Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભાવનગરની કોલેજના આચાર્યનું વિદ્યાર્થીનીઓને ભાજપમાં જોડાવવા ફરમાન

11:05 PM Apr 14, 2023 | Vipul Pandya

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહી ગયા છે. ત્યારે તમામ પાર્ટીઓ પોતાને જનતાના શુભ ચિંતક દર્શાવવામાં વ્યસ્ત છે. આ વચ્ચે એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમા ભાવનગરની એક મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓને ભાજપમાં જોડાવવા ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. જે તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં છે. 
કહેવાય છે કે, શાળા અને કોલેજ એક મંદિર છે જ્યા બાળકો શિક્ષણ લેવા માટે જાય છે. પરંતુ તાજેતરમાં બનેલી ઘટનાએ આ મંદિર ગણાતી શાળા/કોલેજને જાણે ભાજપ કાર્યાલય હોય તેમ ચિતર્યું છે. વિસ્તારમાં વાત કરીએ તો, ભાવનગરમાં આવેલી ગાંધી મહિલા કોલેજના આચાર્યએ એક એવો ફરમાન બહાર પાડ્યો છે કે જે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, જેમાં કોર્પોરેશનની હદમાં રહેતી વિદ્યાર્થિનીઓ ભાજપમાં જોડાય તથા વિદ્યાર્થિનીઓ ભાજપની પેજ કમિટીમાં સભ્ય બને તેવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. હાલમાં ગુજરાત ભાજપ દ્વારા રાજ્યભરમાં કાર્યકર્તા નોંધણી કાર્યક્રમ ચાલી રહ્યો છે, પાર્ટીના પ્રમુખ સી.આર.પાટીલ પણ આ કાર્યક્રમમાં પોતાના વિસ્તારમાં જાતે સભ્ય નોંધણી માટે મિટિંગ કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે આ પ્રકારના ફરમાન એક કોલેજના આચાર્ય દ્વારા બહાર પાડવામાં આવે તે દર્શાવે છે કે આચાર્ય શાળાના નહીં પણ ભાજપ કાર્યાલયનું કામ કરી રહ્યા છે. આ પ્રકારની ચર્ચા હાલમાં સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચાલી રહી છે. 
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “ભાજપમાં પેજ કમિટીના સભ્ય તરીકે નોંધણી માટે દરેક વિદ્યાર્થિનીઓએ પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને આવવું. આ સભ્ય બનવા માટે ભાવનગર મહાનગરપાલિકાની હદની અંદર રહેતા વિદ્યાર્થીનીઓ જ સભ્ય બની શકે છે. આ ઉપરાંત લખ્યું છે કે, ભાજપ પક્ષમાં સદસ્યતા અભિયાનમાં જોડાવવા માટે દરેક વિદ્યાર્થીનીઓએ આવતીકાલથી મોબાઈલ ફોન લઇને કોલેજ આવવું જરૂરી છે.” સોશિયલ મીડિયામાં વાયરલ આ નોટિસ બાદ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો. જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસનો આક્ષેપ છે કે, શૈક્ષણિક સંસ્થાના બદલે ભાજપની સંસ્થા હોય તેમ સભ્ય બનવા વિદ્યાર્થીનીઓને આદેશ આપ્યો છે, જે કોઈપણ પ્રકારે યોગ્ય નથી. તેમજ કોના આદેશથી આવી નોટિસ જાહેર કરવામાં આવી તે અંગેની માહિતી માંગવામાં આવશે, આ મામલે વિદ્યાર્થીનીઓમાં પણ રોષ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કોંગ્રેસ પાર્ટી આ મુદ્દે હવે મેદાનમાં આવી ગઇ છે. કોંગ્રેસ પાર્ટીએ માંગ કરી છે કે જલ્દીથી જલ્દી કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવે. મહત્વનું છે કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહી ગયા છે. ત્યારે તમામ પક્ષ જનતાને રીઝવવાનો પૂરો પ્રયત્ન કરવામાં વ્યસ્ત છે. આ વચ્ચે જ્યારે આ પ્રકારની કોઇ ઘટના બને છે જે ત્યારે તે સમાજમાં ખોટો સંદેશો પહોંચાડે છે.