ત નવા દર્દી શોધીને ત્વરીત બહુ ઔષધિય સારવાર હેઠળ મૂકી તેઓને રોગ મુક્ત કર્યા છે.
આવો જાણીએ રકતપિત્ત શું છે?
રકતપિત્ત માઇક્રોબેકટેરીયમ લેપ્રસી નામના સુક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઇપણ ઉંમરે સ્ત્રી અથવા પુરુષ એમ બંને ને થઇ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિ થી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફત ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુઔષધિય સારવારથી રક્તપિત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ ; અપંગતા અટકાવી શકાય છે.
રકતપિત્ત રોગના લક્ષણો
શરીરના કોઇપણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું પડવુ, જ્ઞાનતંતુઓનું જાડા થવું અને સ્પર્શ કરવાથી દુઃખાવો ન થવો રકતપિત્ત રોગના લક્ષણો છે.
રકતપિત્તના દર્દીને સારવાર કયાંથી મળી શકે?
રકતપિત્ત કોઇપણ તબક્કે સંપૂર્ણપણે મટી શકે છે. નજીકના તમામ સરકારી દવાખાના, સબસેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ, ડીસ્ટ્રીકટ જનરલ હોસ્પિટલ ખાતેથી રકતપિત્તના દર્દીને સારવાર મળી શકે છે.