Morbi Bridge Collapse : મોરબીમાં 30 ઓક્ટોબરે 135 લોકોનો ભોગ લેનાર ઝૂલતા પુલ દુર્ઘટનામાં ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે ઓરેવા કંપનીના બન્ને મેનેજરોના વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા બન્ને પક્ષની દલીલો બાદ નામદાર અદાલતે વધુ રિમાન્ડની માંગ નામંજૂર કરી હતી.
5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં ગત તા.30ના રોજ ઓરેવા ટ્રસ્ટ સંચાલિત ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોના મૃત્યુ નિપજ્યા હતા.આ ઘટના અંગે મોરબી સીટી B ડિવિઝન પોલીસ મથકમાં 9 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયા બાદ આરોપીઓને કાર્ટમાં રજૂ કરવામાં આવતા ઓરેવાના મેનેજર દિપક પારેખ, દિનેશ દવે, ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ ધરાવતા પ્રકાશ રાઠોડ અને દેવાંગ રાઠોડને નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ ઉપર સોંપ્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થતા તપાસનીશ અધિકારી દ્વારા જુદા-જુદા પાંચ મુદ્દે તપાસના કામે આરોપીઓને વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
રિમાન્ડની માંગણી કોર્ટે ફગાવી
દરમિયાન આજે નામદાર અદાલતમાં ઓરેવાના મેનેજર દિપક પારેખ અને દિનેશ દવેને વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવતા બન્ને પક્ષોની દલીલ બાદ એગ્રીમેન્ટ સહિતના દસ્તાવેજી પુરાવા મેળવવામાં આરોપીઓને સાથે રાખવાનું જરૂરી ન હોવાની બચાવપક્ષની દલીલ બાદ બન્ને આરોપીઓના રિમાન્ડની માંગણી નામદાર કોર્ટે ફગાવી દીધી હતી.
હવે શું થશે પ્રક્રિયા?
મોરબી પુલ દુર્ઘટનાના આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં આજે પોલીસ દ્વારા તેમને કોર્ટમાં રજુ કરી વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પણ કોર્ટે બંને પક્ષોની દલીલોના આધારે વધુ રિમાન્ડની માંગણી ફગાવી દેતા હવે આરોપીઓને પોલીસ મથકે થી મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાશે અને ત્યાંથી ફરી પોલીસ મથકે લાવી મોરબી જેલ ખાતે મોકલી દેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.