શિવસેનાનાં નેતા સંજય રાઉત હંમેશા પોતાના નિવેદનથી ચર્ચામાં બની રહે છે. આ વખતે પણ તેમણે કઇંક એવુ નિવેદન આપ્યું છે કે તે સૌ કોઇની નજરમાં આવી ગયા છે. જણાવી દઇએ કે, શિવસેનાના નેતા સજય રાઉતે કેન્દ્રિય મંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણે પર જોરદાર પ્રહારો કર્યા છે.
સંજય રાઉતે કહ્યું કે, નારાયણ રાણે ધમકી આપી રહ્યા છે કે તેમની પાસે અમારી કુંડળી છે. ધમકીઓ આપવાનું બંધ કરો. અમારી પાસે પણ તમારી કુંડળી છે. તમે કેન્દ્રીય મંત્રી હશો પણ આ મહારાષ્ટ્ર છે. ભૂલી ના જતા. અમે તમારા ‘બાપ’ છીએ. તેનો અર્થ શું છે તે તમે સારી રીતે જાણો છો. રાઉતે ભાજપ નેતા કિરીટ સોમૈયા પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, તમારે (કિરીટ સોમૈયા) કૌભાંડના દસ્તાવેજો કેન્દ્રીય એજન્સીઓને આપવા જોઈએ. હું તમને આપીશ. ધમકી આપશો નહીં, અમે ગભરાઈશું નહીં. પાલઘરમાં તેમના રૂ. 260 કરોડના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. તેનું નામ તેમના પુત્રના નામ પરથી રાખવામાં આવ્યું છે, તેમની પત્ની ડિરેક્ટર છે. તેમને પૈસા કેવી રીતે મળ્યા તેની તપાસ કરવી જોઈએ. સંજય રાઉતે કહ્યું કે અમે મહારાષ્ટ્રમાં પ્રચલિત ગુનાહિત સિન્ડિકેટને ખતમ કરીશું. અમે દરરોજ નવા ખુલાસા કરીશું અને તેના વિશે માહિતી આપીશું. મુંબઈમાં શરૂ થયેલી છેડતીની સિસ્ટમનો પર્દાફાશ કરવામાં જરાય શરઇશું નહીં.
ઉલ્લેખનીય છે કે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ મુંબઈના જુહુમાં પરવાનગી વગરના બંગલાના બાંધકામની ફરિયાદ મળ્યા બાદ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને નોટીસ પાઠવી છે. BMCની ટીમે ગુરુવારે તેમના બંગલા પર નોટીસ ચોંટાડી દીદી હતી. શુક્રવારે કેટલાક અધિકારીઓ રાણેના બંગલે ગયા હતા. ગેરકાયદે બાંધકામ અંગે તપાસ હાથ ધરી હતી. આ પછી રાણેએ ટ્વીટ કરીને શિવસેના પર પ્રહારો કર્યા અને કહ્યુ કે, બાંદ્રામાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનાં ખાનગી નિવાસ સ્થાન માતોશ્રીના ચાર લોકો માટે ED નોટીસ તૈયાર છે.
દરમિયાન, ભાજપ નેતા કિરીટ સોમૈયાએ શુક્રવારે રાયગઢ જિલ્લામાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે સાથે કથિત રીતે જોડાયેલા ‘બંગલા’ સંબંધિત મામલાની તપાસની માંગ કરી હતી. સોમૈયાએ ટ્વિટર પર રેવદંડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRની કોપી શેર કરી છે.